Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

પુત્રના લગ્નમાં 1000 મહેમાનોની હાજરી ભાજપના પૂર્વ સાંસદ સામે નોંધાયો કેસ

ધનંજય મહાદિકના દિકરાના લગ્નમાં ફડણવિસ સહિતના નેતાએ માસ્ક પહેર્યા નહીં: હાજરી બાદ ખાદ્યમંત્રી છગન ભુજબળ પણ સંક્રમિત થઇ ગયા

પુણેઃ મહારાષ્ટ્રમાં ભાજપના પૂર્વ સાંસદ ધનંજય મહાદિક સામે કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલે કેસ નોંધવામાં આવ્યો છે. ધનંજયના દિકરાના વીવીઆઇપી લગ્નમાં માસ્ક નહીં પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોના લીરેલીરા ઉડ્યા હતા. અનેક હસ્તિઓએ માસ્ક પહેર્યા નહતા. તેમાં જ હાજરી બાદ એનસીપી નેતા અને ખાદ્યમંત્રી છગન ભુજબળ પણ સંક્રમિત થઇ ગયાહતા

રવિવારે પુણેના હદપસર વિસ્તારમાં યોજાયેલા ધંનજયના પુત્રના લગ્નના નિયમોના ઉલ્લંઘન બદલ અન્ય બે લોકોની વિરુદ્ધ પણ કેસ કરવામાં આવ્યો છે. આ બંને લક્ષ્મી લોન્સના માલિક અને મેનજર છે.
વરિષ્ઠ પોલીસ નિરિક્ષક બાલકૃષ્ણ કદમે આ માહિતી આપી. જણાવવામાં આવી રહ્યુ છે કે આ લગ્નમાં એનસીપી પ્રમુખ શરદ પવાર, શિવસેના નેતા સંજય રાઉત અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ પહોંચ્યા હતા

લગ્ન સમારોહમાં 200થી વધુ મહેમાનોના આવવા પર પ્રતિબંધ છતાં મહાદિકના દીકરાના લગ્નમાં એક હજારથી પણ વધુ મહેમાનો પહોંચ્યા હતા.

આ લગ્ન સમારોહમાં નેતાઓનો મેળો જોવા મળ્યો હતો. એનસીપી પ્રમુખ શરદ પવાર, બીજેપી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા પણ સામેલ થયા હતા. ફડણવીસ માસ્ક પહેર્યા વગર પહોંચ્યા હતા. આ ઉપરાંત લગ્ન સમારોહમાં સંજય રાઉત અને અરવિંદ સાવંત પણ નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ચેતવણી આપી છે કે જો કોરોનાના નિયમોને નહીં માનવામાં આવે તો સમગ્ર રાજ્યમાં ફરી લૉકડાઉન લાગુ કરવામાં આવી શકે છે. નોંધનીય છે કે કોવિડ-19ના વધતા કેસોને કારણે રાજ્યમાં સોમવારથી તમામ રાજકીય, ધાર્મિક અને સામાજિક મેળાવડા પર રોક લગાવી દેવામાં આવી છે.

રવિવારે ભાજપના પૂર્વ સાંસદના પુત્રના લગ્ન થયા હતા. આ દિવસે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કોરોનાને લઇ રાજ્યના લોકોને સંબોધિત કરી રહ્યા હતા. મુખ્યમંત્રીએ માસ્ક લગાવવાની કડક સૂચના આપી હતી, પરંતુ આ લગ્ન સમારંભમાં નેતા જ નિયમોના ધજાગરા ઉડાડતા નજરે પડ્યા

(4:49 pm IST)