Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

પાકિસ્તાનમાં કોરોના કહેર જારી : કેસોની સંખ્યા ૭૭૬

મોતનો આંકડો વધીને ૧૩ ઉપર પહોંચી ગયો : પાકિસ્તાનમાં કોરોના સામે લડવા પુરતી સુવિધાઓ નથી

ઇસ્લામાબાદ, તા. ૨૩: કોરોના વાયરસના કારણે પાકિસ્તાનની હાલત હવે વધુને વધુ ખરાબ થઇ રહી છે. આના માટે કારણ એ છે કે પાકિસ્તાનમાં કોરોના સામે લડવા માટે પુરતી સુવિધા નથી. આવી સ્થિતીમાં કેસો અને મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. આજે પાકિસ્તાનમાં વધુ કેસો સપાટી પર આવતા કેસોની સંખ્યા વધીને ૭૭૬ સુધી પહોંચી ગઇ છે. જ્યારે મોતનો આંકડો ૧૩ સુધી પહોંચી ગયો છે.  પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં વેન્ટીલેટરની નિકાસ ઉપર ચીનને બાદ કરતા સમગ્ર દુનિયામાં પ્રતિબંધ હોવાના કારણે પરેશાની આવી રહી છે.  દેશને મહાસંકટમાંથી બચાવી લેવા માટે ઇમરાન સરકારે અનેક ટ્રેનો રોકી દીધી છે. ઇન્ફેક્શનને રોકવા માટે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઈન્સે પોતાની તમામ ફ્લાઇટો અટકાવી દીધી છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઈન્સના પ્રવક્તાએ કહ્યું છે કે, સરકારના આદેશ ઉપર તમામ ઉંડાણો રોકવામાં આવી છે. આ નિર્ણય ૨૮મી માર્ચના દિવસ સુધી અમલી રહેશે. રેલવે મંત્રી શેખ રાશીદ અહેમદે કહ્યું છે કે, દેશમાં ૩૪ ટ્રેનોના સંચાલનને રમઝાનના ૧૪માં દિવસ સુધી રોકી દેવામાં આવશે. કોરોના વાયરસના લીધે લોકો ટ્રેનોમાં ઓછી મુસાફરી કરી રહ્યા છે.  પાકિસ્તાનમાં વસતીની દ્રષ્ટિએ બીજા સૌથી મોટા પ્રદેશ સિંધમાં કોરોના વાયરસનો આતંક વધી રહ્યો છે. એકલા સિંધમાં કોરોનાના ૨૯૨થી વધારે મામલા સપાટી ઉપર આવી ચુક્યા છે. સિંધમાં સ્થિતિને ધ્યાનમાં લઇને એમ માનવામાં આવે છે કે ટૂંક સમયમાં જ સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવશે. સંકટને ધ્યાનમાં લઇને બલુચિસ્તાનની સરકારે સેનાને તૈનાત કરી દીધી છે. સરકારને દહેશત છે કે, જો આવી સ્થિતિ સર્જાશે તો પ્રાંતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ શકે છે. બલુચિસ્તાનમાં કોરોનાના ૧૦૪ લોકો અસરગ્રસ્ત થયા છે.

સમગ્ર પાકિસ્તાનમાં ટેસ્ટિંગ કિટ જોવા મળી રહી નથી. કોરોનાથી બીજા સૌથી પ્રભાવિત ક્ષેત્રમાં પંજાબનો સમાવેશ થાય છે જ્યાં જીવન રક્ષક સાધનોની ખુબ કમી થયેલી છે. પંજાબ પાકિસ્તાનના સૌથી મોટા વસતીવાળા રાજ્ય તરીકે છે. અહીં ૧૫૨થી વધુ  લોકો સકંજામાં આવ્યા છે. પાકિસ્તાનમાં સામાન્ય લોકોની સ્થિતી ખરાબ થઇ રહી છે. તંત્રના લોકો સ્થિતીને સરળ બનાવવા માટે લાગેલા છે. જો કે સ્થિતી હજુ ખરાબ થઇ શકે છે. શંકાસ્પદ કેસો પણ વધારે છે.(૯.૧૧)

પાકમાં કોરોના કહેર...

ઇસ્લામાબાદ, તા. ૨૨: કોરોના વાયરસના કારણે પાકિસ્તાનની હાલત પમ ખરાબ થઇ રહી છે. પાકિસ્તાનમાં કેસોની સંખ્યા ૬૪૫ સુધી પહોંચી ગઈ છે અને ત્રણ લોકોના મોત થઇ ચુક્યા છે. પાકિસ્તાનમાં વસતીની દ્રષ્ટિએ બીજા સૌથી મોટા પ્રદેશ સિંધમાં કોરોના વાયરસનો આતંક વધી રહ્યો છે. એકલા સિંધમાં કોરોનાના ૨૯૨ મામલા સપાટી ઉપર આવી ચુક્યા છે. હાલત એટલી ખરાબ છે કે સિંધમાં વ્યવસ્થાને સાચવવા માટે સેનાને બોલાવવામાં આવી છે. પાકિસ્તાનમાં કોરોનાની સ્થિતિ નીચે મુજબ છે.

કેસોની સંખ્યા................................................ ૬૪૫

મોતનો આંકડો................................................. ૦૩

રિકવર થયેલા લોકો.......................................... ૧૩

એક્ટિવ કેસોની સંખ્યા..................................... ૬૨૯

ગંભીર લોકોની સંખ્યા........................................ ૦૨

(4:04 pm IST)