Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

બિહાર અને આસામમાં પુરથી મૃતાંક વધી ૧૬૦ પર પહોંચ્યો

આસામમાં ૧૨ અને બિહારમાં વધુ પાંચના મોત : લાખો લોકો રાહત કેમ્પોમાં : કેટલીક જગ્યાઓએ પુરના પાણી ઉતર્યા હોવા છતાં સ્થિતિ સુધારવામાં સમય લાગશે

ગુવાહાટી-પટણા, લખનૌ,૨૧ : આસામ અને બિહારમાં પુર અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં મોતનો આંકડો વધીને આજે ૧૬૦ ઉપર પહોંચ્યો હતો. આસામમાં પુરથી વધુ ૧૨ લોકોના મોત થતાં મોતનો આંકડો વધીને ૬૦ ઉપર પહોંચ્યો છે જ્યારે અહીં ૪૪ લાખ લોકો હજુ પણ પુરના સકંજામાં છે. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. બિહારમાં વધુ પાંચ લોકોના મોત સાથે મોતનો આંકડો વધીને ૧૦૦ ઉપર પહોંચી ગયો છે.  પટનાથી પ્રાપ્ત અહેવાલ મુજબ બિહારના ૧૨ જિલ્લાઓમાં પણ પુરની સ્થિતિ ગંભીર બનેલી છે. બિહારમાં વધુ પાંચ લોકોના મોત થતાં મોતનો આંકડો ૧૦૦ ઉપર પહોંચ્યો છે. મધુબાની જિલ્લામાં વધુ ચાર લોકોના મોત થતાં અહીં ૧૮ના મોત થઇ ચુક્યા છે. દરભંગામાં વધુ એકના મોત સાથે મોતનો આંકડો ૧૦ થયો છે. સીતામઢીમાં સૌથી વધુ ૨૭ લોકોના મોત થયા છે.  નેપાળના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદની સીધી અસર બિહારમાં થઇ રહી છે. અલબત્ત જળબંબાકાર થયેલા વિસ્તારોમાં પાણીની સપાટી ઘટી રહી છે. રોગચાળાને રોકવા માટેના પ્રયાસો હવે હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજ્યના ૧૨  જિલ્લા શિવહર, સીતામઢી, પૂર્વીય ચંપારણ, મધુબની, અરેરિયા અને કિસનગંજના ક્ષેત્રમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. દરભંગા, વૈશાલી અને મુઝફ્ફરપુરમાં પણ નદીઓમાપુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. ગુવાહાટીથી પ્રાપ્ત અહેવાલ મુજબ આસામમાં સ્થિતિ ગંભીર બનેલી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મોરીગાંવ જિલ્લામાં વધુ પાંચ લોકોના મોત થયા છે. બારપેટામાં ત્રણના મોત થયા છે. ૩૩ જિલ્લાઓ પૈકી ૨૪ પુરના સકંજામાં છે. હાલમાં એનડીઆરએફની ૧૫ ટીમો લાગેલી છે. સ્થિતીમાં હાલમાં સુધારો થવાના  સંકેત નથી.  એકલા આસામમાં પુરના કારણે ૪૯  લાખ લોકો વિસ્થાપિત થઇ ચુક્યા છે. જ્યારે મોતનો આંકડો વધીને ૬૦ ઉપર પહોંચી ગયો છે. ગુવાહાટી અને અન્ય વિસ્તારોમાં બ્રહ્યપુત્ર અને તેની સહાયક નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર છે. આસામ અને બિહાર ઉપરાંત ઉત્તરપ્રદેશ, બિહાર, મેઘાલય અને આસામમાં સ્થિતિ વણસી ચુકી છે. ગુવાહાટીથી પ્રાપ્ત અહેવાલ મુજબ આસામના કેટલાક વિસ્તારમાં પુરના પાણી ઉતરી રહ્યા છે જેના કારણે સ્થિતિ હળવી બની રહી છે. આજે મજોલી, બક્સામાં પુરના પાણી ઉતર્યા હતા. જો કે, કાઝીરંગા નેશનલ પાર્કમાં મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ છે. ૧૭ જિલ્લાઓમાં ૧૨ લાખ પ્રાણીઓને પુરના લીધે અસર થઇ છે. કાઝીરંગા નેશનલ પાર્કમાં ૧૨૯ પ્રાણીઓના મોત થયા છે જે પૈકી ૧૦ ગેંડાઓનો સમાવેશ થાયછે.

બિહાર, આસામમાં પુર

આસામ, બિહારમાં હાલત કફોડી

ગુવાહાટી, પટણા, લખનૌ તા. ૨૧ : બિહાર અને આસામમાં પુર તાંડવ જારી છે. પુરની સ્થિતિ નીચે મુજબ છે.

પુરથી અસરગ્રસ્ત જિલ્લા................................... ૨૪

પુરથી અસરગ્રસ્ત લોકો............................. ૪૯ લાખ

પુરથી લોકોના મોત.......................................... ૬૦

પુરથી અસરગ્રસ્ત ગામ................................. ૩૭૦૫

રાહત કેમ્પોની સંખ્યા................................... ૧૦૮૦

રાહત કેમ્પોમાં લોકોની સંખ્યા................... ૨.૬ લાખ

હેક્ટરમાં પાકને નુકસાન................ ૧.૭૯ લાખ હેક્ટર

એનડીઆરએફની ટીમ....................................... ૧૫

રાહત વિતરણ કેન્દ્ર......................................... ૩૯૨

બિહારમાં પુર

પુરથી અસરગ્રસ્ત જિલ્લા................................... ૧૨

પુરથી અસરગ્રસ્ત લોકો............................. ૬૭ લાખ

પુરથી લોકોના મોત........................................ ૧૦૦

એનડીઆરએફની ટીમ....................................... ૨૬

મોટરબોટ ગોઠવાઇ......................................... ૧૨૫

રાહત કેમ્પની સંખ્યા.................................... ૧૧૧૯

કેમ્પોમાં રહેલા લોકો................................ પાંચ લાખ

કોમ્યુનિટી કિચન.......................................... ૧૧૧૬

(12:00 am IST)