Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

શ્રીલંકા બોંબ બ્લાસ્ટ : મોતનો આંકડો વધીન હવે ર૯પ થયો

બ્લાસ્ટના સંબંધમાં વ્યાપક કાર્યવાહી : ર૪ પકડાયા : ચર્ચ-હોટેલમાં કરવામાં આવેલ બ્લાસ્ટમાં ઘાયલ લોકોની સંખ્યા પ૦૦ : કોલંબો એરપોર્ટ પાસે જીવિત બોંબ મળ્યા

કોલંબો,તા. ૨૨: શ્રીલંકામાં ગઇકાલ રવિવારના દિવસે પવિત્ર ઇસ્ટરના પર્વ પર કરવામાં આવેલા સિરિયલ બોંબ બ્લાસ્ટમાં મોતનો આંકડો વધીને હવ ૨૯૫ સુધી પહોંચી ગયો છે. જ્યારે ઘાયલ લોકોની સંખ્યા ૫૦ દર્શાવવામાં આવી છે. બોંબ બ્લાસ્ટ બાદ ઉંડી તપાસનો દોર જારી રહ્યો છે. હજુ સુધી ૨૪ લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. વ્યાપક દરોડાની કાર્યવાહી તમામ શકમંદ વિસ્તારમાં ચાલી રહી છ. શ્રીલંકામાં હજુ પણ વ્યાપક અરાજકતા પ્રવર્તી રહી છે. બીજી બાજુ કોલંબો વિમાનીમથક નજીક જીવિત બોંબ મળ્યા બાદ આ બોંબ નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. આનો અર્થ એ થયો કે શ્રીલંકા પર હજુ ખતરો પૂર્ણ રીતે ટળ્યો નથી. શ્રીલંકામાં આ બોંબ બ્લાસ્ટ એવી જ રીતે કરવામાં આવ્યા છે જે રીતે વર્ષ ૨૦૧૬માં ઢાકામાં હોળી આર્ટિશન બેકરી પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. શ્રીલંકામાં બોંબ બ્લાસ્ટ બાદ સુરક્ષા વ્યવસ્થા તમામ જગ્યાએ વધારી દેવામાં આવી છે. દરમિયાન શ્રીલંકામાં લાગુ સંચારબંધીને દુર કરી લેવામાં આવી છે.શ્રીલંકામાં ગઇકાલે રવિવારના દિવસે ઇસ્ટર પર્વ પર એક પછી એક આઠ પ્રચંડ બોમ્બ ધડાકા થયા હતા. જેના કારણે સમગ્ર શ્રીલંકા હચમચી ઉઠ્યું હતું . હુમલાખોરોએ ચર્ચ અને હોટલોને ટાર્ગેટ બનાવીને આ વિનાશક હુમલા કર્યા હતા. સિરિયિલ બોમ્બ બ્લાસ્ટથી સમગ્ર શ્રીલંકા હચમચી ઉઠ્યું હતું. મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે.  કારણ કે ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર છે. શ્રીલંકાના ઈતિહાસમાં થયેલા હજુ સુધીના સૌથી વિનાશક હુમલા તરીકે આને જોવામાં આવે છે જેની જવાબદારી હજુ સુધી કોઈપણ સંગઠને સ્વીકારી નથી પરંતુ એમ માનવામાં આવે છે કે તેમાં કટ્ટરપંથી સંગઠનોનો હાથ હોઈ શકે છે. માર્યા ગયેલાઓમાં ૪૦થી વધુ વિદેશી નાગરિકો છે જેમાં અમેરિકા, ભારત અને અન્ય દેશોના નાગરિકો સામેલ છે. બ્લાસ્ટ બાદ ૨૩મી એપ્રિલ સુધી સ્કુલ અને કોલેજો તથા સરકારી સંસ્થાઓમાં રજાની જાહેરાત કરી દેવામાં આવી છે. શ્રીલંકન પોલીસના તમામ જવાનોની રજા રદ કરી દેવામાં આવી છે. શ્રીલંકામાં ગઇકાલે એક પછી એક બ્લાસ્ટનો સીલસીલો શરૂ થયો હતો. ત્રણ ચર્ચ અને કેટલીક હોટલોને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. પ્રથમ બ્લાસ્ટ કોલંબોમાં સેન્ટએન્ટની ચર્ચ અને બીજો બ્લાસ્ટ પાટનગરની બહાર નેગોમ્બો વિસ્તારમાં સેબેસ્ટીયન ચર્ચમાં કરાયો હતો. ત્રીજો બ્લાસ્ટ પૂર્વીય શહેર બાટીકોલોવામાં ચર્ચામાં થયો હતો. ઉપરાંત જે હોટલોને ટાર્ગેટ બનાવીને હુમલા કરવામાં આવ્યા હતા તેમાં સાંગરીલા, સીનામોન અને કિંગ્સબેરીનો સમાવેશ થાય છે. ઈસ્ટરની પ્રાર્થના માટે ચર્ચમાં લોકો એકત્રિત થઈ રહ્યા હતા ત્યારે પ્રથમ બ્લાસ્ટ સવારે ૮.૪૫ વાગે થયો હતો. ત્યારબાદ એક પછી એક બ્લાસ્ટની શરૂઆત થઈ હતી. ઘાયલ થયેલા તમામ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોલંબો નેશનલ હોસ્પિટલના મોટાભાગના લોકોને ખસેડવામાં આવ્યા હતા. ત્રણ ફાઈવસ્ટાર હોટલો અને એક ચર્ચમાં પણ હુમલા કરાયા હતા.

(4:00 pm IST)