Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

એકનાથ ખડસેએ ભાજપ સાથે છેડો ફાડ્યો, NCPમાં જોડાશે

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી વખત હલચલ : એકનાથ ખડસેએ તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થતા ફડણવીસ સરકારમાંથી રાજીનામું આપવું પડ્યું હતું

મુંબઈ, તા.૨૧ : મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ એક વખત હલચલ જોવા મળી છે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા એકનાથ ખડસે શુક્રવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં સામેલ થશે. એકનાથ ખડસેએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હોવાની પુષ્ટિ પણ પક્ષ દ્વારા થઈ છે. ભાજપે એકનાથ ખડસેને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠલી છે. રાજ્ય સરકારમાં મંત્રી જયંત પાટિલે દાવો કર્યો છે કે ખડસે શુક્રવારે એનસીપીમાં સામેલ થશે. શુક્રવારે બપોરે બે વાગ્યે ખડસે એનસીપીનું સભ્ય પદ મેળવી શકે છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે એનસીપી નેતાઓ અને એકનાથ ખડસે વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી વાતચીત ચાલી રહી હતી. ઉદ્ધવ સરકારમાં ખડસેને મંત્રી પદ મળે તેવી શક્યતા છે. એકનાથ ખડસેની નજર કૃષિ મંત્રાલય પર છે જે હાલમાં શિવસેના પાસે છે.

ભાજપમાં ખડસેને સાઈડલાઈન કરવામાં આવ્યા હોવાથી તે પક્ષ છોડશે તેવી અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી. રવિવારે ખડસેએ પક્ષમાંથી રાજીનામું આપ્યું હોવાની વાત સામ આવી હતી પરંતુ ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે આ દાવાને ખોટો ગણાવ્યો હતો.

એનસીપીના નેતા શરદ પવારે પણ નિવેદન કરી જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપને બેઠો કરવામાં ખડસેનું મહત્વનું યોગદાન રહ્યું છે, ત્યારે હવે તેમને પાર્ટીએ હાંસિયામાં ધકેલી દીધા છે જે યોગ્ય નથી. ૨૦૧૫માં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ એકનાથ ખડસેએ ફડણવિસ સરકારમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી તેમની રાજકીય કારકિર્દી અસ્તાચલ તરફ ધકેલાઈ હોવાનું માનવામાં આવતું હતું. ખડસેના સમર્થકોનું માનવું છે કે ફડવણિસે જ તેમને સાઈડલાઈન કર્યા હતા.

 ૨૦૧૯ વિધાનસભા ચૂંટણીમાં ખડસેને ટિકિટ ના મળતા તેમણે દેવેન્દ્ર ફડણવિસ પર સીધા પ્રહારો શરૂ કર્યા હતા. જો કે ખડસેની પુત્રીને ટિકિટ મળી હતી જેન પરાજય થયો હતો. આ ઉપરાંત જલગાંવમાં ખડસેના સ્થાને પાર્ટી ગિરીશ મહાજનને મહત્વ આપી રહી છે.

(9:18 pm IST)