Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યથી ૫,૦૦૦ કરોડ વધારે મળ્યા

સીપીએસઈના નવા તબક્કાથી ૯૫૦૦ કરોડ : આરઈસી-પીએફસી સોદાથી ૧૪૫૦૦ કરોડ મળી ગયા

નવી દિલ્હી, તા. ૨૨ : નાણાંમંત્રી અરુણ જેટલીએ આજે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, નાણાંકીય વર્ષ માટે ડિસઇન્વેસ્ટમેન્ટના ટાર્ગેટ કરતા ૫૦૦૦ કરોડ સુધી વધારાના મળી ગયા છે. આની સાથે જ આ આંકડો ૮૫૦૦૦ કરોડ સુધી પહોંચી ગયો છે. નાણામંત્રીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, વર્તમાન નાણાંકીય વર્ષ માટે ડિસઇન્વેસ્ટમેન્ટ માટે ૮૦૦૦૦ કરોડના ટાર્ગેટની સામે ડિસઇન્વેસ્ટમેન્ટનો આંકડો આજે ૮૫૦૦૦ કરોડ સુધી પહોંચી ગયો છે. સરકારે સીપીએસઈઇટીએફના પાંચમા તબક્કામાંથી ૯૫૦૦ કરોડ રૂપિયા એકત્રિત કરી લીધા છે. ૧૪૫૦૦ કરોડ રૂપિયા આરઈસી-પીએફસી સોદાબાજીમાંથી મળી ગયા છે. આગામી નાણાંકીય વર્ષ માટે ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ ૯૦૦૦૦ કરોડ રૂપિયા રાખવામાં આવ્યો છે.  બીજી બાજુ એર ઇન્ડિયાને મજબૂત કરવાની દિશામાં પણ ફરીવાર પહેલ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ એર ઇન્ડિયામાં ડિસઇન્વેસ્ટમેન્ટ પહેલા મજબૂતી લાવવાના પ્રયાસ કરવામાં આવી શકે છે. એર ઇન્ડિયાને ડિસઇન્વેસ્ટમેન્ટ પહેલા નાણાંકીયરીતે મજબૂત કરવામાં આવશે. કેન્દ્રીયમંત્રી સુરેશ પ્રભુ દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. તેમનું કહવું છે કે, એર ઇન્ડિયાને ડિસઇન્વેસ્ટમેન્ટના નવા રાઉન્ડની શરૂઆત કરતા પહેલા નાણાંકીયરીતે મજબૂત કરવામાં આવશે. યોજના મુજબ જ એર ઇન્ડિયા તેની માર્કેટ હિસ્સેદારીને વધારવા કેટલાક નવા વિમાનો ઉમેરશે.

સર્ચ કમ સિલેક્શન સમિટિ દ્વારા કંપની માટે બેસ્ટ મેનેજમેન્ટ ટેલેન્ટની શોધ કરવામાં આવી રહી છે. એરલાઈન દ્વારા ડિસઇન્વેસ્ટમેન્ટની દિશામાં આગળ વધતા પહેલા કેટલાક પગલા લેવામાં આવશે. અરુણ જેટલીનું કહેવું છે કે, નાણાંકીય વર્ષ ૨૦૧૯ના ડિસઇન્વેસ્ટમેન્ટના ટાર્ગેટ કરતા પાંચ હજાર કરોડ રૂપિયા વધારે આવી ગયા છે.

(12:00 am IST)