Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

રાફેલ મામલે દાળમાં કાળું છે : મનમોહનસિંહનો દાવો

સંસદીય સમિતિની માંગની અવગણના થાય છે : નરેન્દ્ર મોદી સરકારે દર વર્ષે બે કરોડને નોકરી આપવાની વાત કરી હતી પરંતુ હજુ વચન પાળવામાં આવ્યું જ નથી

ઇન્દોર, તા. ૨૧ : મધ્યપ્રદેશના ઇન્દોરમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે રાફેલ ડિલને લઇને મોદી સરકાર ઉપર આજે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જ્યારે અમે કોઇ સંસદીય સમિતિની માંગ કરીએ છીએ ત્યારે સરકાર શા માટે તૈયાર થતી નથી. તેમણે કહ્યું હતું કે, સરકાર તૈયાર થઇ રહી નથી તો આનો મલતબ એ થાય કે દાળમાં કાળું છે. ચૂંટણી પ્રચાર પહેલા મિડિયા સાથે વાતચીત કરતા મનમોહનસિંહે સરકાર ઉપર પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે, દેશના લોકો રાફેલ ડિલને લઇને શંકા જાહેર કરી ચુક્યા છે. વિપક્ષ અને અનેક સંગઠન સંયુક્ત સંસદીય સમિતિની માંગ કરી રહ્યા છે પરંતુ મોદી સરકાર આના માટે તૈયાર થઇ રહી નથી. આનાથી લાગે છે કે, કંઇને કંઇ ખોટુ થયું છે. મનમોહનસિંહે નોકરી આપવાના વચનના મુદ્દે પણ મોદી ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, મોદી સરકારે યુવાનોને દર વર્ષે બે કરોડ નોકરી આપવાનું વચન આપ્યું હતું પરંતુ આ વચન પાળી શકાયું નથી. મિડિયા સાથે વાતચીત કરતા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિજય વર્ગીયે કહ્યું હતું કે, મનમોહનસિંહ રિમોટ કન્ટ્રોલથી ચાલનાર વડાપ્રધાન હતા. મનમોહનસિંહ વડાપ્રધાન તરીકે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ઇશારે ચાલી રહ્યા હતા. કોલસા અને દૂરસંચાર સહિત જુદા જુદા ક્ષેત્રોમાં યુપીએ સરકારના ગાળા દરમિયાન થયેલા કૌભાંડોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન તરીકે મનોહનસિંહ એવા જ મામલા ઉપર નિર્ણય લેતા હતા જે મામલામાં કેટલાક લોકોને ખુબ વધારે પડતો આર્થિક ફાયદો થતો હતો. તેમના વડાપ્રધાન તરીકેના ગાળા દરમિયાન દેશના ૧૧ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. ભ્રષ્ટાચારનો આંકડો ૧૧ લાખ કરોડથી ઉપર પહોંચી ગયો હતો. ભાજપના મહસચિવે પ્રશ્ન કરતા  કહ્યું હતું કે, વડાપ્રધાનના હોદ્દા પરના ગાળા દરમિયાન તેઓ  કેટલાક લોકોના દબાણ હેઠળ હતા કે કેમ. વિજયવર્ગીયેનું કહેવું છે કે, મનમોહનસિંહ મૂળરીતે અર્થશાસ્ત્રી છે પરંતુ વડાપ્રધાન તરીકેના ગાળા દરમિયાન દેશની અર્થવ્યવસ્થા ખુબ જ ખરાબ થઇ ગઇ હતી. રાજકોષીય ખાધ અનેકગણી વધી ગઈ હતી. મનમોહનસિંહે કહ્યું હતું કે, રિમોટ કન્ટ્રોલથી ચાલનાર સરકાર હોવાના આક્ષેપ આધારવગરના છે. કોંગ્રેસ સરકાર એવા તરીકાથી ચલાવવામાં આવે છે જેનાથી સરકાર અને પાર્ટી બંને એક સ્તર પર કામ કરે છે. અમારા ગાળામાં સરકાર અને પાર્ટીમાં કોઇ મતભેદની સ્થિતિ ન હતી જ્યારે આજે મતભેદની સ્થિતિ સ્પષ્ટપણે નજરે પડે છે.

(7:19 pm IST)