Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

શ્રીદેવીના મોત પાછળ દાઉદ ઇબ્રાહિમનો હાથઃ અકસ્‍માતે ડુબી જવુ તે વાત સમજમાં આવે તેવી નથીઃ ભૂતપૂર્વ પોલીસ ઓફિસર વેદ ભૂષણે ફિલ્મ અભિનેત્રીના મોતના બનાવ અંગે સવાલ ઉઠાવ્યા

મુંબઇઃ ફિલ્મ અભિનેત્રી શ્રીદેવીના મોત પાછળ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો હાથ હોઇ શકે છે. શ્રીદેવીના મોત અંગે મુંબઇના ભૂતપૂર્વ પોલીસ ઓફિસર વેદ ભૂષણે સવાલો ઉઠાવ્યા છે અને આ અંગે તપાસ કરવા માંગણી કરી છે.

જ્યારે અચાનક જ શ્રીદેવીના મોતના ન્યૂઝ આવ્યાં હતાં ત્યારે સમગ્ર દેશ હતપ્રભ થઈ ગયો હતો. કોઈને ખબર જ ન રહી કે શ્રીદેવી સાથે અચાનક એવું તે શું થયું હતું? બધું એટલી ઝડપથી બન્યું હતું કે આજે પણ લોકો શ્રીદેવીના અવસાન પર વિશ્વાસ કરવા તૈયાર નથી. થોડા દિવસ પહેલા જ વેદ ભૂષણ નામના ભૂતપૂર્વ પોલીસ ઓફિસરે શ્રીદેવીની મોત પર સવાલ ઉઠાવ્યાં હતાં.

શ્રીદેવીના અવસાન પર સવાલ ઉઠાવતાં વેદ ભૂષણે જણાવ્યું હતું કે આ દુર્ઘટના નહીં મર્ડર લાગી રહ્યું છે. ઓફિસરે એ પણ જણાવ્યું કે આ ઘટના એક સમજી વિચારીને કરાયેલું કૃત્ય હોય શકે છે. હવે આ પોલીસ ઓફિસરે વધુ એક ખુલાસો કર્યો છે.

ઓફિસરનું કહેવું છે કે શ્રીદેવીના અવસાન પાછળ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો હાથ હોય શકે છે કારણકે દુબઈમાં તેનો ખૂબ જ દબદબો છે. પોલીસ ઓફિસરે એ પણ જણાવ્યું હતું કે દુબઈના પ્રિન્સ પરિવાર સાથે પણ દાઉદના સારા સંબંધો છે.

પોતાની શંકા દૂર કરવા માટે આ પોલીસ ઓફિસર એક રાત માટે પોતાની પ્રાઈવેટ તપાસ એજન્સી સાથે જુમૈરા એમિરેટ્સ હોટલ ટાવરમાં રોકાયો હતો. પોલીસ ઓફિસર જે હોટલમાં રોકાયો હતો તે હોટલ પણ દાઉદ ઈબ્રાહિમની જ છે. વેદ ભૂષણ તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનું વિચારી રહ્યાં છે જેથી શ્રીદેવીની મોતનું સાચું કારણ ખબર પડે.

નોંધનીય છે કે 24 ફેબ્રુઆરીના રોજ શ્રીદેવીનું દુબઈમાં અવસાન થયું હતું. તે મૃત અવસ્થામાં જ બાથટબમાંથી મળી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના અવસાનનું કારણ ડૂબવાથી મોત થયું હોવાનું જણાવાયું હતું. જોકે, રિપોર્ટ્સ અનુસાર ભૂતપૂર્વ ઓફિસરે દાવો કર્યો હતો કે તેણે બાજુના રુમમાં જઈને ડેથ સીન રિક્રિએટ કર્યો હતો અને જણાવ્યું હતું કે અકસ્માતથી ડૂબી જવું તે વાત સમજમાં આવે તેવી નથી.

(12:00 am IST)