Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

પાકની પડતર વધી- ખાતરના ભાવ વધ્યા તો ખેડૂતોની આવક બમણી કઈ રીતે થઈ ?

આ ગણિત અમને સમજાતુ નથીઃ ટિકૈત : ૨૭ ડિસેમ્બરે ખેડૂતો વડાપ્રધાનની ''મન કી બાત'' થાળી- તાળીના અવાજથી દબાવી દેશે

નવીદિલ્હી,તા.૨૧: કૃષિ કાનૂનોના મુદ્દા પર ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકાર વચ્ચે હજુ સુધી ફરીથી વાતચીત શરૂ નથી થઈ શકી. ખેડૂતોએ ચોખ્ખેં કરી દીધું છે કે વાતચીત શરૂ કરતા પહેલા સરકારે ત્રણે કાયદા રદ કરવા પડશે. તો સરકાર પણ આ કાયદાઓ સાથે જ આગળ વધવા અડગ છે. આ દરમ્યાન ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટીકૈતે કેન્દ્ર સરકારનાએ દાવાઓ પર નિશાન તાકયું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતોની આવક છેલ્લા થોડા વર્ષમાં બમણી થઈ છે. ટીકૈતે કહ્યું કે પાકની કિંમતો ઘટી ગઈ પણ આવક વધી ગઈ. આ કયુ ગણીત છે.

ટિકૈતે કહ્યું, ''પહેલા ધાનનો ભાવ ૩૫૦૦ રૂપિયા હતો, હવે તે ૧૫૦૦ રૂપિયા છે. ખાતરનો ભાવ પણ વધી ગયો છે, જે જરૂરી વસ્તુઓ છે તેના ભાવો પણ વધી ગયા છે. પણ પાકના ભાવ ઘટી ગયા. આ ફોર્મ્યુલા સમજમાં નથી આવી રહી કે પડતર વધી ગઈ ભાવ ઘટી ગયા અને આવક બમણી. આ કયા પ્રકારનું ગણીત છે? અમને આ શિક્ષક સાથે મેળાપ કરાવો જે આવું ગણીત સમજાવે છે.''

 આ પહેલા ખેડૂતોની રોજ થતી પ્રેસ કોન્ફરન્સમાં ટીકૈતે કહ્યું કે ભાજપા હલકી હકતો કરે છે. ખેડૂતોના નામે પોતાના અનુયાયીઓને પૈસા આપીને રેલીઓ કાઢે છે. ખેડૂતોના ૫૦ લાખના મુચરકા ભરાવે છે પણ અમે તેનાથી ડરવાના નથી. હવે ૨૧ થી ૨૩ તારીખ સુધી ધરણાંની બધી જગ્યાઓએ ૧૧ ખેડૂતો એક દિવસની ભૂખ હડતાલ કરશે. ૨૬ થી ૨૭ ડિસેમ્બરના હરીયાણાના ટોલ પ્લાઝા ફ્રી કરશે. કાલથી અદાણીના બધા ખાદ્ય ઉત્પાદનો જેવા કે ફોર્ચ્યુન આટા, તેલ, રિફાઈન્ડ વગેરેનો બહિષ્કાર કરશે.

૨૭ ડિસેમ્બરે મોદીજીની મન કી બાતના સમયે ખેડૂતો દેશભરમાં થાળી, તાળીના અવાજમાં તેમનો  અવાજ દબાવી દેશે.

(3:54 pm IST)