Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

સત્તાની ચાવી કોની પાસે આવશે તેને લઇને સસ્પેન્સનો કાલે અંત

સવારે મતગણતરી શરૂ થયા બાદ બપોર સુધી ચિત્ર સ્પષ્ટ થશે : ઉત્તરપ્રદેશ, બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન સહિતના અનેક રાજ્યોમાં પરિણામ પર તમામની નજર : દેશભરના કરોડો મતદારોની નજર

નવીદિલ્હી, તા. ૨૨ : દેશમાં કોની સરકાર બનશે તેને લઇને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી તમામ અટકળો અને ઉત્સુકતાનો આવતીકાલે લોકસભાની ચૂંટણી માટે મતગણતરીની સાથે જ અંત આવશે. આવતીકાલે સવારે મતગણતરી શરૂ કરવામાં આવ્યા બાદ પ્રવાહ મળવા લાગી જશે. આ વખતે પરિણામ આવવામાં વિલંબ થવાની શક્યતા છે. જો કે કેન્દ્રમાં સરકાર કોની બનશે તે અંગે બપોરમાં ચિત્ર મોટા ભાગે સ્પષ્ટ થઇ જશે. પ્રવાહને પણ સારી રીતે જાણી શકાશે. ચૂંટણી માટે દેશમાં સાત તબક્કામાં મતદાન થયુ હતુ. મતદાનની પ્રક્રિયા શરૂ થયા બાદ ૧૯મી મે સુધી મતદાનની પ્રક્રિયા ચાલી હતી. ૧૯મી મેના દિવસે અંતિમ તબક્કામાં મતદાન થયુ હતુ. ત્યારબાદ એક્ઝિટ પોલના તારણ પણ જારી કરવામાં આવ્યા હતા. એક્ઝિટ પોલ, ઇ પોલ અને સટ્ટાબજારની વાત માનવામં આવે તો આ વખતે ફરી એકવાર મોદી સરકાર બની રહી છે. જો કે હજુ સુધી કોઇ રાજકીય પંડિતો કોઇ વાત કરવાની સ્થિતીમાં નથી. કારણ કે, અનેક વખત એક્ઝિટ પોલના તારણ વાસ્તવિક પરિણામ સુધી રહ્યા નથી. આવી સ્થિતિમાં ચોક્કસપણે કોઇ પાર્ટી કે નેતા કહેવાની સ્થિતિમાં નથી. જો કે, એનડીએના સાથી પક્ષો પરિણામોને લઇને આત્મવિશ્વાસમાં દેખાઈ રહ્યા છે. પોલના પોલમાં કહ્યું છે ભાજપ અને સાથી પક્ષોને ૨૯૬ અને કોંગ્રેસ અને સાથી પક્ષોને ૧૨૭ સીટો મળવાનો અંદાજ છે. સી વોટર, જનકી બાત, ન્યુઝનેશન, અન્ય ટીવી સર્વેમાં પણ ભાજપને લીડ મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે  જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ.  ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૨ સીટો ઉપર સાત તબક્કામાં મતદાનની જાહેરાત કરી હતી જે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે અને બીજા તબક્કામાં ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થયુ હતુ અને ૨૯મી એપ્રિલના દિવસે ચોથા ચોથા તબક્કામાં મતદાન  થયુ હતુ.છટ્ઠી મેના દિવસે  પાચંમા તબક્કામાં મતદાન થયુ હતુ. જ્યારે છઠ્ઠા તબક્કામાં ૧૨મીના   દિવસે મતદાન થયુ હતુ.   સાતમા તબક્કામાં ૧૯મીમેના દિવસે મતદાન થયુ હતુ. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થયુ હતુ. બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૫ સીટ પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી ૧૧૬ સીટ પર મતદાન થયુ હતુ . છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન પૂર્ણ થયું હતુ. સામાન્ય ચૂંટણીમાં આ વખતે કુલ ૯૦ કરોડ મતદારો નોંધાયા હતા. આ પ્રથમ એવી ચૂંટણી છે જેમાં ૨૧મી સદીમાંજન્મેલા લોકો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.  ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી. સાતમાં અને અંતિમ તબક્કાના મતદાન બાદ એક્ઝિટ પોલના તારણો જારી કરવામાં આવ્યા હતા. મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપ માટે સારા સમાચાર આવ્યા હતા. તમામ એક્ઝિટ પોલમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર બનવાના સંકેત આપવામાં આવ્યા હતા. ટાઈમ્સનાઉ-વીએમઆર, સી-વોટર અને જનકી બાતના એક્ઝિટ પોલ મુજબ ફરી એકવાર ભાજપ કેન્દ્રમાં સરકાર બનાવશે. ટાઈમ્સનાઉ અને વીએમઆરના એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું હતું કે, એનડીએ શાનદારરીતે સત્તામાં વાપસી કરશે. પોલ મુજબ મોદી લહેરની સામે શાસન વિરોધી પરિબળની કોઇ અસર દેખાઈ નથી. વિરોધ પક્ષો સરકારને હચમચાવી મુકવામાં નિષ્ફળ રહ્યા છે. ટાઇમ્સ નાઉના એક્ઝિટ પોલ મુજબ એનડીએને ૫૪૨માંથી ૩૦૬ સીટો મળી શકે છે જે બહુમતિના ૨૭૨ના આંકડા કરતા ખુબ વધારે છે. કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએને મોટો ફટકો પડવાની વાત પોલમાં કરવામાં આવી છે. એક્ઝિટ પોલ મુજબ  રાજસ્થાન, મધ્યપ્રદેશમાં હાલમાં જોરદાર દેખાવ કરનાર કોંગ્રેસ પાર્ટી લોકસભા ચૂંટણીમાં કોઇ અસર છોડી શકી નથી. ટાઇમ્સનાઉ-વીએમઆરના એક્ઝિટ પોલમાં યુપીએને ૧૩૨ સીટો આપવામાં આવ્યા બાદ આને લઇને પણ યુપીએના પક્ષો જુદા વલણ સાથે મેદાનમાં આવ્યા છે. સી વોટરે પણ એનડીએને બહુમતિ આપી છે. આમા જણાવવામં આવ્યું છે કે, ગઠબંધનને ૨૮૭ સીટો મળી શકે છે. યુપીએને ૧૨૮ સીટો મળી શકે છે. જનકી બાતમાં પણ કહેવામાં આવ્યું છે કે, એનડીએને ૩૦૫, યુપીએને ૧૨૪ સીટો મળી શકે છે. ઇન્ડિયા ટુડે-માયએક્સિસ તેમજ એબીપી-નેલ્સનમાં પણ એનડીએને સૌથી વધારે સીટો મળવાનો અંદાજ દર્શાવવામાં આવ્યો છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ૪૩.૩ ટકા મત મળ્યા હતા પરંતુ આ વખતે તેની હિસ્સેદારી વધી રહી છે. ટાઈમ્સનાઉના પોલ મુજબ ઉત્તરપ્રદેશમાં લોકસભામાં ભાજપને ૫૦થી ૫૬ સીટો મળી શકે છે. એનડીએના ખાતામાં ૫૮ સીટો જઇ શકે છે. કોંગ્રેસ પાર્ટીને અગાઉની જેમ જ બે સીટો મળી શકે છે. મહાગઠબંધનને ૨૦ સીટો સાથે જ સંતોષ કરવાની ફરજ પડી શકે છે. એક્ઝિટ પોલના મોટાભાગના તારણો દર્શાવે છે કે, એનડીએને ફરીવાર સત્તામાં લોકો લાવવા માટે ઇચ્છુક છે.

સાત ચરણમાં મતદાન

નવીદિલ્હી, તા. ૨૨ : લોકસભાની ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી યોજાનાર છે. સાત તબક્કામાં મતદાન યોજાયું હતું. કયા તબક્કામાં કેટલા ટકા મતદાન થયું હતું તે નીચે મુજબ છે.

તબક્કા........................................ મતદાન (ટકામાં)

પ્રથમ........................................................ ૬૯.૫૦

બીજા........................................................ ૬૯.૪૪

ત્રીજા......................................................... ૬૮.૪૦

ચોથા........................................................ ૬૫.૫૧

પાંચમાં...................................................... ૬૪.૧૬

છઠ્ઠા........................................................... ૬૩.૪૯

સાતમાં  ૬૧.૧૩

(7:46 pm IST)