Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ડો. હર્ષવર્ધને આપ્યા રાહતના સમાચાર

આવતા મહિનાથી લોકોને મળી શકે છે વેકસીન

નવી દિલ્હી,તા. ૨૧: કોરોના વાયરસ સામેની રસીની રાહ આખરે આવતા મહિને સમાપ્ત થઈ શકે છે. દેશના આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું છે કે, ભારતમાં લોકોને કોવિડ -૧૯ની રસી આપવાનું કામ જાન્યુઆરીથી શરૂ કરી શકાય છે. તેમણે જણાવ્યું છે કે, સરકારની પ્રાથમિકતા રસીની સલામતી અને અસરકારકતા છે. આરોગ્ય મંત્રીએ કહ્યું છે કે, ભારત રસીના વિકાસમાં કોઈથી પાછળ નથી.

હર્ષવર્ધને કહ્યું કે, મને વ્યકિતગત રીતે લાગે છે કે જાન્યુઆરીમાં એવો કોઈ સમય આવી શકે છે જયારે આપણે ભારતમાં લોકોને પ્રથમ કોવિડ -૧૯ રસી આપવાની તૈયારીમાં હોઈએ. તેમણે કહ્યું હતું કે, રેગ્યુલેટ તમામ રસીઓનું વિશ્લેષણ કરશે, તેમનું પણ જેમણે ઇમરજન્સીમાં ઉપયોગ માટે અરજી કરી છે. તેમણે કહ્યું છે કે, કોવિડ -૧૯ રસી અને સંશોધનની બાબતમાં ભારત કોઈ દેશથી પાછળ નથી.

આ પહેલા શનિવારે તેમણે કહ્યું હતું કે વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો સ્વદેશી રસીઓ પર કામ કરી રહ્યા છે અને ૩૦ કરોડ લોકોને રસી આપવાની ક્ષમતા ૬-૭ મહિનામાં પ્રાપ્ત થઈ જશે. તેમણે કહ્યું હતું કે, આ રસી જિનોમ સિકિવન્સિંગ અને કોરોના વાયરસ આઈસોલેશન કરીને બનાવવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે દેશમાં ૬ વેકસીન કેન્ડિડેટ ટ્રાયલના વિવિધ તબક્કાઓમાં છે. જેમાં Covishield, Covaxin, ZyCoV-D, Sputnik V, NVX-CoV2373 અને રિકોમ્બિનન્ટ પ્રોટીન એન્ટિજેન આધારિત રસી છે. આ સિવાય ત્રણ રસી પ્રી-કિલનિકલ તબક્કે છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષને કહ્યું હતું કે તમામ રસીના બેથી ત્રણ ડોઝ આપવામાં આવશે.

(10:06 am IST)