Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

૩૦મી સુધીમા પગાર ન ચુકવાય તો આવતા મહિનાથી જેટ એરવેઝના પાઇલોટ વધારાની ફરજ નહી બજાવે

નવી દિલ્હી:જેટ એરવેઝના પાઇલટ્સે જો 30 નવેમ્બર સુધીમાં પગાર ચૂકતે નહીં થાય તો આવતા મહિનાથી વધારાની ફરજ નહીં નિભાવવાની ધમકી ઉચ્ચારી છે એમ એરલાઇનના સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું. પગારના મુદ્દે અત્યાર સુધી કૂણું વલણ અપનાવનારા જેટ એરવેઝના ડોમેસ્ટિક પાઇલટ્સ જૂથ નેશનલ એવિએટર્સ ગીલ્ડ (NAG)એ કંપનીની નાણાકીય પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે મંગળવારે બેઠકનું આયોજન કર્યું હોવાની શક્યતા છે.

નરેશ ગોયલની જેટ એરવેઝ સતત ત્રણ ક્વાર્ટર્સથી ખોટ નોંધાવી રહી છે અને અમુક સ્ટાફનો પગાર પણ કરવામાં ડિફોલ્ટ થઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, “જો સંપૂર્ણ પગાર 30 નવેમ્બર સુધીમાં નહીં મળે તો પહેલી ડિસેમ્બરથી માત્ર હાજરી પુરાવવામાં આવશે અને કોઈ વધારાની ડ્યૂટી નહીં નિભાવવાનો નિર્ણય પાઇલટ્સે લીધો છે. આ નિર્ણય અંગે મેનેજમેન્ટે મૌખિક જાણ કરવામાં આવી છે.આ અંગે જેટ એરવેઝને મોકલેલી પ્રશ્નોત્તરીનો કોઈ જવાબ મળ્યો નથી. જેટ એરવેઝનો શેર સોમવારે 6.88 ટકા ઘટીને ₹323એ બંધ રહ્યો હતો.

જેટ એરવેઝના લગભગ 1,600 પાઇલટ્સ તેમજ એન્જિનિયર્સ અને સિનિયર મેનેજમેન્ટ અધિકારીઓને સપ્ટેમ્બરનો 50 ટકા જ પગાર મળ્યો છે. ઓક્ટોબરનો તો પૂરેપૂરો પગાર જ બાકી છે અને સપ્ટેમ્બરનો પણ 50 ટકા પગાર બાકી છે.

જેટ એરવેઝના પાઇલટ્સ મહિને 75થી 80 કલાક ફ્લાઇંગની સામે 90 કલાક સુધી ફ્લાઇંગ કરે છે કારણ કે અત્યારે પાઇલટ્સની ગંભીર અછત છે, ખાસ તો બોઇંગ 737 વિમાનોને ચલાવનારા પાઇલટ્સની તંગી છે એટલે તેમણે ઓવરટાઇમ કરવો પડે છે. આથી, કંપનીએ રવિવારે મુંબઈથી 10 ફ્લાઇટ્સ કેન્સલ પણ કરી હતી.

(12:00 am IST)