Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

હોસ્પિટલો કેશલેસ કોવિડ સારવાર અને વીમા કલેઇમ માટે ના પાડી શકે નહીં: IRDAI

ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટીએ પરિપત્ર જાહેર કરી વીમા કંપનીઓને જણાવ્યું વીમા કંપનીઓ ખાતરી કરે કે નેટવર્ક હોસ્પિટલો લોકોને કેશલેસ સુવિધાનો લાભ આપે કોરોનાની સારવાર ગત માર્ચ ૨૦૨૦થી જ વ્યાપક વીમા હેઠળ આવરી લેવામાં આવી છે.

હૈદરાબાદ,તા.૨૩ : ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર બોડીએ ગુરુવારે વીમા કંપનીઓને કોવિડ -૧૯ દર્દીઓ માટે કેશલેસ સુવિધાની ના પાડતી નેટવર્ક હોસ્પિટલો સામે 'યોગ્ય પગલાં' લેવા નિર્દેશ આપ્યો છે. આ સલાહ એવા સમયે આવી છે જ્યારે કંપનીઓ કહે છે કે તેઓ કોવિડ સંબંધિત વધુ દાવા જોઈ રહ્યા છે કારણ કે ખાનગી હોસ્પિટલો કેશલેસ સુવિધાને નકારી રહી છે અને એન્ટીબાયોટીકસનો વધુ પડતો ઉપયોગ કરી રહી છે.

 કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ ગુરુવારે સાંજે આ અંગે ટ્વીટ કરીને કહ્યું હતું ''કેટલીક હોસ્પિટલો દ્વારા કેશલેસ વીમાને નકારવામાં આવતા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. મે IRDAIના અધ્યક્ષ એસ.સી.ખાંટિયા સાથે આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે વાત કરી હતી. માર્ચ'૨૦ માં કોવિડ-૧૯ બીમારીને વ્યાપક આરોગ્ય વીમાના ભાગ રૂપે શામેલ કરવામાં આવી હતી. ત્યારે તેની સારવાર માટે કેશલેસ સારવારની સુવિધા નેટવર્ક અથવા અસ્થાયી હોસ્પિટલોમાં પણ ઉપલબ્ધ છે.''

 તેમણે એમ પણ કહ્યું હતું કે ૨૦ એપ્રિલ સુધીમાં વીમા કંપનીઓ દ્વારા આશરે રૂ.૮,૬૪૨ કરોડના લગભગ ૯ લાખ કોવિડ સંબંધિત દાવાઓનું સેટલમેન્ટ કરવામાં આવ્યું છે. 'ટેલિ-કન્સલ્ટેશનને પણ આ દાવામાં આવરી શકાય છે. IRDAI દ્વારા કંપનીઓને કોવિડ કેસોના ઓથોરાઇઝેશન અને સેટલમેન્ટને પ્રાધાન્ય આપવાનો નિર્દેશ આપશે' એમ તેમના ટ્વીટમાં લખ્યું છે.

ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ઇરડાઇ)ના પરિપત્રમાં લખેલું છે ''વીમાદાતા ખાતરી કરશે કે જ્યાં પોલિસી ધારકને નેટવર્ક હેઠળના પ્રોવાઇડર પર કેશલેસ સુવિધાની ઉપલબ્ધતા અંગે સૂચિત કરવામાં આવે, ત્યાં આવા નેટવર્ક પ્રદાતામાં કેશલેસ સુવિધા પોલિસીધારકોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે પોલિસીના નિયમો અને શરતો અનુસાર અને એસ.એલ.એ. માં સહમત શરતો અનુસાર હોય.''

કંપનીઓને કેશલેસ સુવિધાની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પણ કહેવામાં આવ્યું છે.

વીમા કંપનીઓનો મુખ્ય વિરોધ એ છે કે હોસ્પિટલો દેશભરમાં કોવિડ ટ્રીટમેન્ટ માટે જુદા જુદા દરો લે છે. મેકસ બૂપા હેલ્થ ઇન્સ્યુરન્સના પ્રોડકટ્સ અને કલેઇમ્સના ડિરેકટર અન્ડરરાઇટિંગ, ભબતોશ મિશ્રાએ જણાવ્યું હતું કે પ્રથમ લહેર દરમિયાન, કોવિડ દર્દીની હોસ્પિટલમાં રહેવાની સરેરાશ લંબાઈ લગભગ ૧૦ દિવસની હતી. તે ડિસેમ્બર ૨૦૨૦ના અંત સુધીમાં સાત દિવસની થઈ ગઈ છે.

 પહેલી લહેર દરમિયાન સરેરાશ દાવાઓ રૂ. ૧.૩ લાખના રહેતા હતા. ત્યારે બીજી લહેરમાં, જ્યારે હોસ્પિટલમાં દાખલ થવાનાં સરેરાશ દિવસોની સંખ્યા સાત દિવસની આસપાસ રહે છે, પરંતુ દાવાની સાઇઝ વધીને રુ. ૧.૪ લાખ થઈ ગઈ છે.'' તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે, ''દાખલા તરીકે, ગયા વર્ષથી વિપરીત, અમે આ દાવાઓમાં ઈંજેકશન મેરોપેનેમ અને ટાર્ગોસિડ જેવી હાઈ એન્ડ એન્ટીબાયોટીકસનો ઉપયોગ જોઈ રહ્યા છીએ. તેનાથી દાવાઓના એકંદર કદમાં વધારો થયો છે.''

વીમા કંપનીના અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે ફ્રોડ કલેમ મેનેજમેન્ટ પણ એક મોટો મુદ્દો બની ગયો છે કારણ કે ખોટા પોઝિટિવ રિપોર્ટ અને હોસ્પિટલમાં દાખલ થવાના ખોટા દાવાના કિસ્સાઓ વધવાનું શરૂ થયું છે.

 અધિકારીએ જણાવ્યું હતું કે, કોવિડના સમયમાં વ્યકિતગત રૂપે હોસ્પિટલોની મુલાકાત લેવી અને અમને શંકા હોય તેવા દાવાઓ અને કેસોની ચકાસણી કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે.

 આઇસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સના કલેઇમ્સ એન્ડ રિઇન્સ્યુરન્સના ચીફ-અન્ડરરાઇટિંગ સંજય દત્તાએ પણ ઉમેર્યું હતું કે હાલ ખાલી વધુ કોવિડ દાવાઓ વિશે જ નથી. તેમણે કહ્યું કે એકંદરે તમામ પ્રકારના આરોગ્ય વીમા દાવા વધી રહ્યા છે કારણ કે ગયા વર્ષે જેમણે આરોગ્ય પ્રક્રિયાઓ મોકૂફ રાખી હતી તેમાના ઘણા લોકોએ તે માટે આગળ વધવાની શરૂઆત કરી દીધી છે.

(11:04 am IST)