Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ગાંધીનગરની લોકસભા સીટ ઉપર અમિતભાઇ શાહ પહેલા અટલજી-રાજેશ ખન્‍ના પણ ચૂંટણી લડયા છે

ગુજરાત :લોકસભા ચૂંટણીમાં માસ્ટરસ્ટ્રોક ફટકારતા ભાજપે ગાંધીનગરથી મેદાનમાં ઉતાર્યા છે અમિત શાહને. છેલ્લી 5 ટર્મથી ગાંધીનગરના સાંસદ અડવાણીની ટિકિટ કાપીને અમિત શાહની પસંદગી કરાઈ છે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક જીતવાની રણનીતિના ભાગરૂપે જ ભાજપે અમિત શાહ સ્વરૂપે ફટકાર્યો છે પહેલો ઘા રાણાનો. અમિત શાહના કારણે ગુજરાત ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો નવો દોરીસંચાર થશે. ગાંધીનગર બેઠક માટે જ્યારે નિરીક્ષકો સેન્સ લેવા પહોંચ્યા હતા, તો કોઈ નેતાએ ઉમેદવારી નોંધાવી ન હતી. તમામ કાર્યકરોની એક જ માગ હતી કે ગાંધીનગરમાં અમિત શાહને ઉમેદવાર બનાવવામાં આવે અને કાર્યકરોની માગને સ્વીકારતા ભાજપે નિર્ણય પણ આવો જ લીધો. સંભાવના એવી છે કે અમિત શાહ હવે ભાજપ સંગઠનના બદલે સરકારમાં જોડાશે. અમિત શાહ આખા દેશમાં ભાજપનો પ્રચાર કરી શકે અને પોતે જ્યાંથી લડતા હોય તે બેઠકમાં વધુ તકલીફ ન પડે એટલે પણ ગાંધીનગર પર પસંદગી ઉતારાઈ છે.

ગાંધીનગર બેઠકની વાત કરીએ તો આ બેઠક ભાજપનો હંમેશાથી જ ગઢ છે. 1989થી ગાંધીનગરમાં ભાજપ જીતી રહી છે. 1989માં શંકરસિંહ ભાજપ તરફથી લડીને જીત્યા હતા. સતત 9 ટર્મથી ગાંધીનગરમાં ભાજપની જીત થઈ છે. તેમાં પણ છેલ્લી 5 ટર્મથી ગાંધીનગરના સાંસદ લાલકૃષ્ણ અડવાણી રહ્યાં છે. મોટાભાગે આ બેઠક પર રાષ્ટ્રીય નેતાઓ લડે છે. જેથી ગાંધીનગરમાં સ્થાનિક પરિબળો ગૌણ બને છે. ઘણાને ખબર નથી કે 1996માં ગાંધીનગર બેઠક પર વાજપેયીની પણ જીત થઈ હતી. પણ પછી તેમણે આ બેઠક છોડી દીધી. પેટાચૂંટણીમાં અભિનેતા રાજેશ ખન્નાને હરાવી ભાજપના ઉમેદવારની જીત થઈ હતી.

જ્ઞાતિનું ગણિત

ગાંધીનગર લોકસભા બેઠક પર કુલ 19 લાખ 20 હજાર મતદારોમાંથી પટેલ 2.50 લાખ, વણિક 1.45 લાખ, ઠાકોર 1.30 લાખ અને દલિત 1.90 લાખ મતદારો છે. ગાંધીનગર બેઠક પર ભાજપ અધ્યક્ષ ના લડવાથી ઉત્તર ગુજરાતની 4 બેઠકો પર સીધી અસર જોવા મળશે અને ભાજપની 26 બેઠકો જીતવાના લક્ષ્યાંકને સાકાર કરવાની શક્યતાઓ વધશે. અમિત શાહના નામની જાહેરાત સાથે જ કાર્યકરોમાં ઉત્સાહ છે અને તમામ બેઠકો ભાજપ જીતશે.

કેમ ગાંધીનગરથી લડી રહ્યા છે શાહ

- લોકસભા ચૂંટણી જીતવાથી પ્રજાના પ્રતિનિધિ અને નેતા હોવાનો મેસેજ અપાશે

- ગાંધીનગર બેઠક ભાજપનો ગઢ છે, શાહને પ્રચાર કરવાની પણ જરૂર નહીં પડે

- અમિત શાહ આ લોકસભાના સ્થાનિક નેતા પણ છે

- અમિત શાહની જૂની સરખેજ વિધાનસભા અને નારણપુરા પણ આ જ લોકસભા હેઠળ આવે છે

- અમિત શાહના લડવાથી મધ્ય અને ઉત્તર ગુજરાતની લોકસભા બેઠકો પર સીધી અસર

- રાષ્ટ્રીય નેતા એલ.કે. અડવાણીનું સ્થાન લઈને જીતશે એટલે અમિત શાહની દિગગજ રાષ્ટ્રીય નેતાની છાપ વધુ મજબૂત બનશે

(12:00 am IST)