Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

મહારાષ્ટ્રમાં ચૂંટણી ભાજપ, શિવસેના માટે પરીક્ષા સમાન

છેલ્લી ચૂંટણી કરતા વધુ સીટો જીતવા પડકાર :ભાજપ છાવણીમાં ખુશીનો માહોલ જ્યારે એનસીપી અને કોંગીમાં જોરદાર નિરાશા : દિગ્ગજ નેતાઓએ છેડો ફાડ્યો

મુંબઈ,તા.૨૨ : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટીની છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ કોંગ્રેસ અને એનસીપીની છાવણીમાં નિરાશા દેખાઈ રહી છે. વિરોધ પક્ષના મોટાભાગના નેતા કમળની સાથે જોડાઈ ચુક્યા છે અથવા તો શિવસેનાના બંધનમાં બંધાઈ ચુક્યા છે. એનસીપી પ્રમુખ શરદ પવાર રાજ્યમાં ફરી રહ્યા છે પરંતુ જુદા જુદા ટુકડાઓમાં વિભાજિત કોંગ્રેસ પાર્ટી હજુ પણ ભ્રમની સ્થિતિમાં દેખાઈ રહી છે. આ વખતની ચૂંટણી કોંગ્રેસ અને એનસીપી માટે રાજ્યમાં પોતાના અસ્તિત્વને બચાવવાની લડાઈ તરીકે જોઈ રહી છે. ભાજપે ત્રિપલ તલાક અને કલમ ૩૭૦ને મુખ્ય મુદ્દા તરીકે રજૂ કરવા માટે તૈયાર છે. જમ્મુ કાશ્મીરથી કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ દેશમાં પ્રથમ ચૂંટણી યોજાવવા જઇ રહી છે. આ ચૂંટણીના માધ્યમથી પ્રજાના મૂડને જાણવાની તક મળશે. કારણ કે, ભાજપ સરકાર દાવો કરતી રહી છે કે, બંને નિર્ણયોથી પ્રજા ખુશ છે. જો મહારાષ્ટ્રમાં ભાજપની સીટો વધે છે તો ચોક્કસપણે આ નિર્ણય યોગ્ય સાબિત થશે. જો સીટો નહીં વધે તો દાવાની પોલ ખુલી જશે. લોકસભાની ચૂંટણીમાં મળેલી હારથી કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની રિકવરી હજુ થઇ નથી ત્યારે પાર્ટીમાં વિરોધીઓ પરેશાન દેખાઈ રહ્યા છે.

                આ પાર્ટીઓના નેતાઓમાં હતાશા જોરદારરીતે દેખાઈ રહી છે જેથી મજબૂત નેતાઓ પણ પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે. બંને પાર્ટીઓમાં સંપૂર્ણપણે અવિશ્વાસનો માહોલ થયેલો છે. હાલત એટલી બગડી ગઈ છે કે, હવે કયા નેતા પાર્ટી છોડી દેશે તેને લઇને વિશ્વાસ રહ્યો નથી જેથી બંને પક્ષોની સામે પોતપોતાના અસ્તિત્વને બચાવવાના પડકાર રહેલા છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવિસ મોટા નેતા તરીકે ઉભરી ચુક્યા છે. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં ફડનવિસે પોતાની પાર્ટીના દિગ્ગજ નેતાઓને મુશ્કેલીમાં મુક્યા છે જ્યારે બીજી બાજુ વિરોધી પક્ષો કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને પણ ધુળ ચટાડી દીધી છે. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રાધાકૃષ્ણ વિખે પાટિલ પણ સરકારમાં સામેલ થઇ ચુક્યા છે. શિવસેના માટે પણ એક લક્ષ્મણ રેખા ખેંચી દીધી છે.

સ્થિતિ એ છે કે, મુખ્યમંત્રી જેને ભાજપમાં લાવી શક્યા નથી તેમને શિવસેનામાં જોડી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ ઔરંગાબાદમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતા અબ્દુલ સત્તારની સાથે બેઠક યોજી હતી ત્યારબાદ તેમને શિવસેનામાં મુકી દેવામાં આવ્યા છે. હવે મુખ્યમંત્રી સામે પડકાર એ છે કે, ભાજપ માટે તેઓ છેલ્લી વિધાનસભાની ચૂંટણી કરતા વધુ સીટો મેળવીને આગળ આવે. છેલ્લી ચૂંટણીમાં ભાજપને ૧૨૨ સીટો મળી હતી. ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેના તથા કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વચ્ચે ગઠબંધનની સ્થિતિ ન હતી.

મહારાષ્ટ્ર ચૂંટણી ચિત્ર 

મુંબઈ, તા. ૨૨ : મહારાષ્ટ્રમાં વર્ષ ૨૦૧૪માં છેલ્લી ચૂંટણી યોજાઈ હતી. છેલ્લી ચૂંટણીનું ચિત્ર નીચે મુજબ છે.

કુલ વિધાનસભા સીટ..................................... ૨૮૮

ભાજપે સીટો જીતી......................................... ૧૨૨

શિવસેનાએ સીટો જીતી..................................... ૬૩

કોંગ્રેસે સીટો જીતી............................................ ૪૨

એનસીપીએ સીટો જીતી.................................... ૪૧

(7:53 pm IST)