Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

દેશમાં ફુગાવો, મોંઘવારીએ મધ્યમવર્ગની કમર તોડી

નાના-મોટા વેપારીઓ, નોકરીયાતોની આવકમાં આવેલા ઘટાડાને લીધે આ વર્ષે બજાર ફિક્કુ રહે એવી આશંકા : મોંવારીને લીધે તહેવારના દિવસોમાં પણ લોકો નાની-મોટી ખરીદી ટાળી રહ્યા છેઃ પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં વધારાએ લોકોની ખર્ચ ક્ષમતાને ઘટાડી

નવી દિલ્હી,તા.૨૨: વૈશ્વિક કોરોના મહામારીની અસર ભારત સહિત અનેક દેશોમાં ઓછી થઇ રહી છે. એવામાં પ્રભાવિત થયેલી અર્થવ્યવસ્થા પણ ધીમે-ધીમે લાઇનમાં આવી રહી છે. ભારતમાં પણ આવી જ પરિસ્થિતિ વચ્ચે મોંઘવારી પણ વધી રહી છે. ભારતમાં હાલમાં તહેવારના દિવસો ચાલી રહ્યા છે, પરંતુ ચોતરફ વધી રહેલી મોંઘવારીની અસર બજાર પર જોવા મળી રહી છે. લોકો માટે, ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો સામે દિવાળી જેવા તહેવાર માટેની ખરીદીને લઇને આર્થિક પડકારો સામે આવી રહ્યા છે. વિતેલા દિવસોથી પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવ, ખાઘતેલ સહિત શાકભાજીઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે.

કોરોનાની બીજી લહેર બાદ ખુલેલા અર્થતંત્રમાં મોંઘવારીની સીધી અસર લોકોના ખિસ્સા પર જોવા મળી રહી છે. કોરોના કાળમાં જયાં મોટાભાગના લોકોની આવકમાં ધરખમ ઘટાડો થયો છે, ત્યાં ખર્ચ ક્ષમતા પર આવેલા નિયંત્રણને લીધે આ દિવાળીએ પણ બજાર ફિક્કુ રહેશે એવી આશંકા છે. વધતી જતી મોંઘવારી અને આવકમાં ઘટાડાને લીધે પરિસ્થિતિ એવી પેદા થઇ ચૂકી છે કે લોકો તહેવારની ખરીદી પણ ટાળી રહ્યા છે. અહીં સુધી કે લોકો ખાણીપીણીની વસ્તુઓ પણ ખર્ચ ઘટાડી રહ્યાના સંકેત મળી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર, માનવામાં આવી રહ્યું છે કે દેશની મોટાભાગની વસ્તી દિવાળી જેવા તહેવારના દિવસોમાં આ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. દિવાળી ભારતનો પ્રમુખ તહેવાર છે અને કન્ઝયૂમર ગુડ્સની ખરીદી માટે આ તહેવાર સૌથી ખાસ સમય માનવામાં આવે છે, એમ છતાં કન્ઝયૂમર ગુડ્સ માર્કેટ પણ ઠંડુ હોવાનું સામે આવી રહ્યું છે. લોકો મોટી ખરીદી ટાળી રહ્યા છે.

મુંબઇની એક કન્સલટન્સી ફર્મ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે કે, ભારતનું અર્થતંત્ર કોરોના મહામારીના ખરાબ સમયમાંથી પસાર થયા પછી હવે ધીમે-ધીમે સુધારા પર છે, પરંતુ લોકોની આવકમાં ઘટાડાને લીધે આ રિકવરી પર અસર પડે એવી આશંકા છે.

એક વર્ષ પહેલાની સરખામણીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૩૫ ટકા સુધીનો વધારો થયો છે. આવી જ રીતે રાંધણ ગેસના ભાવમાં ૫૦ ટકાથી પણ વધુ વધારો થયો છે. અર્થશાસ્ત્રીઓનું કહેવુ છે કે, આ પરિસ્થિતિની અસર દેશની કુલ વસ્તીમાંથી ઘણા મોટા હિસ્સા પર પડવાની આશંકા છે. નાના વેપારીઓનું કહેવુ છે કે, પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસમાં વધારાને લીધે તેમની આવકમાં પહેલાની સરખામણીએ ૩૦ ટકાનો ઘટાડો થઇ ચૂકયો છે. જેને લીધે વેપાર અને ઘરનું સંચાલન કરવુ પણ મુશ્કેલ બની રહ્યું છે.

(9:55 am IST)