Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

જૈન સાધ્વીજી પૂ. બેન મ.સા.ના પ્રવર્તિની પદ પ્રદાન મહામહોત્સવની પૂર્વ સંધ્યાએ મહાતીર્થ પાલીતાણા ખાતે મેઘાણી-ગીતો ગુંજયા

ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ સાથે રાધાબેન વ્યાસ અને રૂષભ આહિરે રમઝટ બોલાવી : પિનાકી મેઘાણીને અભિનંદન પાઠવતા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

રાજકોટ તા. ૨૩ : મહાતીર્થ પાલીતાણા ખાતે જિનશાસનના ગૌરવ સમા, બાલદીક્ષિતા, પરમ વાત્સલ્યમયી, શાસનસેવિકા પૂ.સા.વર્યા વાચંયમાશ્રીજી મ.સા. (બેન મ.સા.)ના પ્રવર્તિની પદ પ્રદાન મહામહોત્સવનું ભવ્ય આયોજન થયું હતું. શ્રી પાર્શ્વનાથ-પદ્માવતી સમારાધક, શ્રી લબ્ધિ-વિક્ર્મ ગુરુકૃપાપ્રાપ્ત, અનેક પ્રાચીન તીર્થોધ્ધારક-પ્રતિષ્ઠાચાર્ય, પ્રખર પ્રવચનકાર પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મ.સા.એ પ્રવર્તિની પદ પ્રદાન કર્યું હતું.

આ પાવન પ્રસંગની પૂર્વ સંધ્યાએ જિનભકિતના ગીતો દ્વારા અદભુત ભકિત — કસુંબલ લોકડાયરાનું ભવ્ય આયોજન કરાયું  હતું. ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ સાથે રાધાબેન વ્યાસ અને રૂષભ આહીરે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવી હતી. જૈન કુળમાં જન્મેલા ઝવેરચંદ મેઘાણીએ ૧૨ વર્ષની ઉંમરે જૈન પાઠશાળામાં જૈન સ્તવનની રચના કરી હતી. નાનપણથી જ રાષ્ટ્રીય-ભાવના ધરાવતાં પૂ. બેન મ.સા.એ શાળામાં ઝવેરચંદ મેઘાણીને પ્રત્યક્ષ ગાતાં સાંભળ્યાં હતાં. આથી ભકિત-રાષ્ટ્ર ભકિતનાં અનોખા સમન્વય સમા આ કસુંબલ લોકડાયરાનું સવિશેષ મહત્વ રહ્યું.  

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, પાલીતાણાના સંનિષ્ઠ અને સાહિત્ય-પ્રેમી નાયબ પોલીસ અધિક્ષક આર. ડી. જાડેજા, ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખ ભરતભાઈ શાહ, કેતનભાઈ શાહ, દિનેશભાઈ શાહ, નીતિશભાઈ સરકાર (જાપાન) સહિત જૈન અગ્રણીઓ અને લાભાર્થીઓ, ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ગોવિંદસંગભાઈ ડાભી (રાણપુર), સુરેન્દ્રનગરથી શિક્ષણ-વિદ્ એચ.કે. દવે, હર્ષદબા જાડેજા અને ભૂપતદાન મહેડુ, મુકુંદભાઈ વઢવાણા (રાણપુર), જતીનભાઈ ઘીયા (અમદાવાદ), જયેશભાઈ ખંધાર (મુંબઈ) સહિત મોટી સંખ્યામાં ભાવિકો, સાહિત્ય-પ્રેમીઓ અને મેઘાણી-ચાહકો ઉપસ્થિત રહ્યાં હતાં.            

