Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

સંસદનું શિયાળુ સત્ર ૧૮મી નવેમ્બરથી શરૂ કરવા તૈયારી

૧૩મી ડિસેમ્બર ૨૦૧૯ સુધી શિયાળુ સત્ર ચાલશે : સરકાર દ્વારા અનેક મહત્વપૂર્ણ બિલ લાવવા માટે તૈયારી આર્થિક મંદી, કાશ્મીર, આતંકવાદ સહિતના મુદ્દા ચમકશે

નવીદિલ્હી, તા. ૨૧ : સંસદનું શિયાળુ સત્ર ૧૮મી નવેમ્બરથી શરૂ થઇને ૧૩મી ડિસેમ્બર સુધી ચાલશે. સરકારે બંને ગૃહના સચિવાલયોને આ અંગે જાણ કરી દીધી છે. આ સત્ર દરમિયાન સરકાર કેટલાક મહત્વપૂર્ણ બિલ પસાર કરવાના પ્રયાસ કરશે જ્યારે વિપક્ષી પાર્ટી આર્થિક સુસ્તી, જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલા વિષયો અને અન્ય મુદ્દા પર સરકારને ભીંસમાં લેવાના પ્રયાસ કરશે. સરકાર આગામી સત્રમાં અનેક મહત્વપૂર્ણ બિલ લાવવાની સાથે સાથે બે મહત્વપૂર્ણ વટહુકમ લાવવાની યોજના પણ બનાવી રહી છે. આમાથી એક વટહુકમ સપ્ટેમ્બર મહિનામાં આવક વેરા અધિનિયમ ૧૯૬૧ અને અન્ય નાણાંકીય અધિનિયમ ૨૦૧૯માં સંશોધન માટે લાવવામાં આવી શકે છે. ઇ-સિગારેટ અને આવી જ રીતે ચીજવસ્તુઓના વેચાણ, નિર્માણ અને સ્ટોક સાથે સંબંધિત છે. છેલ્લા બે વર્ષથી શિયાળુ સત્ર ૨૧મી નવેમ્બરથી શરૂ થયું હતું અને જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી સત્ર ચાલ્યા હતા. પાંચમી ઓગસ્ટના દિવસે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી બાદથી જમ્મુ કાશ્મીર મામલામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ચર્ચા રહી છે.

             છેલ્લા સત્રમાં કોંગ્રેસ પાર્ટીને પણ આ મુદ્દા પર ભારતીય જનતા પાર્ટીએ ભીંસમાં લેવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદીને લઇને રાજકીય પક્ષોએ અનેક વખત જમ્મુ કાશ્મીર જવાના પ્રયાસો કર્યા હતા પરંતુ તેમને પ્રવેશ કરવાની મંજુરી મળી ન હતી. આ વખતે પણ આ મુદ્દો છવાયેલો રહે તેવી શક્યતા છે. બીજી બાજુ આર્થિક મોરચા પર સરકારની હાલત કફોડી બનેલી છે. જુદી જુદી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આર્થિક વિકાસનો દર ઘટી ગયો છે. આવી સ્થિતિમાં આ મુદ્દો પણ કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષો જોરદારરીતે ઉઠાવીને સરકારને મુશ્કેલીમાં મુકી શકે છે. આ વખતે મુખ્યરીતે આતંકવાદ, આર્થિક મંદી, જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલા વિષયો, જીવનજરૂરી ચીજવસ્તુઓની કિંમતોનો મુદ્દો છવાઈ શકે છે. સત્રને લઇને રાજકીય પક્ષો અત્યારથી તૈયારીમાં લાગી ગયા છે. બજેટને લઇને તૈયારીઓ પહેલાથી જ નાણામંત્રી નિર્મલા સીતારામન હાથ ધરી ચુક્યા છે. સીતારામનને પણ સત્ર દરમિયાન વિરોધ પક્ષોના અનેક પ્રશ્નોના જવાબો આપવાની ફરજ પડશે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં એનડીએ આ મુદ્દાને સાનુકુળરીતેહાથ ધરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.

(7:52 pm IST)