Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

'ધીરે ધીરે કટોકટીનું થઇ રહ્યું છે આગમન, શું આપણે ચૂપ બેસી રહેવું જોઇએ?' - ઉધ્ધવ ઠાકરે

મુંબઈ તા. ૨૧ : શિવસેનાએ પરોક્ષ રીતે સત્તારૂઢ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે ચોરીછૂપે કટોકટીની પધરામણી થઈ રહી છે. શિવસેના મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારમાં ભાજપનો સાથી પક્ષ છે, પરંતુ બંને પક્ષો વચ્ચે સ્થાનિક અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર સતત લમણા લેવાઈ રહ્યાં છે. એક સવાલ પર ઉદ્ઘવ ઠાકરેએ કહ્યું કે પત્રકારોએ ટીકા કરતી વખતે કઠોર શબ્દોનો ઉપયોગ કરવાથી પણ ખચકાટ અનુભવવો જોઈએ નહીં અને જો આવી આલોચનાનો હેતુ સ્પષ્ટ હોય તો તે કોઈ મુદ્દો જ નથી. ઠાકરે એ સવાલ કર્યો કે જો કે, હાલ કટોકટી ગુપચુપ ટકોરા મારી રહી છે. શું આપણે ચૂપ રહેવું જોઈએ?

ભાજપ પર નિશાન સાંધતા ઠાકરેએ કહ્યું કે બાબરી મસ્જિદ ધ્વંસ મામલો રાષ્ટ્રપતિ ચૂંટણી વખતે ફરી ઉખડ્યો હતો અને હવે લોકસભા ચૂંટણી પહેલા રામમંદિરનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. ઠાકરેએ કોઈનું નામ તો ન લીધુ પરંતુ તેઓ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો હવાલો ટાંકી કહ્યાં હતાં.

જુલાઈ ૨૦૧૭માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પહેલા તેમને પ્રબળ દાવેદારોમાં ગણવામાં આવતા હતાં. બાબરી મસ્જિદ ધ્વંસ મામલે તે વર્ષે એપ્રિલમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તેમની દાવેદારી પર અટકળો ખતમ થઈ ગઈ હતી. ઠાકરેએ મંગળવારે કહ્યું કે તેઓ ૨૫ નવેમ્બરના રોજ અયોધ્યા જશે પરંતુ હજુ સુધી તેમણે એ નિર્ણય નથી લીધો કે તેઓ ત્યાં રેલી કરશે કે નહીં.

(11:00 am IST)