Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

રિલાયન્સને પાર્ટનર બનાવવા કેન્દ્ર સરકારનો કોઇ રોલ નથી

વિવાદ બિનજરૂરી છે : સંરક્ષણ મંત્રાલયઃ ફ્રાંસના નિવેદનને વિચારણા કર્યા વગર રજૂ કરાયું : કેન્દ્ર

નવી દિલ્હી, તા. ૨૨: ફ્રાંસના પૂર્વ પ્રમુખ ફ્રાન્સવા ઓલાંદના રાફેલ ડિલને લઇને કરવામાં આવેલા નિવેદન બાદ ભારતની રાજનીતિમાં ભારે હોબાળો થઇ ગયો છે. આવી સ્થિતિમાં સંરક્ષણમંત્રાલય દ્વારા નિવેદન જારી કરીને ખુલાસો કર્યો હતો. પોતાના નિવેદનમાં સંરક્ષણમંત્રાલયે કહ્યું છે કે, ફ્રાંસના પૂર્વ પ્રમુખના નિવેદન બાદ વિવાદ બિનજરૂરી છે. આમા કહેવામાં આવ્યું છે કે, ફ્રાંસના નિવેદનને સંપૂર્ણપણે સમજી લેવાની જરૂર છે. ફ્રાંસની મિડિયાએ ડિલમાં સામેલ પૂર્વ પ્રમુખના નજીકી લોકોને પ્રશ્ન કર્યા હતા. ત્યારબાદ જ ઓલાંદે કહ્યું હતું કે, રિલાયન્સનું નામ ભારત સરકાર તરફથી આવ્યું હતું. સરકારે પહેલા પણ આ વાત કરી હતી અને ફરી એકવાર કહેવા માંગે છે કે, રિલાયન્સ ડિફેન્સને ઓફસેટ પાર્ટનર તરીકે પસંદ કરવામાં સરકકારની કોઈ ભૂમિકા નથી. ઓફસેટ પોલિસીની જાહેરાત પ્રથમ વખત ૨૦૦૫માં થઇ હતી. ત્યારબાદ આમા ઘણી વખત સુધારા કરવામાં આવી ચુક્યા છે. સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે, ફ્રાંસના પૂર્વ પ્રમુખ ઓલાંદના નિવેદન સંબંધિત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સરકારે રાફેલે ડિસોલ્ટ એવિએશનના ઓફસેટ પાર્ટનર તરીકે કોઇ ખાસ અંગત કંપનીની તરફેણ કરી હતી. આમા તપાસ કરવામાં આવી રહી છે. નિવેદનમાં કહેવામાં આવી રહ્યું છે કે, રિલાયન્સ અને ડિસોલ્ટ એવિએશન વચ્ચે પ્રથમ વખત જોઇન્ટ વેન્ચરની બાબત ફેબ્રુઆરી ૨૦૧૭માં સપાટી ઉપર આવી હતી. આ બે પ્રાઇવેટ કંપનીઓની વચ્ચે પૂર્ણરીતે કોમર્શિયલ વ્યવસ્થા હતી. ડિસોલ્ટ એવિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેના દ્વારા ઘણી કંપનીઓ સાથે પાર્ટનરશીપ એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર કરવામાંઆવ્યા છે. અન્ય ઘણી કંપનીઓ સાથે તેમની વાતચીત ચાલી રહી છે. રાહુલના આક્ષેપ બાદથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થયો છે.

(7:33 pm IST)