કાર્યક્ર્મનો આરંભ મહામંત્ર નવકારમંત્રની સંગીતમય રજૂઆતથી થયો. અભેસિંહ રાઠોડ અને રૂષભ આહીરે દુહા-છંદની રમઝટ બોલાવી. અભેસિંહભાઈએ મોર બની થનગાટ કરે, ચારણ-કન્યા, દરિયો ડોલે છે માઝમ રાતનો જેવાં લોકપ્રિય મેઘાણી-ગીતોની ઝમકદાર રજૂઆતથી સહુને ડોલાવી દીધા. અભેસિંહ રાઠોડ દ્વારા ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત કથાગીતો માછલી વિયાણી કાંઈ દરિયાને બેટ (શ્રવણ) અને સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી (બાળુડો જોગી)ની હ્રદયસ્પર્શી રજૂઆતથી અનેકની આંખો આંસુભીની થઈ ગઈ. યુવા ભજનિક-લોકગાયક રૂષભ આહીરે ઝવેરચંદ મેઘાણીની અંતિમ કૃતિ 'સોરઠી સંતવાણી'માં પ્રાચીન ભજનો ગુરુ તારો પાર ન પાયો, વાગે ભડાકા ભારી ભજનના, વીજળીને ચમકારે, ધૂણી રે ધખાવી ભાવવાહી રીતે રજૂ કર્યાં. અભેસિંહ રાઠોડ અને રાધાબેન વ્યાસનાં શ્નરઢિયાળી રાતલૃનાં પ્રાચીન લોકગીતો-રાસ-ગરબાની રજૂઆત પર અહમદનગર (મહારાષ્ટ્ર)થી આવેલ ધર્મચક્ર સિમંધરસ્વામી ભકિત મંડળના નરેશભાઈ શાહ અને ૧૦ સાથીઓ દોરીથી અનોખી ભકિત-રાસની રમઝટની રમઝટ બોલાવીને સહુની દાદ મેળવી. આજે પણ લોકમુખે રમતું અતિ લોકપ્રિય મેઘાણી-ગીત કસુંબીનો રંગ રજૂ કરીને કાર્યક્ર્મને વિરામ અપાયો. વાદ્ય-વૃંદ હિતેષ પરમાર (તબલા), ગૌતમ પરમાર (ઢોલક), હેમુ પરમાર (બેન્જો), જગદીશ વાઘેલા (મંજીરા)એ બખુબી સાથ આપ્યો હતો. આદેશ્વરદાદાની સામુહિક આરતી પણ ઉપસ્થિત સહુ ભાવિકો દ્વારા થઈ હતી.            

વિશ્વભરમાં વસતાં ૧૧૭૦૦૦ જેટલાં ભાવિકોએ આ ભાવાંજલિ કાર્યક્ર્મને ઈન્ટરનેટ પર પણ માણ્યો હતો. eevents.tv અને ઈન્ટેલીમિડીયાની યુવા ટીમના દર્શન સેદાણી, જોય શાહ, મયુર કળથિયા અને સાથીઓએ પ્રસારણ માટે જહેમત ઉઠાવી હતી. 

જૈન કુળમાં જન્મેલા ગુજરાતના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પિનાકી મેઘાણીને અભિનંદન પાઠવ્યા છે. તેઓ લાગણીભેર લખે છે : 'ધર્મ, સંસ્કૃતિ અને સાહિત્ય માનવ જીવનના એવાં પાસા છે જે માનવની સમજ, ડહાપણ અને તેની અભિવ્યકિત થકી વ્યકિત અને સાથોસાથ સમગ્ર સમાજનું ચારિત્ર નિર્માણ કરીને માનવ-ચેતનાનું ઉધ્વીર્કરણ સાધે છે. પાલીતાણા ખાતે જૈન સાધ્વીજી પૂ. બેન મ.સા.નાં પ્રવર્તિની પદ પ્રદાનનાં આધ્યામિક મહામહોત્સવમાં આદરણીય મેઘાણીજીનાં ગીતો-લોકગીતો-ભજનોની રસછોળનાં આ કાર્યક્ર્મનું વિશેષ આયોજન સોનામાં સુગંધ ભળ્યા બરોબર લેખાશે.'                   

કસુંબલ લોકડાયરાનું ભવ્ય આયોજન જૈનાચાર્ય પૂ. રાજયશસૂરીશ્વરજી મ.સા. અને જૈન સાધ્વીજી પૂ. બેન મ.સા.નાં આશિષ અને પ્રેરણાથી થયું હતું. યુવા જૈન મુનિ પૂ. યશેશયશ મ.સા.નું સતત લાગણીભર્યું માર્ગદર્શન રહ્યું હતું. સંયોજન ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનનું હતું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા અને એમનાં જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્ત્િ।ઓને વેગ આપવા તથા નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે માટે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સવિશેષ પ્રયત્નશીલ છે. મહામહોત્સવનું સમસ્ત આયોજન અખિલ ભારતીય પ્રવર્તિની પદ પ્રદાન સમારોહ સમિતિ તથા શ્રી ચંદ્ર-સંઘયશા સ્મૃતિ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા થયું હતું.

(3:43 pm IST)