Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

૨ નવેમ્બરે શાહરૂખ ખાનનો જન્મદિવસ, પણ નહીં થાય ઉજવણી!

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં બંધ હોવાથી મન્નતમાં ચિંતાનો માહોલ છવાયેલો છે

મુંબઇ,તા. ૨૨: ૨ નવેમ્બર, એ 'મન્નત' માટે ખુબ જ ખાસ દિવસ છે, કેમ કે આ દિવસે શાહરૂખ ખાનનો બર્થ-ડે છે. અને દુનિયાભરમાં શાહરૂખ ખાનના ફેન્સ માટે તે એક ખાસ પ્રસંગ છે. અને ફેન્સ દ્વારા રસ્તાઓ પર, મન્નતની બહાર, સોશિયલ મીડિયામાં તેના જન્મદિનની ઉજવણી કરવામાં આવતી હોય છે અને શાહરૂખને અપાર પ્રેમ આપવામાં આવતો હોય છે. શાહરૂખના જન્મદિવસને હવે થોડાં જ દિવસોની વાર છે, પણ આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ અને તેને જામીન ન મળવાને કારણે શાહરૂખના આ જન્મદિવસ અગાઉ ચિંતાનું વાતાવરણ ફેલાઈ ગયું છે. અને રિપોર્ટનું માનીએ તો આ વખતે શાહરૂખના દ્યરે જશ્ન મનાવવામાં આવશે નહીં.

આર્યન ખાન સહિત ૭ લોકોની ૩ ઓકટોબરના રોજ મુંબઈ ક્રુઝ શિપ ડ્રગ્સ કાડમાં ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ્સ કેસને લઈને આર્યન ખાનની જામીન અરજી અનેક વખત ફગાવી દેવામાં આવી છે. અને આર્યનના વકીલો દ્વારા જામીન માટે હવે હાઈકોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા છે. જો કે, અનેક વખત જામીન રદ થવાને કારણે, શાહરૂખ ખાન અને પરિવારને લાગે છે કે, આર્યનને જલ્દી જામીન મળવા મુશ્કેલ છે. અને તે જ કારણે તેઓ કોઈપણ પ્રકારની ઉજવણી કરવા માગતા નથી. શાહરૂખ ખાનનો જન્મદિવસ જે ન ફકત પરિવાર પણ ફેન્સ માટે પણ દ્યણો અગત્યનો દિવસ છે, તે દિવસે પણ કોઈ ઉજવણી કરવામાં આવશે નહીં, આ ઉપરાંત દિવાળી પણ નહીં મનાવવામાં આવે.

શાહરૂખની સાથે નજીકના સંબંધ ધરાવતાં એક સૂત્રએ જણાવ્યું છે કે, આ વખતે શાહરૂખ ખાન પોતાના ફેન્સને જન્મદિવસ પર તેના ઘરની બહાર એકઠાં ન થવા માટે અપીલ કરવાનું વિચારી રહ્યો છે. આ ઉપરાંત સૂત્રએ એમ પણ કહ્યું કે, શાહરૂખ ખાન જ નહીં, પણ આર્યન ખાનનો જન્મદિવસ (૧૩ નવેમ્બર) નજીક છે. આર્યન ખાન પોતાનો જન્મદિવસ જેલમાં જ ઉજવશે, એ ચિંતામાં સમગ્ર પરિવાર આઘાતમાં છે.

(9:56 am IST)