Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ હોઇ સરકાર ચિંતાતુરઃ દેશના પાંચ રાજ્‍યોમાં નવા પ્રતિબંધ લાગુ કરાયા

નવી દિલ્હી: કોરોના વાયરસનો જે રીતે વ્યાપ જોવા મળી રહ્યો છે  તેનાથી સરકારની ચિંતા વધી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા  83,347 કેસ નોંધાયા છે. આ સાથે જ હવે દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 56 લાખ પાર ગઈ છે. કુલ આંકડો 5,646,011 થયો છે જેમાંથી 9,68,377 લોકો હજુ  પણ સારવાર હેઠળ છે. જ્યારે 45,87,614 લોકો કોરોનાને હરાવીને સાજા થયા છે. એક જ દિવસમાં 1085 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો 90,020 પર પહોંચ્યો છે. કોરોનાના વધતા કેસોમાં કેટલાક રાજ્યો કોરોનાને કાબૂમાં લેવામાં સફળ રહ્યા છે જ્યારે કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં કોરોના હજૂ બેકાબૂ છે. આ રાજ્યોમાં કોરોનાથી લડવા માટે નવા પ્રતિબંધો લાગુ કરાયા છે.

આ રાજ્યોમાં લાગુ થયા નવા પ્રતિબંધો

છત્તીસગઢ

90 હજાર સુધી કોરોના સંક્રમણ પહોંચ્યા બાદ છત્તીસગઢે રાજધાની રાયપુર સહિત 10 જિલ્લાઓમાં લોકડાઉન લાગુ કર્યુ છે. રોજ 9થી 10 હજાર નવા કેસ આવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. રાજધાની રાયપુરને કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરીને અહીં 21 સપ્ટેમ્બરથી લઈને 28 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લાગુ કરાયું છે. રાયપુર જિલ્લા મેજિસ્ટ્રેટના જણાવ્યા મુજબ સરકારી ઓફિસ અને ખાનગી સંસ્થાઓ સંપૂર્ણપણે બંધ રહેશે. રાયપુર ઉપરાંત બાકીના જિલ્લાઓ જશપુર, બલોડા બજાર, ઝંઝીર ચંપા, દુર્ગ, ભિલાઈ, ધમતરી,  બિલાસપુર અને રાયગઢમાં પણ 28 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લાગુ રહેશે.

રાજસ્થાન

રાજસ્થાનમાં સવા લાખ કોરોના દર્દીઓ થયા છે. બેકાબૂ હાલાતને કાબૂમાં લેવા માટે સરકારે 11 જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરી છે. એટલે કે એક જગ્યાએ 5 લોકોથી વધુ ભેગા થઈ શકે નહીં. આ જિલ્લાઓમાં જયપુર, જોધપુર, કોટા, અજમેર, અલવર, ભીલવાડા, ઉદયપુર, સીકર, પાલી અને નાગૌર સામેલ છે. રાજ્યમાં 31 ઓક્ટોબર સુધી કોઈ પણ ધાર્મિક કે સામાજિક જમાવડા પર પ્રતિબંધ રહેશે. અહીં રોજેરોજ 1600થી 1700 દર્દીઓ સામે આવી રહ્યા છે.

મહારાષ્ટ્ર

દેશમાં સૌથી વધુ કોરોનાના દર્દીઓ છે એવા મહારાષ્ટ્ર રાજ્યમાં હવે રોજ 18000 જેટલા દર્દીઓ નોંધાઈ રહ્યા છે. સૌથી વધુ કેસ મુંબઈમાં જોવા મળે છે. કોરોનાના કુલ કેસની સંખ્યા સાડા 12 લાખ ઉપર પહોંચી છે. આથી મુંબઈમાં અવરજવર અને લોકોના ભેગા થવા પર પ્રતિબંધના આદેશને 30 સપ્ટેમ્બર સુધી આગળ વધારવામાં આવ્યો છે. મુંબઈમાં કલમ 144 હેઠળ પ્રતિબંધ 25 માર્ચથી લાગુ હતાં.

ઉત્તર પ્રદેશ

વધતા કેસને ધ્યાનમાં લઈને યુપી સરકારે નોઈડામાં કલમ 144 ને 30 સપ્ટેમ્બર સુધી આગળ વધારી છે. જો કે તેમા કોઈ નવા પ્રતિબંધ સામેલ નથી. આ ઉપરાંત ઝી મીડિયાને મળેલી એક્સક્લુઝિવ જાણકારી મુજબ યુપી સરકારે ગાઝિયાબાદના ઈન્ડસ્ટ્રિયલ એરિયા ની બહાર ચાલુ રહેલી 3000થી વધુ ફેક્ટરીઓને બંધ કરાવવાનો નિર્ણય લીધો છે. આ ફેક્ટરીઓ વિરુદ્ધ સરકાર એક્શન લેશે. હાલ કોરોનાને જોતા તેમને બંધ કરાઈ છે. યુપીમાં કોરોનાથી અત્યાર સુધીમાં 5000થી વધુ લોકોના મોત થયા છે.

દિલ્હી

દિલ્હી સરકારે 5 ઓક્ટોબર સુધી તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાના આદેશ આપેલા છે. આ બધા વચ્ચે પહેલાની જેમ ઓનલાઈન ક્લાસિસના માધ્યમથી અભ્યાસ ચાલુ રહેશે. દિલ્હીમાં નવા 3816 દર્દીઓ નોંધાયા છે. જેના કારણે કુલ સંક્યા 2.5 લાખ ઉપર ગઈ છે. જો કે દિલ્હીમાં નવા દર્દીઓ મળવાની સંખ્યામાં  ઘટાડો જોવા મળ્યો છે.

તામિલનાડુ

તામિલનાડુમાં સાડા પાંચ લાખ કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. તામિલનાડુમાં રવિવારે સંપૂર્ણ લોકડાઉન રહ્યું. માત્ર મેડિકલ સ્ટાફ અને દૂધની આપૂર્તિ રોજની જેમ ચાલુ હતી.

અત્રે જણાવવાનું કે ગૃહ મંત્રાલયે અગાઉ અનલોક 4 હેઠળ એક આદેશ બહાર પાડ્યો હતો કે રાજ્ય સરકારો કોઈ પણ સ્થાનિક લોકડાઉન (રાજ્ય/જિલ્લા/શહેર સ્તરે) કોઈ પણ પરામર્શ વગર કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર લગાવી શકશે નહીં.

(5:21 pm IST)