Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

શપથવિધિ કાર્યક્રમ ઘણીરીતે વિપક્ષી પાર્ટીઓનો મેગા શો

ચૂંટણી પહેલા વિરોધ પક્ષો એક મંચ ઉપરઃ સોનિયા, રાહુલ ગાંધી, અખિલેશ, માયાવતી, કેજરીવાલ શરદ યાદવ તેમજ મમતા શપથવિધિમાં ઉપસ્થિત રહ્યા

બેંગ્લોર, તા. ૨૩: કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે આજે કુમારસ્વામીએ શપથ લીધા હતા. આ શપથવિધિને વિપક્ષી એકતા દર્શાવવા માટે પણ રજૂ કરવામાં આવી હતી. વિપક્ષે એકતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. શપથવિધિ કાર્યક્રમમાં અનેક વિપક્ષી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિપક્ષી પાર્ટીઓના મેગા શો તરીકે આ શપથવિધિને બનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. શપથવિધિમાં યુપીએના ચેરમેન સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી, પશ્ચિમ ગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, જેડીયુના પૂર્વ નેતા શરદ યાદવ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આરજેડીના નેતા તેજસ્વી યાદવ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબૂ નાયડુ, આરએલડીના પ્રમુખ અજીત સિંહ, ડાબેરી નેતા સીતારામ યેચુરી ઉપસ્થિત રહ્યા હતા. કર્ણાટકમાં સત્તા સંઘર્ષનો દોર લાંબા સમય સુધી ચાલ્યો હતો. શપથવિધિમાં કોંગ્રેસ અને અન્ય વિરોધ પાર્ટીઓના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ચંદ્રાબાબુ નાયડુએ તમામનું ધ્યાન ખેંચ્યું હતું. બસપના વડા માયાવતી અને સપાના વડા અખિલેશ યાદવ એકબીજાની નજીક બેઠેલા નજરે પડ્યા હતા.

સીપીઆઈએમના પાવરહાઉસ સીતારામ યેચુરી, એનસીપીના નેતા શરદ પવાર પણ ઉપસ્થિત રહ્યા હતા. શપથવિધિ દરમિયાન વરસાદના કારણે સ્થિતિને અસર થઇ હતી. જો કે, હળવા વરસાદી ઝાપટા બાદ ઉજવણીમાં અસર થઇ ન હતી. કાર્યકરો ભારે ઉત્સાહિત દેખાયા હતા. શપથ લેતા પહેલા કુમારસ્વામીએ કહ્યું હતું કે, ગઠબંધન સરકારના ચોક્કસ મર્યાદા રહેશે. તમામ મામલાઓ ઉપર કોંગ્રેસને વિશ્વાસમાં લઇને આગળ વધશે. મૈસુરમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેઓએ આ મુજબની વાત કરી હતી.

 

(7:57 pm IST)