Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

મુસાફરોનો સમય બચાવવા માટે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્‍ટરનેશનલ અેરપોર્ટ ઉપર ઇમિગ્રેશન પ્રક્રિયા સરળ બનાવાશે

નવી દિલ્હી: દરરોજ હજારો લોકોની અવરજવરવાળા દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્‍ટરનેશનલ અેરપોર્ટ ઉપર ઇમિગ્રેશન પ્રક્રિયા હવે સરળ બનાવવામાં આવશે.

એરપોર્ટ પર ઈ-ઈમિગ્રેશન ગેટ લગાવવાની યોજના છે, જેનાથી મુસાફરોનો સમય બચશે અને એક મિનિટથી પણ ઓછા સમયમાં તેઓ પ્રક્રિયા પૂરી કરી શકશે. ઈ-ઈમિગ્રેશન ગેટ આગામી કેટલાક મહિનાઓમાં કામ કરવા લાગશે. આ ગેટને લગાવવા પાછળ મુખ્ય કારણ એરપોર્ટ પર લાંબી લાઈનોને ઓછી કરવાનું અને મુસાફરોના સમયને બચાવવાનું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ આ જાણકારી તેમને એક અધિકારીએ આપી. આ ટેક્નોલોજી દુનિયાના અનેક મોટા મોટા એરપોર્ટ્સ ઉપર પહેલેથી જ છે અને આઈજીઆઈ એરપોર્ટ પર હાલ આ સર્વિસને ટ્રાયલ બેસિસ પર શરૂ કરવામાં આવી રહી છે. આ તકનીકના ઉપયોગથી ઈમિગ્રેશનની પ્રક્રિયા ઓછામાં ઓછી 15 સેકન્ડમાં પૂરી થઈ શકશે.

અધિકારીઓએ જાણકારી આપી કે ગેટમાં કેમેરા પેસેન્જરના ચહેરાની ઓળખ કરે છે અને પાસપોર્ટની ડીટેલ્સ પણ સ્કેન કરી લે છે. ડીટેલ સ્કેન કર્યા બાદ ગેટ આપોઆપ ખુલી જાય છે. જો કે મશીનમાં ડેટાબેઝ ફીડ કરવો પડે છે. આ માહિતીને અગાઉથી જ ભેગી કરી લેવી પડે છે. આઈજીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે ઓછા જોખમવાળા મુસાફરો કે જેમનું એજન્સીઓ દ્વારા વેરિફિકેશન થઈ ગયુ છે, તેઓ મશીન દ્વારા જઈ શકે છે. જે લોકો વિદેશ જાય છે તેમના માટે ડેટાબેઝ તૈયાર કરવો પડશે. અધિકારીના જણાવ્યાં મુજબ આ ટેક્નોલોજી વિદેશોમાં લાંબા સમયથી ઉપયોગમાં લેવાઈ રહી છે, પરંતુ અહીં મશીનોને ઈન્સ્ટોલ કરવામાં સમય લાગશે. શરૂઆતમાં ટેસ્ટિંગ માટે બે ઈ-ગેટ લગાવવામાં આવશે. આ મશીન પર દરેક પ્રવાસી માટે અંદાજે 10-15 સેકન્ડ્સનો સમય લાગે છે.

હાલની પ્રક્રિયા મુજબ એક પ્રવાસીની ઈમિગ્રેશન પ્રોસેસ માટે સરેરાશ 10 મિનિટનો સમય લાગે છે. અત્રે જણાવવાનું કે દિલ્હી એરપોર્ટ એશિયાનું 7મું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે, જ્યારે વિશ્વનું 20મું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે.

(6:57 pm IST)