Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

ટીવી ચેનલોની જેમ રેડિયોમાં પણ દર કલાકે ૧૨ મિનિટ જાહેરાતની છૂટ અપાશે

કમ્યુનિટી રેડિયો સ્ટેશનોની સંખ્યા વધારાશે : પ્રકાશ જાવડેકર

નવી દિલ્હી તા. ૨૩ : કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, તેઓ કમ્યુનિટી રેડિયો પર જાહેરાતો પ્રસારિત કરવાનો સમય ૭ મિનિટથી વધારીને ૧૨ મિનિટ કરીને આ રેડિયોને ટીવી ચેનલોને સમકક્ષ સ્થાન આપવા આતુર છે.

શ્રી જાવડેકરે જણાવ્યું હતું કે, જયારે જયારે કમ્યુનિટી રેડિયો સ્ટેશન સ્થાપિત કરવાના ૭૫ ટકા ખર્ચનું વહન મંત્રાલય કરે છે અને એમાં મુખ્ય ખર્ચ સામેલ હોય છે, ત્યારે રોજિંદી કામગીરીના ખર્ચનું વહન સ્ટેશન કરે છે. અત્યારે કમ્યુનિટી રેડિયો સ્ટેશનોને જાહેરાતો માટે દર કલાકે ૭ મિનિટ જાહેરાતો પ્રસારિત કરવાની મંજૂરી છે, ત્યારે ટીવી ચેનલોને દર કલાકે ૧૨ મિનિટ જાહેરાતો પ્રસારિત કરવાની છૂટ છે. તેમણે ઉમેર્યું હતું કે, તેઓ તમામ રેડિયો સ્ટેશનને જાહેરાતો પ્રસારિત કરવા માટે ટીવી ચેનલો જેટલો સમય આપવા આતુર છે, જેથી તેમને ભંડોળ માંગવાની જરૂર ન પડે અને સામુદાયિક સ્ટેશનો પર સ્થાનિક જાહેરાતો વધુ પ્રસારિત થઈ શકે.

જાવડેકરે જણાવ્યું હતું કે, કમ્યુનિટી રેડિયો એ પોતાની રીતે એક સમુદાય છે. આ સ્ટેશનો દરરોજ લાખો લોકો સુધી પહોંચ ધરાવે છે અને મંત્રાલય ટૂંક સમયમાં આ પ્રકારનાં સ્ટેશનોની સંખ્યા વધારવાની યોજના રજૂ કરશે.

કોરોનાવાયરસ સામે લડતા લોકોની પ્રશંસા કરીને તેમણે જણાવ્યું હતું કે, આપણે અન્ય રોગોને નાબૂદ કર્યા એ જ રીતે કોરોનાવાયરસને પણ નાબૂદ કરીશું. જોકે તેમણે કહ્યું હતું કે, આ માટે આપણે નવા નિયમો અપનાવવા પડશે અને આ માટે દરેક વ્યકિતએ ૪ સ્ટેપ લેવા પડશે – શકય હોય ત્યાં સુધી ઘરમાં રહેવું, અવારનવાર હાથ ધોવા, બહાર નીકળીએ ત્યારે માસ્ક પહેરવો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું.

જાવડેકરે કમ્યુનિટી રેડિયોની એમની ચેનલો પર સમાચારો પ્રસારિત કરવાની મુખ્ય માંગણી પર વાત કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે, તેઓ એફએમ ચેનલોની જેમ કમ્યુનિટી રેડિયો પર સમાચાર પ્રસારિત કરવાની છૂટ આપવા વિચારશે. તેમણે આ પ્રકારનાં સ્ટેશનો બનાવટી સમાચારોની સમસ્યાનું સમાધાન કરવા સ્થાનિક  સ્ત્રોતોની મદદથી ખરાઈ કરીને એને અટકાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, તેમણે આ પ્રકારનાં સ્ટેશનોને બનાવટી સમાચારોની જાણકારી ઓલ ઇન્ડિયા રેડિયોને આપવા વિનંતી કરી હતી, જેથી સાચી જાણકારી વધુને વધુ લોકો સુધી પહોંચે. મંત્રાલયે પીઆઇબી અંતર્ગત ફાસ્ટ ચેક સેલ ઊભો કર્યો છે અને ફાસ્ટ ચેક સેલની ભૂમિકામાં કમ્યુનિટી રેડિયો પૂરક ભૂમિકા ભજવી શકે છે.

તાજેતરમાં કેન્દ્રીય નાણાં મંત્રી અને કોર્પોરેટ મંત્રીએ જાહેર કરેલા આત્મનિર્ભર ભારત પેકેજ વિશે શ્રી જાવડેકરે જણાવ્યું હતું કે, આ વિસ્તૃત પેકેજ હતું, જેમાં કૃષિ અને ઉદ્યોગ સહિત વિવિધ ક્ષેત્રો માટે સુધારા સામેલ હતા તથા પેકેજનો ઉદ્દેશ આયાત ઘટાડવાનો અને નિકાસને વેગ આપવાનો છે.

કમ્યુનિટી રેડિયો સરકારી રેડિયો (ઓલ ઇન્ડિયા રેડિયો) અને ખાનગી રેડિયો પ્રસારણ (એફએમ)ની સાથે રેડિયો પ્રસારણનું ત્રીજું ચક્ર છે. આ લો પાવર એફએમ રેડિયો સ્ટેશન છે, જે સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેની માલિકી અને વ્યવસ્થાપન સમુદાય પોતે કરે છે, જેનો આશય ૧૦થી ૧૫ કિલોમીટરની ત્રિજયામાં રહેતા સમુદાયને લાભદાયક માહિતી આપવાનો છે.

(2:44 pm IST)