Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ભારત સરકારે એર સુવિધા ફોર્મ ભરવાની શરત નાબૂદ કરી

વિદેશથી આવતા પ્રવાસીઓને મોટી રાહત : આ ફોર્મનો રજીસ્‍ટ્રેશન નંબર આપ્‍યા બાદ જ એરલાઇન્‍સ તરફથી બોર્ડીંગ પાસ આપવામાં આવતો હતો

નવી દિલ્‍હી તા. ૨૨ : ભારતે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે એર સુવિધા ફોર્મ ભરવાની શરત નાબૂદ કરી છે. સરકારે એક નોટિસમાં કહ્યું છે કે, ભારત આવતા વિદેશી પ્રવાસીઓને હવે સ્‍વ-ઘોષણા ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. આ નિર્ણયનો અમલ મધરાતથી કરવામાં આવશે. અત્‍યાર સુધી બોર્ડિંગ કરતા પહેલા આ ફોર્મ ભરવું જરૂરી હતું. અવારનવાર ફલાયર્સ અને ટ્રાવેલ ઈન્‍ડસ્‍ટ્રી ભારતમાં ઉડાન ભરતા પહેલા એર સુવિધા ફોર્મ ભરવા અને સબમિટ કરવાની શરત દૂર કરવાની માંગ કરી રહ્યા છે.

સોમવારે સાંજે એક નોટિસમાં, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્‍યું હતું કે, ‘વિશ્વ અને રાષ્ટ્રીય સ્‍તરે કોવિડ -૧૯ ના કેસોની સંખ્‍યામાં સતત ઘટાડો અને કોવિડ -૧૯ ના રસીકરણ કવરેજમાં નોંધપાત્ર પ્રગતિના પ્રકાશમાં, આરોગ્‍ય અને કુટુંબ કલ્‍યાણ મંત્રાલયે ‘આંતરરાષ્‍ટ્રીય આગમન માટે સુધારેલી માર્ગદર્શિકા' જારી કરી છે. આરોગ્‍ય મંત્રાલયની સુધારેલી માર્ગદર્શિકા અનુસાર ઓનલાઈન એર સુવિધા પોર્ટલ પર સ્‍વ-ઘોષણા ફોર્મ સબમિટ કરવાનું બંધ કરવામાં આવ્‍યું છે.' જો કે, મંત્રાલયે વધુમાં ઉમેર્યું- કોવિડ-૧૯ની સ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને જો વધુ જરૂર પડે તો આ નિયમની સમીક્ષા કરી શકાય છે.'

આ સાથે, આંતરરાષ્ટ્રીય આગમન માટે હવે કોરોનાની રસી લેવી ફરજિયાત નથી. જો કે, સલામતીની દ્રષ્ટિએ રસી મેળવવી વધુ સારી છે. તાજેતરમાં, સરકારે જાહેરાત કરી હતી કે, ફલાઇટમાં માસ્‍ક પહેરવું જરૂરી નથી. પરંતુ કોરોનાને જોતા માસ્‍ક પહેરવું જોઈએ. પરંતુ જો કોઈ વ્‍યક્‍તિ માસ્‍ક નહીં પહેરે તો તેના માટે કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં.

એર સુવિધા પોર્ટલ ઓગસ્‍ટ ૨૦૨૦ માં કોરોના મહામારીની ટોચ દરમિયાન શરૂ કરવામાં આવ્‍યું હતું. આ એર ફેસિલિટી ફોર્મ દ્વારા, વિદેશથી આવતા તમામ મુસાફરોનો સંપૂર્ણ રેકોર્ડ રાખવામાં આવે છે, જેમ કે તેઓ ક્‍યાંથી આવ્‍યા છે, તેઓ ક્‍યાં જઈ રહ્યા છે, તેમનું સંપૂર્ણ સરનામું, તેઓ અગાઉ કયા દેશોની મુલાકાત લીધી છે, તેમનો મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, પાસપોર્ટ વિગતો, શંકાસ્‍પદ લક્ષણો વગેરે. આ કવાયત શરૂ કરવામાં આવી હતી જેથી કરીને જે મુસાફરોને કોરોનાનો ચેપ લાગ્‍યો હતો અને જે લોકો તેમના સંપર્કમાં આવ્‍યા હતા તેમની ઓળખ કરી શકાય અને જો જરૂર જણાય તો તેમને શોધીને અલગ કરી શકાય. આ ફોર્મનો રજિસ્‍ટ્રેશન નંબર આપ્‍યા બાદ જ એરલાઇન્‍સ તરફથી બોર્ડિંગ પાસ આપવામાં આવતો હતો.

ઘણા લોકો એર ફેસિલિટી ફોર્મ ભરવામાં મુશ્‍કેલીઓનો પણ આક્ષેપ કરે છે. ઘણા લોકો ફરિયાદ કરે છે કે, આ કારણે તેઓ તેમની ફલાઇટ ચૂકી ગયા છે. એરલાઈન્‍સે તેમને આ વિશે અગાઉથી જણાવ્‍યું ન હતું. ઘણા મુસાફરોને પોર્ટલ પર જરૂરી દસ્‍તાવેજો અપલોડ કરવામાં પણ મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેના કારણે એરપોર્ટ પર થોડી અરાજકતાની સ્‍થિતિ પણ હતી જે હવે સમાપ્ત થશે.

(10:58 am IST)