Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

કોરોના મહામારી દેશમાં દર ૫મો વ્યકિત થયો બેરોજગાર

કોરોનાએ લોકોને આર્થિક રીતે તોડ્યા : ૬૬ ટકા લોકોએ કહ્યું કે કોરોનાથી ઈનકમમાં થયો ઘટાડો

 નવી દિલ્હી,તા.૨૨ : કોરોના સંકટના કારણે દેશને અને નાગરિકોને મોટું નુકસાન થયું છે. કોરોનાએ દરેક વર્ગના લોકોને આર્થિક નુકસાન કર્યું છે. કોઈની નોકરીઓ ગઈ અને લાખો લોકો બેરોજગાર થયા તો કોઈને આર્થિક રીતે મોટું નુકસાન થયું છે. આજે દેશનો દર ૫મો નાગરિક બેરોજગાર બન્યો છે.

 એક ખાનગી સર્વેથી મળી રહેલી માહિતી અનુસાર લોકોનું કહેવું છે કે કોરોનાએ દરેક વર્ગના લોકોને આર્થિક રીતે નુકસાન કર્યું છે. કોઈ બેરોજગાર થયા તો કોઈની આર્થિક સ્થિતિમાં મોટું નુકસાન થયું છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે ૬૬ ટકા લોકો માને છે કે તેમની આવક પર કોરોનાની મારનો ભાર પડ્યો છે. સર્વે અનુસાર કોરોનાના કારણે ૧૯ ટકા લોકો નોકરી ખોવી ચૂક્યા છે. ૧૨ ટકા લોકોએ કહ્યું કે કંઈ બદલાયું નથી.

 સર્વેમાં જાણવા મળ્યું છે કે ૬૬ ટકા ખેડૂતોએ કહ્યું કે તેમની આવક ઘટી છે. ૧૭ ટકા ખેડૂતોએ કહ્યું કે કોરોના સંકટને કારણે જે ખેતી હતી તે ખતમ થઈ છે અને તેઓ બેરોજગાર બન્યા છે.

 શ્રમિકોની વાત કરીએ તો ૬૯ ટકા શ્રમિકોનું કહેવું છે કે તેમની આવક ઘટી છે અને ૨૧ ટકાનું માનવું છે કે આ કોરોનાએ તેમને બેરોજગાર કરી દીધા છે.

 સ્વ રોજગાર સાથે જોડાયેલા ૬૫ ટકા લોકોએ કહ્યું કે તેમની આવક ઘટી છે અને ૨૦ ટકાએ કહ્યું કે જે રોજગાર હચો તે પણ ખતમ થઈ ચૂક્યો છે.

 ૩ થી ૧૩ જાન્યુઆરીની વચ્ચે કરાયેલા સર્વેમાં ૧૨૨૩૨ લોકો સાથે વાત કરાઈ હતી.  સર્વેમાં એમ પણ જાણવા મળ્યું છે કે ૬૬ ટકા બિઝનેસમેનની આવકમાં ઘટાડો થયો છે. જ્યારે ૧૯ ટકા કારોબાર બંધ થયા છે. આ સિવાય ખાનગી સર્વેમાં એમ પણ કહેવાયું છે કે ૬૧ ટકા નોકરી કરનારાની આવક ઘટી છે તો ૧૯ ટકા લોકો કોરોનાથી બેરોજગાર બનીને ઘરે બેઠા છે.

(11:31 am IST)