Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

બે દિવસ લોકો ઘરમાં જ રહેશે

કર્ફયુનો કડક અમલ : સમગ્ર અમદાવાદ સુમસામ

બજારો - રસ્તાઓમાં સન્નાટો : બેંકો - ઓફિસો બંધ : વાહનો દોડતા બંધ થયા : પોલીસનું કડક પેટ્રોલીંગ

અમદાવાદ તા. ૨૧ : ગઈકાલ રાતથી અમદાવાદમાં કફર્યૂનો અમલ શરુ થઈ ગયો છે. જોકે, તે પહેલા જ લોકો પોતાના જરુરી કામ પતાવીને ઘરભેગા થઈ ગયાં હતાં, અને નવ વાગ્યા સુધીમાં તો શહેર આખુંય સૂમસામ થઈ ગયું હતું અને રસ્તા પર પોલીસ અને એકલદોકલ વાહનોને બાદ કરતાં ભાગ્યે જ કોઈ જોવા મળતું હતું. શહેરમાં આ જ સ્થિતિ સોમવારે સવારે છ વાગ્યા સુધી રહેવાની છે. શુક્રવારે આખો દિવસ અમદાવાદ શહેર પોલીસની વાનો વિવિધ વિસ્તારોમાં ફરી હતી, અને લાઉડ સ્પીકર દ્વારા લોકોને કફર્યૂની જાણકારી આપીને ઘરની અંદર જ રહેવા માટે જણાવાયું હતું. શહેરના ધમધમતા માર્ગો ખાલી જણાય રહ્યા છે. બજારો - ઓફિસો સજ્જડ બંધ છે. વાહનોની ધરધરાટી પણ સંભળાતી નથી. પોલીસનું કડક પેટ્રોલીંગ ચાલુ છે.

 

કફર્યૂના દિવસોમાં ટ્રેનો અને ફલાઈટ્સના સમયમાં કોઈ ફેરફાર નથી કરાયો. જોકે, રિક્ષા કે ટેકસી મેળવવામાં લોકોને તકલીફ થાય તેવી શકયતા હોવાથી તેના માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. જે લોકો શનિ-રવિના દિવસોમાં એરપોર્ટ કે રેલવે સ્ટેશન પર ઉતરવાના છે તેમના માટે AMTS-BRTSની સ્પેશિયલ બસો તૈનાત કરવામાં આવશે. ફલાઈટ કે ટ્રેન આવવાના હોય ત્યારે આ બસો રેલવે કે એરપોર્ટ પરથી ઉપડી અમદાવાદના વિવિધ સ્થળો પર જવા રવાના થશે. આ સિવાય રેગ્યુલર રીતે ચાલતી એએમટીએસ અને બીઆરટીએસની સુવિધા બંધ રહેવાની છે.    અચાનક લાદવામાં આવેલા બે દિવસના કફર્યૂને કારણે અમદાવાદમાં રીતસરનો અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સીએ સહિતના કેટલાક સ્ટૂડન્ટ્સની પરીક્ષા પણ આ બે દિવસમાં યોજાવાની છે. શહેરમાં ૧૬૦૦ જેટલા લગ્નપ્રસંગો પણ છે. જોકે, સરકારે તેમાં થોડી છૂટ આપી છે. સ્ટૂડન્ટ્સ આઈકાર્ડ, હોલ ટિકિટ કે પરીક્ષાની રિસિપ્ટ બતાવી સેન્ટર પર પહોંચી શકશે. લગ્નપ્રસંગમાં થોડાક મહેમાનોને છૂટ અપાઈ છે, પરંતુ તેમને કંકોત્રી સાથે રાખવાની રહેશે. મરણપ્રસંગમાં પણ ૨૦ લોકો ભેગા થઈ શકશે.

આજે અને કાલે શાકમાર્કેટ, મોલ્સ, કરિયાણા સહિતની બધી જ દુકાનો અને સ્ટોર્સ બંધ રહેવાના છે. જોકે, દૂધની દુકાન અને મેડિકલ સ્ટોર્સ ખૂલ્લા રહેશે. ગઈકાલે લોકોએ કફર્યૂ પહેલા કરિયાણું અને શાકભાજી ખરીદવા માટે રીતસરની પડાપડી કરી હતી, જેના કારણે અમદાવાદના ઘણા વિસ્તારોમાં તો બટાકા-ડુંગળી સો રૂપિયે કિલોના ભાવે વેચાયા હતા. ઘણી દૂધની દુકાનોમાં સવાર-સવારમાં જ સ્ટોક ખતમ થઈ ગયો હતો. કફર્યૂ માત્ર બે દિવસનો હોવા છતાંય લોકો લોકડાઉન આવી જશે તેવા ડરે ખરીદી કરવા ઉમટી પડ્યા હતા.

(11:11 am IST)