Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

વૃક્ષોના પરાગકણ દ્વારા કોરોના જેવા સેંકડો વાયરસ ફેલાતા હોવાનું વૈજ્ઞાનિકોને સંશોધનમાં જાણવા મળ્યું

સાયપ્રસની નિકોસીયા યુનિવર્સિટીની ચોંકાવનારી જાણકારી

કોરોના વાયરસની વિનાશકતા સામે લડતા વિશ્વ માટે એક ખરાબ સમાચાર છે. હાલમાં જ કરવામાં આવેલા સંશોધનમાં વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે વૃક્ષોના પરાગકણ દ્વારા કોરોના જેવા સેંકડો વાયરસ ફેલાય છે. ગીચ વિસ્તારોમાં પરાગકણથી કોરોના વાયરસ ફેલાવાનું જોખમ વધારે છે. સાયપ્રસની નિકોસિયા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં આ ચોંકાવનારી માહિતી સામે આવી છે.

સંશોધનકારોએ કમ્પ્યુટર પર એક વિલો ટ્રીનુ મોડેલ બનાવ્યું હતું. જે મોટા પ્રમાણમાં પરાગકણ છોડે છે અને તેના કણો કેવી રીતે ફેલાય છે તેનું વર્ણન કર્યું છે. જો કે, સારા સમાચાર એ છે કે આ પરાગકણ ખૂબ જ ઝડપથી ભીડથી દૂર જાય છે. આ સંશોધનને આધારે સંશોધનકારોએ જણાવ્યું હતું કે 6 ફુટનું સોશિયલ ડીસટન્સ હંમેશા કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે પૂરતું નથી.

એક વ્યાપક મોડેલના આધારે કમ્પ્યુટર આકૃતિઓ બનાવી

સંશોધનકારોએ આ મોડેલના અભ્યાસ બાદ સૂચન કર્યું હતું કે હવામાં પરાગકણનું સ્તર ઊંચું હોય ત્યાં તેમને ઘટાડવા પગલાં લેવા જોઈએ. તેમણે કહ્યું કે, એક દિવસમાં, સરેરાશ એક વૃક્ષ,40 ઘન ફૂટ જેટલી પરાગકણ હવામાં છોડે છે. એટલું જ નહીં, દરેક કણોની અંદર હજારો વાયરલ કણો હોઈ શકે છે. આ સંશોધન ભૌતિકશાસ્ત્રી તાલિબ ડાબોક અને ઇજનેર ડિમિટ્રિયસ ડ્રકાકિસે રજુ કર્યું છે.

આ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, વિલો ટ્રીમાંથી પવન દ્વારા પરાગ કેવી રીતે ફેલાય છે તેના વિસ્તૃત મોડેલના આધારે કમ્પ્યુટર આકૃતિ બનાવી છે. ડિમિટ્રિયસ ડ્રકાકિસે કહ્યું કે તેમને આશા છે કે આ સંશોધન દ્વારા લોકોને ઝાડ પર વધુ ધ્યાન આપશે. તેમનું સંશોધન ફિઝિક્સ ઓફ ફ્લુઇડ્સ જર્નલમાં પ્રકાશિત થયું છે.

(11:05 pm IST)