Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

યુદ્ધના વાદળો : ઈરાનના હવાઈ ક્ષેત્રનો ભારત ઉપયોગ નહીં કરે

યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને ભારતીય એરલાઈન્સનો નિર્ણય : ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ અને અન્ય દેશોની એરલાઈન્સ દ્વારા નિર્ણય કરવામાં આવ્યા બાદ ભારતનો નિર્ણય : અમેરિકા-ઈરાન વચ્ચે તંગદિલી ચરમસીમાએ

નવી દિલ્હી,તા. ૨૨ : અમેરિકા અને ઈરાન વચ્ચે સતત વધી રહેલી ટેન્શની અસર ભારત સુધી પણ પહોંચવા લાગી છે. ભારતની તમામ એરલાઈન્સે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ની સાથે વાતચીત કરીને ઈરાનના એર સ્પેસમાં અથવા  તો ઈરાનની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ ન કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ખેંચતાણ દિન પ્રતિદિન વધી રહી છે. યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે. યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને ઈરાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ ન કરવાનો નિર્ણય ભારતીય એરલાઈન્સ દ્વારા લેવામાં આવ્યો છે. ઓપરેટરનુ કહેવુ છે કે, ફ્લાઈટના વૈકલ્પિક રૂટ ઉપર વિચારણા કરવામાં આવી રહી છે. આ પહેલા દુનિયાની અનેક એરલાઈન્સ ઈરાની એરસ્પેસમાં ન જવાનો નિર્ણય કરી ચુકી છે. ભારતીય એરલાઈન્સના આ નિર્ણયથી પહેલા યુએઈ અતિહાદ એરવેઝે પણ ઈરાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ ન કરવાનો નિર્ણય કર્યો છે. જેથી યુએઈની એરવેઝ પણ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરીને આગળ વધશે. આ નિર્ણય બાદ દક્ષિણ એશિયા અને પશ્વિમ એશિયાની વચ્ચે અંતર વધુ વધી જશે. આની અસર ભારત ઉપર પણ થનાર છે. પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય હવાઈ દળ દ્વારા હવાઈ હુમલા કરવામાં આવ્યા બાદ પાકિસ્તાને પોતાના હવાઈ ક્ષેત્રને ભારતીય વિમાનો માટે બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદથી ભારતીય વિમાનોને અન્યત્ર રૂટનો ઉપયોગ કરીને અવર જવર કરવાની ફરજ પડી રહી છે. આવી સ્થિતિમાં દક્ષિણ એશિયાથી પશ્વિમ એશિયાના રસ્તા વધારે લાંબા થઈ જશે. આ પહેલા ઓસ્ટ્રેલિયાની ક્વાંટસ, બ્રિટિશ એરવેઝ, નેધરલેન્ડની કેએલએમ અને જર્મનીની લુફ્થાંસા એરલાઈન્સે પણ ઈરાનિયન હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ ન કરવાનો નિર્ણય કર્યો છે. વૈશ્વિક એરલાઈન્સને દિશા નિર્દેશ આપનાર કંપની ઓપીએસ ગ્રુપે ચેતાવરણી આપતા કહ્યું છે કે, કોઈ નાગરિક વિમાનને દક્ષિણ ઈરાનમાં તોડી પાડવાનો ખતરો વાસ્તવિક દેખાઈ રહ્યો છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનનુ કહેવુ છે કે, તેની ચેતવણી ઈરાન ફ્લાઈટ ઈન્ફરર્મેશન રિઝનના ક્ષેત્રને અસર કરી શકે છે. તેનુ કહેવુ છે કે, આ ક્ષેત્રમાં લશ્કરી ગતિવિધી અને રાજકીય તગદિલી વધી ગઈ છે. જે અમેરિકી નાગરિક વિમાનો માટે બિનજરૂરી ખતરો ઉભો કરે છે. ઓસ્ટ્રેલિયાની એરલાઈન્સ ક્વાન્ટાસ કહેયુ છે કે, તે પોતાના વિમાની સેવાઓના માર્ગને બદલી રહી છે. નેધરલેન્ડનુ કહેવુ છે કે, તેના દ્વારા પણ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવામાં આવનાર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી વધી ગયા બાદ ઈરાન તરફથી ગુરુવારના દિવસે  ઝીંકવામાં આવેલી મિસાઈલથી અમેરિકા નોકા સેનાના વિમાનને તોડી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદથી અમેરિકા લાલ ગુમ છે. અમેરિકાના આ ડ્રોન વિમાનની પાંખ બોઈંગ ૭૩૭ જેટ કરતા મોટી પાખો હતી. તેની કિંમત ૧૦ કરોડ અમેરિકી ડોલરથી વધારે હતી. અમેરિકાનુ કહેવુ છે કે, આ ઘટના બાદ ઈરાન ઉપર મર્યાદિત હુમલા કરવાની યોજના બનાવવામાં આવી હતી.

 

(7:53 pm IST)