Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ઇમરાન ખાને છેડ્યો શાંતિનો રાગઃ દાવોસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત બાદ ફરી કાશ્મીરનો મુદ્દો છેડ્યો

દાવોસઃ સ્વિત્ઝર્લેન્ડના દાવોસ શહેરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)માં હાજરી આપવા પહોંચેલા ઇમરાન ખાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત બાદ ફરીથી કાશ્મીરનો મુદ્દો છેડ્યો છે. પીટીવીના એક રિપોર્ટ પ્રમાણે ઇમરાન ખાને કહ્યું કે, ભારત અને પાકિસ્તાન એક-બીજા વિરુદ્ધ આરોપ-પ્રત્યારોપ લગાવતા રહે છે. નિયંત્રણ રેખા પર પર્યવેક્ષક કેમ મોકલવામાં આવતા નથી? અમે ભારતને દોષ આપીએ અને ભારત અમને દોષ આપે છે. અમે ઓર્બ્ઝવર કેમ નથી મોકલતા? આ વચ્ચે અમેરિકાના થિંક ટેકના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાન આતંકવાદ પર દુનિયાથી અલગ પડી ગયું છે.

ઇમરાન ખાને દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક કોંગ્રેસ સેન્ટરમાં 'પાકિસ્તાન સ્ટ્રેટેજી ડાયલોગ' નામના એક સત્રમાં સંબોધન કરતા આ વાત કરી હતી. જીયો ન્યૂઝના રિપોર્ટ અનુસાર, તેમણે કહ્યું કે, પાકિસ્તાને અફઘાન જેહાદ અને 9/11 બાદ આતંકવાદ વિરુદ્ધ યુદ્ધ બંન્નેથી શીખ્યું છે, જેણે પાકિસ્તાન અને તેના નાગરિકોને ખુબ નુકસાન પહોંચાડ્યું છે.

વડાપ્રધાન ખાન હાલ વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે સ્વિત્ઝર્લેન્ડની ત્રણ દિવસીય યાત્રા પર છે. આ પ્રવાસ પર તે કોર્પોરેટ, વ્યાપાર, ઔદ્યોગિક અને નાણાકીય અધિકારીઓની સાથે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાના પ્રતિનિધિઓની સાથે બેઠક કરશે.

પોતાના સત્ર દરમિયાન શાંતિના માર્ગના લાભ ગણાવતા ખાને કહ્યું કે, પાકિસ્તાનમાં પ્રવાસીઓ બમણા થઈ ગયા છે. તેણે આતંકવાદને નાથવા પોતાની પ્રાથમિકતા જણાવતા કહ્યું, 'આ પહેલી સરકાર છે, જેણે આતંકવાદીઓને હથિયાર મુકાવ્યા છે અને તેનું પુનઃવર્સન કર્યું છે. અમે આતંકવાદને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.'

જીયો ન્યૂઝે રેડિયો પાકિસ્તાનના હવાલાથી જણાવ્યું કે વડાપ્રધાન ખાને આ દરમિયાન અફઘાનિસ્તાનમાં શાંતિ માટે પાકિસ્તાનના પ્રયાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, 'ઇસ્લામાબાદ અફઘાન શાંતિ પ્રક્રિયાને સુયોજીત બનાવવા માટે સક્રિય રૂપથી ભાગ લઈ રહ્યું છે.'

ખાને કહ્યું કે, અફઘાનિસ્તાનમાં સંઘર્ષ વિરામની એક તક છે, જે પાકિસ્તાનને આર્થિક કોરીડોરના માધ્યમથી મધ્ય એશિયાઇ દેશો સુધી પહોંચાડવામાં મદદ કરે છે. પાકિસ્તાનમાં આર્થિક સ્થિતિનો ઉલ્લેખ કરતા ખાને કહ્યું કે, તેમનું પ્રથમ વર્ષ સ્થિરીકરણ ઉપાયો પર કેન્દ્રીત રહ્યું, જેથી ચાલૂ ખાતાની ખોટમાં ઘટાડો કરી શકાય.

રોકાણના રસ્તામાં આવનારા વિઘ્નોને દૂર કરવા માટે ભરેલા પગલાનો ઉલ્લેખ કરતા તેણે કહ્યું કે, વિશ્વ બેન્કે કારોબાર કરવામાં સરળતા માટે પાકિસ્તાનના રેન્કિંગમાં સુધારો કર્યો છે. તેમણે કહ્યું, એક વર્ષમાં અમારા વિદેશી રોકાણમાં 200 ટકાનો ઉછાળો આવ્યો છે.

(5:01 pm IST)