Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

સતત નાચતા વરરાજાના દોસ્તોને કન્યાપક્ષનાં લોકોએ ઝૂ઼ડી નાખ્યા

પોલીસની હાજરીમાં સંપન્ન થયા લગ્ન : અનેકવાર ડાન્સ બંધ કરવાનું કહેવાં છતાં ન માનતાં કન્યાપક્ષાના લોકો અને ગ્રામજનોએ વરરાજાના દોસ્તોની ધોલાઈ કરી

લખનૌ, તા.૨૨ : જ્યારે કોઈ યુવકના લગ્ન થતાં હોય છે, ત્યારે તેના દોસ્તોમાં અનોખી ખુશી જોવા મળે છે. અને જાન લઈને જ્યારે તેઓ દુલ્હનના ત્યાં પહોંચે છે, ત્યારે દિલ ખોલીને ડાન્સ કરે છે. પણ ઉત્તર પ્રદેશમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જેમાં વરરાજાના દોસ્તોને વધારે પડતો ડાન્સ કરવા માટે માર મારવામાં આવ્યો હતો. કન્યાનો પરિવાર જાનના આગમન માટે પહોંચ્યો હતો, પણ વરરાજાના દોસ્તો સતત નાચી રહ્યા હતા. અનેક વખત ડાન્સ બંધ કરવાનું કહેવાં છતાં પણ ન માનતાં આખરે કન્યાપક્ષાના લોકો અને ગ્રામજનોએ વરરાજાના દોસ્તોની ધોલાઈ કરી હતી. અને બાદમાં આ મામલે પોલીસ બોલાવવી પડી હતી.

રિપોર્ટ અનુસાર ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના કુંડા પોલીસ સ્ટેશન હેઠળ આવતાં નરસિંહગઢ ગામની છે. શનિવારની રાત્રે જ્યારે વરરાજા જાન લઈને લગ્ન સ્થળે પહોંચ્યા હતા, ત્યારે તેઓનું સ્વાગત કરવા માટે કન્યાપક્ષનાં લોકો તત્પર હતા. પણ વરરાજાના દોસ્તો સતત અડધો કલાકથી પણ વધારે સમય સુધી નાચતા જ રહ્યા હતા.

કન્યાના પરિવાર સહિત ગ્રામજનો દ્વારા અનેક વખત દોસ્તોને ડાન્સ બંધ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. પણ તેઓએ ડાન્સ બંધ ન કરતાં કન્યાના પરિવાર અને ગ્રામજનોએ વરરાજાના દોસ્તોની બરાબરની ધોલાઈ કરી હતી. ઈન્સ્પેક્ટર રાકેશ ભારતીયએ જણાવ્યું કે, આ મામલે વરરાજાએ પોલીસમાં ફરિયાદ કરતાં કુંડા પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, સ્વાગત સેરેમની માટે કન્યાના પરિવાર દ્વારા દોસ્તોને ડાન્સ બંધ કરવા માટે વિનંતી કરવામાં આવી હતી, તેમ છતાં દોસ્તોએ ડાન્સ કરવાનું ચાલું જ રાખ્યું હતું. જે બાદ કન્યાપક્ષનાં લોકો અને ગ્રામજનોએ વરરાજાના દોસ્તોને ઘેરી લીધા હતા અને તેમને માર મારવાનું શરૂ કરી દીધું હતું.

લગ્નમાં હોબાળો થતાંની સાથે જ વરરાજા પોતાના અમુક દોસ્તોને લઈને કુંડા પોલીસ સ્ટેશન દોડી ગયો હતો અને આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસની હાજરીમાં સમગ્ર લગ્ન શાંતિથી સંપન્ન થયા હતા. જો કે, આ મામલે અંતે લગ્ન પૂરા થયા હતા, પણ અનેક કિસ્સામાં વરરાજાને પરત ફરવાના કિસ્સા પણ નોંધાયા છે. આ અગાઉ યુપીમાં ચશ્મા પહેર્યાં વગર છાપું વાંચી ન શકવાને કારણે લગ્નના દિવસે જ દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ ઉપરાંત બેનો ઘડિયો ન બોલી શકવાને કારણે પણ જાનને પરત મોકલી હોવાનો કિસ્સો ઉત્તર પ્રદેશના મહોબાથી સામે આવ્યો હતો.

(9:07 pm IST)