Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

દીપક મિશ્રા સામેના મહાભિયોગ પ્રસ્‍તાવ રદ્દ થવાથી કપિલ સિબ્બલ નારાજઃ ટેક્નીકલ બાજુ જાણવા માટે વેંકૈયા નાયડુઅે વકીલો સાથે વાત કરી હોત તો આવો નિર્ણય ન લેતઃ અમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીશું

નવી દિલ્‍હીઃ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દીપક મિશ્રા સામે મહાભિયોગ પ્રસ્‍તાવ રદ્દ કરવાથી પૂર્વ કાયદા મંત્રી અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે નારાજગી વ્‍યક્ત કરી છે અને આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાનું જણાવ્યું છે.

કપિલ સિબ્બલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે આ ઉતાવળમાં લેવામાં આવેલો નિર્ણય છે. તેમણે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ દ્વારા લેવામાં આવેલા ફેંસલા પર કહ્યું કે, 'ટેક્નિકલ બાજુ જાણવા માટે તેઓ વકીલો સાથે વાત કરી લેતા તો તેઓ આવો નિર્ણય ન લેતા. અમે આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીશું. અમે ઇચ્છીએ છીએ કે આ અંગે સીજેઆઈ કોઈ સુનાવણી નહીં કરે. અમે સુપ્રીમ કોર્ટ જે પણ નિર્ણય આપશે તેને માન્ય રાખીશું.'

નોંધનીય છે કે ભારતના એટર્ની જનરલ કેકે વેણુગોપાલ અને બંધારણના નિષ્ણાતો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જ ઉપરાષ્ટ્રપતિએ આ નિર્ણય લીધો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે સીજેઆઇ વિરુદ્ધ લગાવવામાં આવેલા તમામ આરોપ પાયાવિહોણા જણાયા હતા. જેના બાદમાં આ પ્રસ્તાવ રદ કરી નાખવામાં આવ્યો હતો. દીપક મિશ્રા સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે કોંગ્રેસની આગેવાનીમાં સાત વિપક્ષી પાર્ટીઓએ એક ડ્રાફ્ટ ઉપરાષ્ટ્રપતિને સોંપ્યો હતો. જેમાં 71 સાંસદોના હસ્તાક્ષર હતા.

રાજ્યસભા સચિવાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નાયડૂએ અરજીને મંજૂર કે રદ કરવા અંગે બંધારણ વિશેષજ્ઞ સુભાષ કશ્યપ, પૂર્વ વિધિ સચિવ પીકે મલ્હોત્રા સહિત અન્ય નિષ્ણાતોની કાયદાકીય સલાહ લીધી હતી.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઇ) દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ લાવવા માટે ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડૂને નોટિસ આપ્યા બાદ કોંગ્રેસ વધારે આક્રમક થઈ ગઈ છે. સોમવારે રાહુલ ગાંધી સંવિધાન બચાવો અભિયાનની શરૂઆત કરશે. તો કોંગ્રેસના સીનિયર નેતા તેમજ એડ્વોકેટ કપિલ સિબ્બલે જાહેરાત કરી છે જો જસ્ટિસ દીપક મિશ્રા તેમના પદ પરથી નહી હટે તો તેઓ ભવિષ્યમાં ક્યારેય તેમની કોર્ટમાં નહીં જાય.

અંગ્રેજી વર્તમાનપત્ર 'ઇન્ડિયન એક્સપ્રેસ'માં છપાયેલા સમાચાર પ્રમાણે, કપિલ સિબ્બલે સોમવારે સીજેઆઇની કોર્ટમાં હાજર નહીં રહેવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી દીપક મિશ્રા નિવૃત્ત નહીં થાય ત્યાં સુધી તેઓ તેમની કોર્ટમાં હાજર નહીં રહે. વ્યવસાયના સિદ્ધાંતોનો હવાલો આપીને સિબ્બલે આવી જાહેરાત કરી હતી.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના સમાચાર પ્રમાણે સિબ્બલે કહ્યું કે, 'મહાભિયોગ ડ્રાફ્ટ પર અલગ અલગ રાજકીય પાર્ટીના 71 સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે. મારા ઉપરાંત અનેક લોકોએ સીજેઆઇને હટાવવાની માંગણી કરી છે. હું સોમવારથી કોર્ટ નહીં જાઉં.' નોંધનીય છે કે કોંગ્રેસના નેતા તેમજ સીનિયર એડ્વોકેટ કપિલ સિબ્બલ છેલ્લા ઘણા સમયથી સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે.

શુક્રવારે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ (CJI) વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવા માટે કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે જરૂરી ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. આ પ્રક્રિયા બાદ વિપક્ષી દળોએ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સાથે મુલાકાત કરી હતી અને તેમને આ મહાભિયોગનો ડ્રાફ્ટ સોંપ્યો હતો.

ઉપરાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ કોંગેસના નેતા ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આઝાદે જણાવ્યું હતું કે, સીજેઆઈ દીપક મિશ્રા વિરુદ્ધ પાંચ મુખ્ય મુદ્દે મહાભિયોગ લાવવાનો અમે પ્રસ્તાવ તૈયાર કર્યો છે. ન્યાયતંત્રની સ્વતંત્રતા તેમજ નિષ્પક્ષતા અને લોકશાહીની રક્ષા માટે આ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. અમને આશા છે કે ઉપરાષ્ટ્રપતિ તેનો સ્વીકાર કરશે.

ગુલામ નબી આઝાદે વધુમાં જણાવ્યું હતું કે, 'મહાભિયોગ પ્રસ્તાવ ઉપર અત્યાર સુધીમાં 71 સાંસદો હસ્તાક્ષર કરી ચુક્યા છે. જો કે,આ પૈકીના 7 નિવૃત થઇ ચુક્યા છે. તેમ છતાં, આ સંખ્યા આવશ્યક સંખ્યાથી વધારે છે.'

(7:56 pm IST)