Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ઘણા દેશો ભારતીય પર્યટકોને આવકારવા આતુર : વિઝાના નિયમોમાં રાહત

ઘણા દેશોએ છેલ્લા ૮-૧૦ મહિનામાં વિઝા અને પ્રવેશ પ્રક્રિયાના નિયમ હળવા કર્યા

નવી દિલ્હી તા. ૨૨ : ભારતીય પર્યટકોની સંખ્યા વધવાના અંદાજને પગલે ઘણા દેશોએ છેલ્લા ૮-૧૦ મહિનામાં વિઝા અને પ્રવેશ પ્રક્રિયાના નિયમ હળવા કર્યા છે. તાજેતરમાં UAEએ ભારતીયોને ફ્રી ટ્રાન્ઝિટ વિઝા આપવાનું શરૂ કર્યું છે. જેના ભાગરૂપે શ્ખ્ચ્ થઈને અન્ય દેશોમાં જતા ભારતીયો UAEમાં બે દિવસ ગાળી શકશે. વિઝાની મુદત ૫૦ દિરહામ ચૂકવી વધુ ૯૬ કલાક માટે વધારી શકાશે.

ઇઝરાયલે ભારતીય મુસાફરો માટેની વિઝા ફી મે મહિનાના ઈં ૧,૭૦૦થી ઘટાડી ઈં ૧,૧૦૦ કરી છે. ચાલુ મહિનાથી તેમણે ભારતીયો માટે એકસપ્રેસ વિઝાની પણ શરૂઆત કરી છે, જે બે વર્કિંગ ડેમાં ઉપલબ્ધ બનશે. ઉપરાંત, પર્યટન માટે ઇઝરાયલની મુલાકાત લેનારા ભારતીયોની ગ્૨ વિઝા કેટેગરીની એપ્લિકેશન ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જાપાને ભારતીય નાગરિકો માટે વિઝાના નિયમ હળવા કર્યા છે.

જેમાં પહેલી જાન્યુઆરીથી ટૂંકા ગાળાના પ્રવાસ માટે મલ્ટિપલ એન્ટ્રી વિઝાની જોગવાઈ છે. ચાલુ મહિને ઓમાને ભારતીય પર્યટકોને આકર્ષવા 'વિઝા ઓન અરાઇવલ'નો પ્રારંભ કર્યો છે. એન્ટ્રી વિઝા ધરાવતા અથવા અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, જાપાન અને શેન્જેન દેશોમાં રહેતા લોકોને ઓમાનમાં પ્રવેશવા આ સુવિધા મળશે. આ છ દેશોનો વિઝા ધરાવતી વ્યકિતના જીવનસાથી અથવા બાળકો તેમની સાથે હશે તો તેમને પણ 'વિઝા ઓન અરાઇવલ'ની સુવિધા મળશે.

યુએન વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશનના અંદાજ પ્રમાણે ૨૦૨૦ સુધીમાં વિદેશી પર્યટકોમાં ભારતીયોની સંખ્યા ૫ કરોડ હશે, જે ૨૦૧૭માં ૨ કરોડ હતી. ૧૭ એપ્રિલથી ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં ભારતના નાગરિકોને ખાસ સુવિધા આપવામાં આવી છે. જેમ કે, એર અસ્તાના અથવા કઝાખસ્તાનની કોઈ પણ એરલાઇનમાં મુસાફરી કરનારા તેમજ અસ્તાના અને/અથવા અલ્માતીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ દ્વારા અન્ય દેશની મુલાકાત લેતા અથવા અન્ય દેશમાંથી વાયા અસ્તાના અને/અથવા અલ્માતી પરત ફરતા ભારતીય નાગરિકોને ૭૨ કલાકનો ટ્રાન્ઝિટ-ફ્રી વિઝા મળી રહ્યો છે. ૭૨ કલાકનો આ ટ્રાન્ઝિટ વિઝા વ્યકિતગત પેસેન્જર્સ અને ટૂર ગ્રૂપ્સને લાગુ પડશે.

કોકસ એન્ડ કિંગ્સના હેડ ઓફ રિલેશનશિપ્સ કરણ આનંદે જણાવ્યું હતું કે, 'ઘણા દેશો ઇ-વિઝા જેવી સરળ પ્રક્રિયા દ્વારા ભારતીય મુસાફરોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમને ભારતના ટ્રાવેલ માર્કેટમાં વૃદ્ઘિની વિપુલ સંભાવના જણાય છે. ભારતીયો વિદેશ પર્યટનના ખર્ચમાં અવ્વલ છે, જે તેમને આકર્ષવા માટેનું સૌથી મોટું કારણ છે.' ઇઝરાયલ જેવા દેશમાં ગયા વર્ષે સૌથી વધુ ૬૦,૦૦૦ ભારતીય પર્યટકો આવ્યા હતા. ઇઝરાયલના ટૂરિઝમ મંત્રાલયના ડિરેકટર હસન મદાહે જણાવ્યું હતું કે, 'જાન્યુઆરીથી એપ્રિલના ગાળામાં ભારતીય પર્યટકોના આગમનમાં અગાઉના વર્ષના સમાન ગાળાની તુલનામાં ૨૭ ટકા વધારો (લગભગ ૧૯,૦૦૦ મુસાફરો) નોંધાયો છે, જે ૨૦૧૮ સુધીમાં અમારા ૧ લાખ પર્યટકોના લક્ષ્યાંકની નજીક પહોંચવામાં મદદ કરશે.'(૨૧.૧૩)

(11:53 am IST)