Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

UKના કોરોનાના નવા પ્રકારની ચર્ચા માટે સ્વાસ્થ્ય મંત્રાલયે બોલાવી ઈમર્જન્સી બેઠક

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે જોઈન્ટ મોનિટરિંગ ગ્રૂપની એક ઈમર્જન્સી બેઠક બોલાવવામાં આવી છે

નવી દિલ્હી,તા. ૨૧: યુકેમાં કોરોના વાયરસનો એક નવો પ્રકાર સામે આવ્યો છે અને તેના કારણે ત્યાં ચેપ ફેલાવવાની ઝડપ વધી ગઈ છે. તેને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે તેના જોઈન્ટ મોનિટરિંગ ગ્રૂપની તાકિદની બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોરોનાના નવા પ્રકાર અંગે ચર્ચા કરવામાં આવશે.

યુકેમાં કોરોનાનો આ નવો પ્રકાર સામે આવ્યો અને તેના કારણે યુરોપના દ્યણા દેશોએ યુકેથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. બ્રિટિશ સરકારે ચેતવણી આપી છે કે આ વાઈરસનો આ નવો સ્ટ્રેઈન નિયંત્રણની બહાર છે અને તેના કારણે રવિવારથી લોકડાઉન વધારે કડક બનાવી દેવામાં આવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું છે કે, ડાયરેકટર જનરલ ઓફ હેલ્થ સર્વિસિસ (ડીજીએચએસ)ની અધ્યક્ષતામાં જોઈન્ટ મોનિટરિંગ ગ્રૂપ (જેએમજી)ની સોમવારે તાકિદની બેઠક બોલાવવામાં આવી છે જેમાં યુકેમાં નોંધાયેલા કોરોનાના નવા સ્વરૂપ અંગે ચર્ચા કરવામાં આવશે. ભારતમાં WHOના પ્રતિનિધી ડોકટર રોડેરિકો એચ ઓફ્રિન પણ આ બેઠકમાં ભાગ લે તેવી શકયતા છે. તેઓ આ ગ્રૂપના સભ્ય છે.

યુકેમાં કોરોનાના આ નવા પ્રકારથી ચેપ ઝડપથી ફેલાવા લાગ્યો છે. જેના કારણે યુકેમાં રવિવારથી સ્ટે-એટ-હોમ લોકડાઉનને વધારે કડક બનાવી દેવામાં આવ્યું છે. જીવન જરૂરી ન હોય તેવી વસ્તુઓની દુકાનો તથા ઉદ્યોગ-ધંધા બંધ કરી દેવામાં આવ્યા છે. યુકેના વડાપ્રધાન બોરિસ જહોનસનને નવા નિયમોની જાહેરાત કરી હતી. જેના કારણે હવે ક્રિસમસ બબલના પાંચ દિવસમાં જે છૂટછાટ આપવામાં આવવાની હતી તે રદ કરી દેવામાં આવી છે.

(10:07 am IST)