News of Tuesday, 22nd November 2022
નવી દિલ્હી :21 નવેમ્બરને દર વર્ષે વૈશ્વિક મત્સ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉજવણીમાં આ ક્ષેત્રમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપવારા લોકો સહિત ફિશરીઝની સાંકળમાં આવતા તમામ લોકોને હાઇલાઇટ કરવાનો મહત્વપૂર્ણ પર્વ સમાન છે. કેન્દ્ર સરકાર દ્વારા યુનિયન મીનીસ્ટ્રી ઓફ ફિશરીઝ, એનીમલ હસબન્ડરી, ડેરીનું ખાસ અલગ નિર્માણ કરવામાં આવ્યું છે. અને તેને પ્રોત્સાહન આપવા માટે તનતોડ મહેનત કરવામાં આવી રહી છે.
જુના ડેટા પરથી આ વાતનો નક્કર પુરાવો મળે કે, ભારતને બ્લુ રિવોલ્યુશન ફળ્યું છે. વર્ષ 2021 – 2022 માં દેશનું મત્સ્ય ઉત્પાદન 162.48 લાખ ટન સાથે 10.34 ટકાવારી વૃદ્ધિ દર નોંધાયો હતો. વર્ષ 1950 – 51માં ઇનલેન્ડ ફિશ અને એક્વાટીક કલ્ચરનું ઉત્પાદન 2.18 લાખ ટન પહોંચ્યું હતું. નાણાંકિય વર્ષ 2013 – 14માં તે 61.36 લાખ નોંધાયું હતું. અને નાણાંકિય વર્ષ 2021 – 2022 માં 121.21 લાખ ટન પહોંચ્યું હતું. આંકડા પ્રમાણે, 63 વર્ષમાં મત્સ્ય ઉત્પાદન (ઇનલેન્ડ અને એક્વાકલ્ચર ફિશ પ્રોડક્શન) 59.18 લાખ ટન નોંધાયું હતું. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ઘદ્રષ્ટિને કારણે માત્ર 8 વર્ષમાં જ 59.85 લાખ ટન મત્સ્ય ઉત્પાદન (ઇનલેન્ડ અને એક્વાકલ્ચર ફિશ પ્રોડક્શન) નોંધાયું છે. ક્ષેત્રમાં સૌથી વધુ વળતર મળતું હોવાના કારણે યુવાનો માટે અનોખુ આકર્ષણ છે.
આગામી દિવસોમાં આપણે 26 નવેમ્બરના રોજ શ્વેત ક્રાંતિને પ્રણેતા ગણાતા ડો. વર્ગીસ કુરિયનના જન્મદિવસની ઉજવણી નેશનલ મિલ્ક ડે તરીકે મનાવીશું. તેવી જ રીતે ભવિષ્યમાં વડાપ્રધાન મોદીને બ્લુ રિવોલ્યુશન (વાદળી ક્રાંતિ)ના પ્રણેતા તરીકે ઓળખાશે.
સૌથી મહત્વના નિતી વિષયક બદલાવ અંતર્ગત કિસાન ક્રેડિટ કાર્ડના લાભમાં માછીમાર (ફિશરમેન) અને એનીમલ હસબ્ડરી તથા ડેરી સાથે સંકળાયેલા ખેડુતોને આવરી લેવામાં આવ્યા હતા. PMSSY યોજના અંતર્ગત 5 વર્ષ (નાણાંકિય વર્ષ 2020 - 2025) માટે રૂ. 25, 050 કરોડ જેટલા રોકાણની પરિકલ્પના કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી રૂ. 11,029 કરોડ નંજૂર કરી લેવામાં આવ્યા છે. જે લાખોની સંખ્યામાં રોજગારીની તકોનું નિર્માણ કરશે. ફિશરીઝ વિભાગના પ્રયાસોને કારણે નાણાંકિય વર્ષ 2021 – 22 માં મરીન એક્સપોર્ટ રૂ. 57,589 કરોડ પહોંચ્યું છે. આજે ભારતના ઉત્પાદનો 123 દેશોમાં નિકાસ થઇ રહ્યા છે. જેનો વૃદ્ધિ દર 90.6 ટકા છે.
આ અંગે કેન્દ્રિય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા જણાવે છે કે, પાછલા કેટલાક વર્ષોમાં દેશમાં વિવિધ ક્ષેત્રોમાં હરણફાળ પ્રગતિ જોવા મળી રહી છે. તે પૈકી એક ઉદ્ગમ પામતું ક્ષેત્ર ફિશરીઝ (મસ્ત્ય ઉદ્યોગ) છે. આ ક્ષેત્રમાં વિકાસની શક્યતાઓને ધ્યાને રાખીને વડાપ્રધાન મોદી દ્વારા જુલાઇ 2014 માં બ્લુ રિવોલ્યુશન (વાદળી ક્રાંતિ) ના બીજ વાવવાની શરૂઆત મત્સ્ય સંબંધિત નિતી વિષયક બદલાવથી કરવામાં આવી હતી. મસ્ત્ય ક્ષેત્ર થકી આવક અને રોજગારીની વ્યાપક તકનું નિર્માણ કરવા સક્ષણ તરીકે ઓળખ કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા બ્લુ રિવોલ્યુશન (વાદળી ક્રાંતિ)ને લઇને નિતી વિષયક નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં મીનીસ્ટ્રી ઓફ ફિશરીઝ, એનીમલ હસબન્ડરી, ડેરીનું અલગ નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં સ્વતંત્ર વહીવટી તંત્ર, માળખું હોવાની સાથે એક્વા કલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (FIDF) અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) અંતર્ગત પણ સમાવવામાં આવ્યો હતો.