Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

૩૧મી પછી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઇ શકાશે

સીમા પરનો પ્રતિબંધ દુર થાય તેવી શકયતા : જાહેર તથા ખાનગી વાહનો એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં જઇ શકશેઃ આર્થિક પ્રવૃત્તિને વેગ આપવા સરહદો ખોલવી જરૂરી છે : ઔદ્યોગિક એકમોને મોટો લાભ થશે : શ્રમિકોની અછત પણ દૂર થશે

નવી દિલ્હી તા. ૨૩ : લોકડાઉનને કારણે મજુરોના પલાયનથી આર્થિક ગતિવિધિ શરૂ કરવામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે. સાથોસાથ મજુરોને રોજગાર ઉપલબ્ધ કરાવવાનું પણ પડકારજનક બન્યું છે. લોકડાઉનમાં ચોથા તબક્કા પછી એટલે કે ૩૧મી મે પછી રાજ્યોની સરહદો ખોલવામાં આવે તેવી શકયતા છે. એટલે કે રાજ્યોની સરહદો ઉપરનો પ્રતિબંધ દુર થઇ શકે છે.

બીજી તરફ ઘરો સુધી પહોંચેલા મજૂરોને ત્યાં જ રોજગાર આપવા કેન્દ્ર સરકારમાં ઉચ્ચકક્ષાએ પ્રયાસો શરૂ થયા છે. આ માટે સામાજિક કલ્યાણ મંત્રી ગેહલોટના વડપણ હેઠળ પ્રધાનોનું જૂથ રચાયું છે.

લોકડાઉન ચોથા ચરણમાં પહોંચ્યા બાદ અને છુટછાટો સાથે આર્થિક ગતિવિધિને શરૂ કરવામાં મોટી બાધા શ્રમિકોની અછતની છે. રાજ્યોની સરહદો સાર્વજનિક પરિવહન અને ખાનગી પરિવહન માટે બંધ હોવાને કારણે મુશ્કેલી વધી છે.

સરકારનો એક વિચાર એ પણ છે કે જ્યારે ટ્રેન દ્વારા લોકો એક રાજ્યથી બીજા રાજ્યમાં જઇ શકતા હોય તો માર્ગ વાહન વ્યવહાર પણ ખોલી દેવો જોઇએ. આનાથી લોકોને કામકાજના સ્થળે પહોંચવામાં સરળતા મળશે અને સૌથી વધુ લાભ ઔદ્યોગિક એકમોને થશે જે મોટાભાગના રાજ્યોમાં સરહદી વિસ્તારોમાં છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૩૧મી મે એ જ્યારે ચોથુ લોકડાઉન પુરૂ થશે તો આ સરહદોને ખોલી શકાશે.

દરમિયાન ઘર વાપસી થયેલા મજુરોની વિગતો એકઠી કરવાનું કામ સરકારે શરૂ કર્યું છે કે જેથી તેઓને રોજગાર આપી શકાય.

(10:05 am IST)