Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ચોકીદાર ચોર હૈ નિવેદનને લઇ રાહુલગાંધી સુપ્રીમમાં દુખ વ્યક્ત કર્યું

ચૂંટણીની ઉત્તેજનામાં આવીને નિવેદન કર્યું હતું : રાહુલગાંધી ની દલીલ : સુપ્રીમ કોર્ટમાં સમગ્ર મામલામાં આજે સુનાવણી હાથ ધરાશે : સુપ્રીમ કોર્ટના આદેશને જોયા અને વાંચ્યા વગર વડાપ્રધાન નરેન્દ્રમોદીની સામે પ્રચારમાં નિવેદન કર્યું

નવી દિલ્હી,તા. ૨૨ : કોંગ્રસ પ્રમુખ રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટમાં પોતાના ચોકીદાર ચોર હેના નિવેદનન લઇને આજે દુખ વ્યક્ત કર્યુ હતું. સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે ચૂંટણીની ઉત્તેજનામાં આ નિવેદન કરવામાં આવ્યુ હતુ. રાફેલ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાના અનુસંધાનમાં રાહુલ ગાંધીએ આ પ્રકારની ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં તેમની સામે દાખલ કરવામાં આવેલી તિરસ્કાર અરજીના જવાબાં રાહુલ ગાંધીએ આજે કહ્યું હતું કે, રાજકીય પ્રચારના અનુસંધાનમાં આ નિવેદન કરવામાં આવ્યું હતું. તેમના હરીફ લોકો દ્વારા આ સૂચનને ખોટીરીતે રજૂ કરવામાં આવ્યું હતું. તેઓએ જાણી જોઇને ઇરાદાપૂર્વક આવું નિવેદન કર્યું ન હતું. ગાંધીએ કહ્યું હતું કે, તેમના મનમાં આ પ્રકારની કોઇપણ ભાવના રહેલી નથી. પોતાની એફિડેવિટમાં રાહુલે કહ્યું હતું કે, મોદી સામે તેમનું નિવેદન રાજકીય પ્રચાર વેળા કરવામાં આવ્યું હતું. ૧૦મી એપ્રિલના દિવસે સુપ્રીમ કોર્ટના આદેશને વાંચ્યા વગર અથવા તો જોયા વગર આ નિવેદન કરવામાં આવ્યું હતું. કોર્ટ કાર્યવાહીના સંદર્ભમાં નુકસાન પહોંચાડવાનો કોઇ હેતુ ન હતો. ભાજપના નેતા મિનાક્ષી લેખીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને આક્ષેપ કર્યો હતો કે, રાહુલ ગાંધીએ જાણી જોઇને કોર્ટનો તિરસ્કાર કર્યો છે. રાહુલ ગાંધીના આ નિવેદનને લઇને કોંગ્રેસ પાર્ટીને ફટકો પડી શકે છે. કારણ કે રાહુલ ગાંધી વારંવાર શબ્દોનો ઉપયોગ કર્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા નવા દસ્તાવેજોના આધાર પર રાફેલ ડીલ પર ફેરવિચારણા અરજી સ્વીકાર કરવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીએ આ નિવેદન કર્યુ હતુ. રાહુલ ગાંધીએ એ વખતે કહ્યુ હતુ ક હવે સુપ્રીમ કોર્ટ પર સ્વીકારે છે કે ચોકીદાર ચોર છે. સુપ્રીમ કોર્ટે ત્યારબાદ રાહુલ ગાંધીને નોટીસ ફટકારીન ૨૨મી એપ્રિલ સુધી જવાબ આપવા માટે કહ્યુ હતુ. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇના નેતૃત્વમાં બેંચે કહ્યુ હતુ કે કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે કોઇ ટિપ્પણી કરી ન હતી. રાહુલ ગાંધી પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણીને  ખોટી રીતે રજૂ કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આ મામલે મંગળવારના દિવસે સુનાવણી કરવામાં આવનાર છે. આ મામલાની સુનાવણી કરતા કોર્ટે કહ્યુ હતુ કે અમે સ્પષ્ટ કરીએ છીએ કે રાહુલ ગાંધીએ આ અદાલતનુ નામ લઇને રાફેલના સંબંધમાં મિડિયા અને જનતામાં જે કઇ પણ વાત કરી તે ખોટી રીતે રજૂ કરી હતી.સુપ્રીમ કોર્ટે રાફેલના મામલામાં ૧૦મી એપ્રિલના દિવસે કેન્દ્ર સરકારને મોટો ફટકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે રાફેલ મામલામાં રિવ્યુ પિટિશન ઉપર નવેસરના દસ્તાવેજોના આધાર પર સુનાવણી કરવાનો ફેંસલો કર્યો હતો. સીજેઆઈ રંજન ગોગોઈના નેતૃત્વમાં ત્રણ સભ્યોની બેંચ દ્વારા સર્વસંમતિથી આ અંગેનો નિર્ણય કર્યો હતો. બેંચે કહ્યું છે કે, જે નવા દસ્તાવેજો ડોમેનમાં આવ્યા છે તેના આધાર પર મામલામાં રિવ્યુ પિટિશન ઉપર સુનાવણી કરવામાં  આવશે. બેંચમાં સીજેઆઈ ઉપરાંત જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફ પણ હતા. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં લીક દસ્તાવેજના આધાર પર રિવ્યુ પિટિશન પર સુનાવણીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, આ દસ્તાવેજ વિશેષાધિકારવાળા ગુપ્ત દસ્તાવેજ છે જેથી રિવ્યુ પિટિશન ફગાવી દેવામાં આવે તે જરૂરી છે. સરકારે એમ પણ કહ્યું હતું કે, જે દસ્તાવેજ પ્રશાંત ભૂષણે રિવ્યુ પિટિશનની સાથે રજૂ કર્યા છે તે વિશેષાધિકારવાળા દસ્તાવેજ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા ગુપ્ત દસ્તાવેજ છે. રાફેલ ડિલમાં પોતાના ચુકાદા પર ફેરવિચારણા કરવાની માંગ કરતી અરજીઓ ઉપર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે છેલ્લે ૧૪મી માર્ચના દિવસે લીક દસ્તાવેજો ઉપર કેન્દ્રના વિષેશાધિકારના દાવા પર આદેશ અનામત રાખી દીધો હતો. હકીકતમાં કેન્દ્ર સરકારે એ વખતે રાફેલ યુદ્ધ વિમાનો સાથે સંબંધિત દસ્તાવેજો ઉપર વિશેષાધિકારનો દાવો કર્યો હતો અને સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, કેટલીક જોગવાઇ હેઠળ કોઇપણ સંબંધિત વિભાગની મંજુરી વગર કોઇપણ પુરાવા રજૂ કરી શકાય નહીં.  એ વખતે એજીએ એમ પણ કહ્યું હતું કે, કોઇપણ રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત દસ્તાવેજો પ્રકાશિત કરી શકે નહીં. રાષ્ટ્રની સુરક્ષા સર્વોપરી છે. અગાઉ ૧૪મી માર્ચના દિવસે વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, રાફેલના જે દસ્તાવેજો પર એટર્ની જનરલ વિશેષાધિકારનો દાવો કરી રહ્યા છે તે દસ્તાવેજો પ્રકાશિત થઇ ચુક્યા છે. સાર્વજનિક હદમાં છે.

 

(12:00 am IST)