Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

સરદાર પટેલ-નેતાજીને ભુલાવવા માટેના પ્રયાસ કરાયા હતા : મોદી

આઝાદ હિંદ ફોજની સ્થાપનાના ૭૫ વર્ષ પરિપૂર્ણ થયા :આઝાદી બાદ પટેલ અને બોઝનું નેતૃત્વ દેશને મળ્યું હોત તો સ્થિતિ જુદી રહી હોત : આઝાદ હિંદ સરકાર માત્ર નામ નહીં પણ એક અલગ વ્યવસ્થા હતી

નવીદિલ્હી, તા. ૨૧ : આઝાદ હિંદ ફોજની સ્થાપનાના ૭૫ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલ અને નેતાજીને ભુલાવી દેવા માટેના પ્રયાસો થયા હતા. લાલ કિલ્લાથી તિરંગો ધ્વજ લહેરાવ્યા બાદ મોદીએ કહ્યું હતું કે, ૭૫ વર્ષ પહેલા દેશની બહાર બનેલી આઝાદ હિંદ સરકાર અખંડ ભારતની સરકાર  હતી. અવિભાજિત ભારતની સરકાર હતી. મોદીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ ઉપર તીવ્ર પ્રહાર કર્યા હતા. ગાંધી પરિવાર પર આક્ષેપબાજી કરતા તેમણે કહ્યું હતું કે, એક પરિવારને વિસ્તૃત બનાવવા અને તેના ગુણગાન માટે દેશના અનેક સપૂતો જેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ, બાબાસાહેબ આંબેડકર અને નેતાજીના યોગદાનને ભુલાવી દેવાના પ્રયાસ કર્યા હતા. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નામનો ઉલ્લેખ કર્યા વગર તેમણે કહ્યું હતું કે, આઝાદી બાદ જો પટેલ અને બોઝનું નેતૃત્વ મળ્યું હોત તો આજે સ્થિતિ અલગ રહી હોત. લાલ કિલ્લા પર આયોજિત કાર્યક્રમમાં કહ્યું હતું કે, દેશવાસિઓને આઝાદ હિંદ સરકારને ૭૫ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે તેઓ અભિનંદન આપે છે. આઝાદ હિંદ સરકાર માત્ર નામની ન હતી. નેતાજીના નેતૃત્વમાં આ સરકારે દરેક ક્ષેત્રમાં નવી યોજનાઓ બનાવી હતી. આ સરકારની પોતાની બેંક હતી. પોતાના ચલણ હતા. પોતાની ટપાલ ટિકિટ હતી. ગુપ્તચર સેવા હતી. ઓછા સંશાધનમાં આવા શાસકની સામે લોકોને એકત્રિત કરવામાં આવ્યા હતા. મોદીએ સુભાષચંદ્રના પત્રનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, સુભાષ બાબુએ નાના હતા ત્યારે પોતાની માતાને એક પત્ર લખ્યો હતો. ૧૯૧૨માં આ પત્ર લખવામાં આવ્યો હતો. તે ગાળામાં તેમનામાં ગુલામ ભારતને લઇને વેદના હતી. તે વખતે તેઓ ૧૫થી ૧૬ વર્ષના હતા. પત્રમાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, શુ ભારત દિનપ્રતિદિન વધારે પતનની દિશામાં જશે. ભારતમાં એવા કોઇ પુત્ર નથી જે સમગ્ર રીતે પોતાના સ્વાર્થને ભુલીને પોતાના જીવનને અર્પિત કરે. અમે ક્યાં સુધી ઉંઘતા રહીશું. મોદીએ કહ્યું હતું કે, આ વર્ષે લાલ કિલ્લા પર આઝાદ હિંદ ફોજના સેનાની શાહનવાઝે કહ્યું હતું કે, સુભાષચંદ્ર એવી પહેલી વ્યક્તિ હતી જે વ્યક્તિએ ભારત હોવાનો અનુભવ તેમના મનમાં કરાવ્યો હતો. કેમ્બ્રિજના પોતાના દિવસની યાદ કરતા સુભાષચંદ્રએ લખ્યું હતું કે, અમને સિખવાડવામાં આવતું હતું કે, યુરોપ ગ્રેટ બ્રિટનના ગ્રુપ તરીકે છે જેથી યુરોપને બ્રિટનના ચશ્માથી જોવાની ટેવ છે.

(12:00 am IST)