Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

આરએસએસ વિરૂધ્ધ ટિપ્પણી : જાવેદ અખ્તરને લીગલ નોટિસ

મુંબઇ,તા. ૨૩: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) વિરૂધ્ધ ખોટી અને બદનામીભરી ટિપ્પણી કરવા બદલ અહીંના એક લોયરે ગીતકાર જાવેદ અખ્તરને કાનૂની નોટીસ ફટકારી છે.

અખ્તરે તે ટિપ્પણી એક ન્યુઝ ચેનલને આપેલી મુલાકાત વખતે કરી હતી. સંતોષ દુબે નામના લોયરે માંગણી કરી છે કે અખ્તર એ માટે પોતાની માફી માંગે.

૭૬ વર્ષના અખ્તરે એક ઇન્ટરવ્યુમાં તાલિબાન અને હિન્દુવાદી સંગઠન આરએસએસને સમાન ગણાવ્યા હતા. લોયર દુબેએ કહ્યુ કે આ નોટીસ મળ્યાના સાત દિવસની અંદર જો અખ્તર પોતી બિનશરતી લેખિત માફી નહીં માગે અને એમના તમામ નિવેદનોને પાછા નહીં ખેચે તો પોતે એમની પર રૂ. ૧૦૦ કરોડનો માનહાનિનો ક્રિમિનલ કેસ કરીશ.

અખ્તરના નિવેદનો ભારતીય ફોજદારી ધારા (આઇપીસી) ની કલમ ૪૯૯ (માનહાનિ) અને ૫૦૦ (માનહાનિ કરવા માટે સજા) અંતર્ગત ગુનોને પાત્ર છે.

(9:52 am IST)