Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

ત્રીજી લહેરનો વૈજ્ઞાનિક આધાર નથી પણ હાલનો ટ્રેન્ડ જોખમી

બીજી લહેરથી હાહાકાર બાદ ત્રીજી લહેરનો ભય : કેટલીક થિયરીઓના આધારે દેશમાં ઓક્ટોબર સુધીમાં ત્રીજી લહેર શરુ થશે તેવા નિષ્ણાતો દ્વારા દાવા થઈ રહ્યા છે

બેંગલુરુ  : કોરોનાની બીજી લહેરે આખા દેશમાં ભયાનક સ્થિતિ સર્જી હતી, તેની અસર માંડ ઓસરી રહી છે ત્યારે ત્રીજી વેવની વાતો થવા લાગી છે. જોકે, બેંગલુરુના ટોચના વાયરોલોજિસ્ટ્સ અને હેલ્થકેર સાથે સંકળાયેલા એક્સપર્ટ્સ ત્રીજી લહેરને લઈને શંકા સેવી રહ્યા છે. તેમનું કહેવું છે કે આવનારા દિવસોમાં ગમે ત્યારે ત્રીજી લહેર શરુ થશે તેવી વાતને કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જોકે, લોકો હાલ જે રીતે માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગની ચિંતા કર્યા વિના ફરી રહ્યા છે તે ટ્રેન્ડ ખતરનાક છે. ઉલ્લેખનીય છે કે, કેટલીક થિયરીઓના આધારે દેશમાં ઓક્ટોબર સુધીમાં ત્રીજી લહેર શરુ થશે તેવા દાવા કરાઈ રહ્યા છે, તો કેટલાક એક્સપર્ટ્સ તેના પહેલા થર્ડ વેવ આવી જશે તેવી ચેતવણી આપી રહ્યા છે.

પ્રતિષ્ઠિત મનાતી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના માઈક્રોબાયોલોજીના નિવૃત્ત પ્રોફેસર ડૉ. વિજયા અંગે જણાવે છે કે ત્રીજી લહેર આવશે તેવો દાવો કરવા માટે કોઈ સાયન્ટિફિક ડેટા કે પછી ટેકનિકલ આધાર નથી. જોકે, બીજી લહેર હવે ઓસરી રહી છે ત્યારે લોકોએ બેફિકરા બનીને ફરવાનું શરુ કરી દીધું છે. પબ્લિક માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગને હવે ગંભીરતાથી નથી લઈ રહી તેવા સંજોગોમાં કેસોમાં ફરી વધારો થવાની શક્યતા ચોક્કસ છે.

જાણીતા વાયરોલોજિસ્ટ ડૉ. જેકબ જ્હોન જણાવે છે કે કોરોનાનો નવો વેરિયંટ ના આવે તો દેશમાં ત્રીજી લહેરની કોઈ શક્યતા નથી. હાલ જે વેરિયંટ જોવા મળી રહ્યો છે તે હવે નવી લહેર સર્જવા સક્ષમ નથી તેવું પણ તેમણે કહ્યું હતું. ડૉ. જ્હોનનું કહેવું છે કે ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ આમ તો લગભગ સરખા છે. જુલાઈ સુધીમાં કોરોનાના કેસ સાવ ઘટી જશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. જો રસીકરણમાં મોટાભાગના લોકોને આવરી લેવાય તો વર્ષના અંત સુધીમાં દેશમાંથી કોરોના ખતમ થઈ જાય તો પણ નવાઈ નહીં.

ડૉ. જેકબે એમ પણ જણાવ્યું હતું કે સિરોસર્વે સહિતના વિવિધ અભ્યાસ જણાવે છે કે મોટાભાગના લોકોને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે. નેચરલ ઈમ્યૂનિટી ધરાવતા મોટી સંખ્યામાં દર્દીઓને ખબર નથી પડી કે તેમને કોરોના થઈ ગયો હતો. હવે વેક્સિનેશન પ્રોગ્રામની ઝડપ પણ વધી છે ત્યારે આગામી દિવસોમાં કોરોનાના ફેલાવાની ઝડપ ઓર મંદ પડશે.

બીજી તરફ, કર્ણાટકની સ્થિતિ અંગે વાત કરતા રાજ્યની કોવિડ-૧૯ ટેકનિકલ એડવાઈઝરી કમિટિના ચેરમેન ડૉ. એમકે સુદર્શને જણાવ્યું હતું કે ઓક્ટોબર પહેલા રાજ્યમાં ત્રીજો વેવ શરુ થાય તેવી કોઈ શક્યતા નથી. ઉલ્લેખનીય છે કે, એક સમયે કર્ણાટક સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવનારું રાજ્ય બની ગયું હતું અને ત્યાંના ડેઈલી કેસનો આંકડો આખા દેશમાં સૌથી વધારે હતો. કર્ણાટકના સરકારી અધિકારીઓ પણ એવી વાત કરી રહ્યા છે કે તેઓ મહારાષ્ટ્રના તેમના સમકક્ષો સાથે સંપર્કમાં છે અને તેમનું પણ માનવું છે કે ઓક્ટોબર પહેલા ત્રીજી લહેરની કોઈ શક્યતા નથી.

(7:48 pm IST)