Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

પુષ્‍ય નક્ષત્રથી બજારમાં પ્રાણ ફૂંકાયાઃ કરોડોનો બિઝનેશઃ ધનતેરસ માટે ઓટોમોબાઇલ અને ઇલેકટ્રોનિક સેક્‍ટરમાં બુકીંગની પડાપડી

નવી દિલ્હી: પુષ્ય નક્ષત્રના પહેલાં દિવસે શહેરના બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. પુષ્ય નક્ષત્રના શુભ સંયોગમાં પહેલાં દિવસે ઓટો મોબાઇલ, જ્વેલરી અને ઇલેક્ટ્રોનિક સેક્ટરમાં ધરનતેરસ માટે વાહન, ઘરેણાં અને ઇલેક્ટ્રોનિક આઇટમનું ધૂમ બુકિંગ થઇ રહ્યું છે. શહેરોના બજારોમાં સવારથી ગ્રાહકોની ભીડ ઉમટી પડી છે. પહેલાં દિવસે જોરદાર બુકિંગ અને બિઝનેસને જોતાં પુષ્ય નક્ષત્રના બીજા દિવસે મંગળવારે બિઝનેસ વધવાથી આશા વધી જવા પામી છે. પુષ્ય નક્ષત્રમાં શુભ સંયોગ હોવાથી ખરીદી કરવાથી ફાયદો થતો હોવાથી તે જ નક્ષત્રોમાં ખરીદી કરે છે.

આ વખતે 21 અને 22 ઑક્ટોબર એમ બંને દિવસે પુષ્ય નક્ષત્રનું મહામૂહુર્ત છે. આપણે ત્યાં આ દિવસોમાં ખરીદી કરવાને શુભ માનવામાં આવે છે.આ વર્ષે પુષ્ય નક્ષત્ર સોના, ચાંદી, વાસણો, જમીન, મકાનોની ખરીદી માટે 23 કલાક અને સાત મિનિટનો રહેશે. સોમવારે, જ્યાં સોમ પુષ્ય સાથે સાધ્ય યોગ થશે અને 22 ને મંગળવારે, ભૌમ પુષ્ય પર સર્વાર્થસિદ્ધિ સંયોગ થશે.

22 ઓક્ટોબરે મંગળવાર છે, આ દિવસે પુષ્ય નક્ષત્ર હોવાના કારણે વર્ધમાન યોગ બની રહ્યો છે. મંગળવારે મકાન, સજાવટની ચીજો કે સોફા, વાહન વગેરે ખરીદી શકાય છે. આ શુભ યોગમાં રોકાણ કરવાથી પણ ધનની વૃદ્ધિ થાય છે.

આ દિવસે સોનું, ચાંદી, વાસણ, કપડાં, ઘરેણાં, જમીન, વાહન કે અન્ય વસ્તુઓ ખરીદવા માટેનો શુભ યોગ છે. લાભ કે શુભના ચોઘડિયામાં ઘરેણાં ખરીદવું શુભ ગણાય છે. જો કે વાહન ખરીદવા માટે ચલ ચોઘડિયું સારું રહે છે. પુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદીને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. આ દિવસે સોનું ખરીદવાનું કારણ એ છે કે તેને શુદ્ધ, પવિત્ર અને અક્ષય ધાતુ ગણવામાં આવે છે.

જ્વેલર્સોએ જણાવ્યુ હતું કે, ઘણા લાંબા સમય બાદ બજારમાં ખરીદી જોવા મળી હતી. પુષ્ય નક્ષત્ર સાથે સોનાચાંદીની ખરીદીમાં કેટલાય સમયથી ખોવાઈ ચૂકેલો ચળકાટ પરત ફરતા વેપારીઓએ એવી આશા વ્યકત કરી હતી કે, ધનતેરસમાં બજારમાં સારી ખરીદી નીકળશે. ધનતેરસના પર્વ અગાઉ સોના-ચાંદી અને ઘરવખરીની વસ્તુ ખરીદવા માટે ઉત્તમ ગણાતુ પુષ્ય નક્ષત્રમાં લોકો ખરીદી કરવા માટે વહેલી સવારથી ઉમટી પડયા હતા. દિવાળી અને તે પછી લગ્નસરાની સીઝન શરૃ થવાની હોવાથી આજે એન્ટીક ઝવેલરી, લાઈટવેટ ઝવેલરી અને ડાયમંડ ઝવેરીની ખરીદી મોટા પ્રમાણમાં થઈ હતી. જવેલર્સ બજારમાં સૌથી વધુ સોના અને ચાંદીના સિક્કાઓનું વેચાણ થયું હતું લોકો સોના-ચાંદીની ખરીદીમાં રોકાણ સુરક્ષિત સાથે શુકન અને પુણ્ય ફળ પ્રાપ્ત માટે માનતા હોય છે. કેટલાકે એડવાન્સ બુકીંગ કરાવીને પુષ્ય નક્ષત્રમાં ડીલવરી સ્વીકારી હતી.

નવા વાહનો અને ઈલેક્ટોનિક્સમાં ખરીદી

દિવાળીના તહેવાર પૂર્વે નાણાંકીય છૂટ થતા લોકો ટુ વ્હીલર અને ફોરવ્હીલર વાહનોની ખરીદી ચાલુ કરી દેતા ઓટો સેક્ટરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફોર વ્હીલરમાં એસયુવી,સેદાનની ખરીદી વધારે જોવા મળી રહી છે. ઉપરાંત ટુ વ્હીલરના વાહનો પણ લોકો ખરીદી રહ્યા છે. સામાન્ય રીતે લોકો વર્ષના પ્રથમ માસમાં વાહનોની ખરીદી કરતા હોય છે.જયારે વર્ષના અંતમાં ખરીદી કરવાનું ટાળતા હોય છે. આ વખતે વર્ષના અંત વખતે ખરીદી નીકળી છે.

(5:21 pm IST)