Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

આક્ષેપો છતાંય રાફેલ ડિલને રદ નહીં થાય : અરૂણ જેટલી

રાહુલનું કાવતરું હોવાનો જેટલીએ દાવો કર્યો : ઓલાંદના આક્ષેપોને ફ્રાંસ સરકાર અને એવિએશન કંપની બંને રદિયો આપી ચુકી છે : હોબાળો બિનજરૂરી : જેટલી

નવી દિલ્હી, તા. ૨૩ : ફ્રાંસના પૂર્વ પ્રમુખ ઓલાંદના નિવેદનના પરિણામ સ્વરૂપે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપબાજીનો દોર જારી છે. તેમની વચ્ચે આરોપમાં મોટી રાજકીય લડાઈ શરૂ થઈ ચુકી છે. વડાપ્રધાન મોદી પર રાહુલ ગાંધી અને કોંગ્રેસે પ્રહારો કરીને તેમના રાજીનામાની માંગ કરી લીધા બાદ આ વિવાદોમાં નાણામંત્રી અરૂણ જેટલીએ પણ કુદી પડીને રાહુલ ગાંધીના આક્ષેપોને રદિયો આપ્યો છે. જેટલીએ આક્ષેપ કરતા કહ્યું છે કે રાહુલ ગાંધી અને ઓલાંદ વચ્ચે જુગલબંધી દેખાઈ રહી છે. રાહુલના એક જુના ટ્વીટવનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે તેમને પહેલાથી જ આ અંગે માહિતી હતી કે ઓલાંદ આ પ્રકારનું નિવેદન કરશે. જોકે નાણામંત્રીએ કહ્યું હતું કે આ બાબતમાં કોઈ પુરાવા નથી પરંતુ મનમાં પ્રશ્નો થાય તે સ્વાભાવિક છે. જેટલીએ ફેસબુક ઉપર એક નોટમાં લખીને નવા આક્ષેપો માટે રાહુલ ગાંધી ઉપર પ્રહારો કર્યા છે. તેઓએ ઈન્ટરવ્યુમાં પણ આ અંગેની વાત કરી છે. જેટલીએ કહ્યું છે કે ઓલાંદના નિવેદન પારસ્પરિક વિરોધી છે. ઓલાંદના નિવેદન અને રાહુલ ગાંધીના ટ્વીટના યોજનાબદ્ધ રીતે આવ્યા છે. જેટલીએ ઓલાંદના નિવેદન અને રાહુલના ટ્વીટમાં કોઈ કનેકશન હોવા તરફ ઈશારો કર્યો છે. જેટલીએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આ પ્રકારના આક્ષેપોના પરિણામ સ્વરૂપે રાફેલ ડીલને કોઈપણ કિંમતે રદ કરવામાં આવશે નહીં. મોદીની ખામોશી અંગે જેટલીએ કહ્યું હતું કે જે લોકોને બોલવાની જરૂર છે તે બોલી રહ્યા છે. માત્ર એટલા માટે કે કોઈ ખોટી બાબતનો ટેકો લઈ રહ્યા છે તેને લઈને આ પ્રકારની ચર્ચામાં વડાપ્રધાન કુદી પડે તે યોગ્ય નથી. ઓલાંદે થોડાક દિવસ પહેલા જ એમ કહીને ભારતીય રાજનીતિમાં ખળભળાટ મચાવી દીધો હતો કે રાફેલ ડિલમાં ઓફસેટ પાર્ટનર તરીકે રિલાયન્સનું નામ સૂચન કરીને ભારત સરકારે દબાણ લાવ્યું હતું. ઓલાંદે અહીં સુધી કહ્યું હતું કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ રહ્યો ન હતો.  જોકે મોડેથી ઓલાંદે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે દેસોલ્ટ કંપની જ આ સંદર્ભમાં માહિતી આપશે. જેટલીએ નોટમાં લખ્યું છે કે આ વિવાદ ફ્રાંસના પૂર્વ પ્રમુખના નિવેદન સાથે શરૂ થયો છે. જેટલીએ પોતાના લેખમાં એમ પણ કહ્યું છે કે ફ્રાંસ સરકાર અને દેસોલ્ટ એવિએશન દ્વારા પૂર્વ ફ્રાંસ પ્રમુખ ઓલાંદના નિવેદનને રદિયો આપી દેવામાં આવ્યો છે. જેટલીએ લખ્યું છે કે દેસોલ્ટ નામની કંપનીએ પોતે કહ્યું છે કે તેઓ પબ્લિક અને પ્રાઈવેટ સેકટરના એકમો સાથે મલ્ટીપલ કોન્ટ્રાક્ટ કરેલા છે. જેટલીએ ઓલાંદના નિવેદનમાં પારસ્પરિક વિરોધાભાસની વાત કરી છે. પૂર્વ પ્રમુખે પાર્ટનરશીપની વાત કરી છે જ્યારે ૩૬ રાફેલ વિમાનોની ડિલ ગર્વમેન્ટ ટુ ગર્વમેન્ટ એગ્રિમેન્ટ છે. આમાંથી દેસોલ્ટને ૩૬ પૂર્વ રીતે તૈયાર વિમાન આપવાના છે.

(7:25 pm IST)