Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

બિહાર : સીટોની વહેંચણી થઇ, કોંગીને નવ સીટ મળી

બિહારમાં મહાગઠબંધન પર સંકટના વાદળો દૂર : આરજેડી ૨૦ સીટો ઉપર ચૂંટણી લડશે : શિવસેના દ્વારા ૨૧ અને બસપ દ્વારા ૧૧ ઉમેદવારોને જાહેર કરી દેવાયા

પટણા, તા. ૨૨ : લોકસભા ચૂંટણીના મુદ્દા ઉપર બિહારમાં મહાગઠબંધને સીટોની વહેંચણીની જાહેરાત કરી દીધી છે. આની સાથે જ બિહારમાં મહાગઠબંધનને લઇને સંકટના વાદળો વિખેરાઈ ગયા છે. સમજૂતિ મુજબ મહાગઠબંધનમાં આરજેડીને ૨૦ સીટો અને કોંગ્રેસને ૯ સીટો આપવામાં આવી છે. સીપીઆઈએમએલને આરજેડીએ પોતાના ખાતામાંથી એક સીટ આપી છે. રાષ્ટ્રીય જનતા દળના પ્રવક્તા મનોજ ઝાએ કહ્યું છે કે, બેઠક બાદ તમામ મુદ્દે નિર્ણય લેવામાં આવ્યા છે. બેઠકમાં તેજસ્વી યાદવ, શરદ યાદવ, જીતનરામ માંઝી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાગઠબંધનમાં નવાદા સીટ આરજેડીના ખાતામાં ગઈ છે. મહાગઠબંધનમાં બિહારની ૪૦ લોકસભા સીટમાં આરજેડીને ૨૦, કોંગ્રેસને નવ, રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીને પાંચ, હિન્દુસ્તાન અવામ મોરચાને ત્રણ, વીઆઈપીને ત્રણ, સીપીઆઈએમએલને આરજેડીના ક્વોટામાંથી એક સીટ આપવામાં આવી છે. બિહારની બે વિધાનસભા સીટ પર પેટાચૂંટણી પણ યોજાનાર છે. ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. નવાદાથી હિન્દુસ્તાની અવામ મોરચાના ધીરેન્દ્રકુમાર ચૂંટણી લડશે જ્યારે ડેહરીમાંથી આરજેડી ઉમેદવાર મોહમ્મદ ફિરોઝ ચૂંટણી લડશે. બીજી બાજુ રાજકીય ગરમીના દોર વચ્ચે ઉમેદવારો દ્વારા યાદી જાહેર કરવાનો સિલસિલો જારી રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીએ ૧૧ ઉમેદવારોની પોતાની પ્રથમ યાદી આજે જારી કરી હતી. માયાવતી ચૂંટણી લડનાર નથી. પહેલા એવી ચર્ચા હતી કે, માયાવતી નગીનામાંથી ચૂંટણી લડશે પરંતુ માયાવતીએ પોતે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. શિવસેનાએ પણ ૨૧ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપ અને શિવસેના ૪૮ લોકસભા સીટ પર સાથે મળીને ચૂંટણી લડશે જેમાં શિવસેના ૨૩ અને ભાજપ ૨૫ સીટો ઉપર ચૂંટણી લડશે.

 

(12:00 am IST)