Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

જાહેર ક્ષેત્રની ૯ કંપનીઓની સંપત્તિ વેચવા માટેની તૈયારી

૮૦,૦૦૦ કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના : વ્યૂહાત્મક હિસ્સેદારી જે કંપનીઓના વેચવામાં આવનાર છે તેમાં એર ઈન્ડિયાનો પણ સમાવેશ : વાતચીતનો દોર

નવી દિલ્હી, તા. ૨૩ : સરકારે વ્યુહાત્મક વેચાણ માટે પસંદગીના જાહેર ક્ષેત્રની કંપનીઓ એટલે કે સેન્ટ્ર્લ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝની કેટલીક સંપત્તિઓની ઓળખ કરી લીધી છે. આ કંપનીઓમાં સરકાર અલગથી સંપત્તિ વેચીને નાણાં ઉભા કરવાની યોજના ધરાવે છે. આમાં જમીન અને અન્ય સંપત્તિનો સમાવેશ થાય છે. આ સેન્ટ્રલ પબ્લિક સેકટરની કંપનીઓની સંપત્તિ વેચીને સરકાર જાહેર ક્ષેત્રની પસંદગીની કંપનીઓમાં વ્યૂહાત્મક ડિસઈન્વેસ્ટમેન્ટથી પહેલા પ્રક્રિયા હાથ ધરશે. કુલ ૨૪ સેન્ટ્રલ પબ્લિક એન્ટરપ્રાઈઝને વ્યૂહાત્મક વેચાણ માટે મંજુરી મળી ગઈ છે. સરકારે આમાંથી નવ કંપનીઓની કેટલીક સંપત્તિઓની ઓળખ કરી લીધી છે. જેને અલગ અલગ કરીને વેચી દેવામાં આવશે. સરકારે સંપત્તિઓને વેચવા માટે જે નવ કંપનીઓની ઓળખ કરી છે તેમાં પવનહંસ, સ્કુટર્સ ઈન્ડિયા, એર ઈન્ડિયા, ભારત પંપ્સ એન્ડ કમ્પ્રેસટર લિ., પ્રોજેટ્ એન્ડ ડેવલપમેન્ટ ઈન્ડિયા લિ., હિન્દુસ્તાન ફ્રીફેબ, હિન્દુસ્તાન ન્યૂઝ પ્રિન્ટ લિ., બ્રિજ એન્ડ રૂફ કંપની અને હિન્દુસ્તાન ફ્લોરો કાર્બનનો સમાવેશ થાય છે. ઓળખ કરવામાં આવેલી મોટા ભાગની સંપત્તિમાં જમીન અને આવાસ ફ્લેટનો સમાવેશ થાય છે. એર ઈન્ડિયાના મામલામાં નુકસાનમાં ચાલી રહેલી એરલાઈનની ચાર સંપત્તિઓને વેચવામાં આવશે. જેમાં એરલાઈન એલાઈડ સર્વિસ લિમિટેડ, હોટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે. દિલ્હીમાં એર ઈન્ડિયાના હેડક્વાટર્સ અને દેશના જુદા જુદા હિસ્સામાં તેની સંપત્તિ અને ઈમારતોને પણ વેચી દેવામાં આવનાર છે. આ ઉપરાંત કંપનીની પાસે જે કલાકૃતિઓ છે તેને પણ વેચવામાં આવનાર છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં વ્યૂહાત્મક વેચાણ અને જાહેર ક્ષેત્રની કંપનીઓમાં લઘુમતિ હિસ્સો વેચીને ૮૦૦૦૦ કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના ધરાવે છે.

(7:33 pm IST)