Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરીનો ફરી નાપાક પ્રયાસ, બે ઠાર થયા

કુલગામમાં સુરક્ષા દળોએ અન્ય ત્રણ ત્રાસવાદીઓને ઠાર કર્યા :એકંદરે સુરક્ષા દળોએ પાંચ ત્રાસવાદીઓને ઠાર મારી મોટી માત્રામાં શસ્ત્રોનો જથ્થો : અથડામણ સ્થળે બ્લાસ્ટ થતાં ત્રણના મોત : ત્રણ જવાન પણ શહીદ

શ્રીનગર, તા. ૨૧ : ભારતીય સરહદ ઉપર ફરી એકવાર પાકિસ્તાન તરફથી ઘુસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ કરી દેવામાં આવ્યો છે. આજે બપોરે જમ્મુ કાશ્મીરના સુંદરબની સેક્ટરમાં ઘુસણખોરી કરતા બે પાકિસ્તાની ઘુસણખોરો ઠાર થયા હતા. જો કે, આ કાર્યવાહીમાં ત્રણ ભારતીય જવાનો પણ શહીદ થયા હતા. એક અન્ય જવાનને ઇજા પણ થઇ હતી. તે પહેલા જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સેના અને ત્રાસવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થયા બાદ એક બ્લાસ્ટ પણ થયો છે. એન્કાઉન્ટર  બાદ સ્થળ પર થયેલા બ્લાસ્ટમાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા. બ્લાસ્ટમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. ઘટના બાદ પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, અથડામણ બાદ એન્કાઉન્ટર સ્થળ પર ન જવાની લોકોને અપીલ કરવામાં આવી હતી પરંતુ કેટલાક લોકો પહોંચી ગયા હતા. આ ગાળા દરમિયાન જ એક બ્લાસ્ટ થયો હતો જેમાં ત્રણના મોત થયા હતા. કુલગામના લારનુમાં આજે સવારે અથડામણ બાદ સ્થાનિક લોકોએ પોલીસના આદેશની અવગણના કરીને એન્કાઉન્ટર સ્થળે પહોંચી ગયા હતા જેના પરિણામ સ્વરુપે જ્યારે ભીડ હતી ત્યારે જ એક બ્લાસ્ટ થયો હતો જેમાં ત્રણના મોત થયા હતા અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટ બાદ સ્થળે પહોંચેલી સેના, પોલીસ અને સીઆરપીએફના જવાનોએ ઘાયલ થયેલા લોકોને બ્લાસ્ટના સ્થળથી બહાર કાઢ્યા હતા અને તેમને વહીવટીતંત્રની મદદથી કુલગામમની સ્થાનિક હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આમાથી કેટલાક લોકોની હાલત ગંભીર હોવાથી શ્રીનગરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં કેટલાક ગંભીર છે. આ બ્લાસ્ટથી પહેલા અથડામણ થઇ હતી જેમાં સુરક્ષા દળોએ ત્રણ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સેનાની રાષ્ટ્રીય રાયફલને શનિવાર અને રવિવારની રાત્રે કુલગામ જિલ્લાના લારનુ વિસ્તારમાં બેથી ત્રણ ત્રાસવાદીઓની અવરજવર અંગે માહિતી મળી હતી જેને ધ્યાનમાં લઇને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાષ્ટ્રીય રાયફલ, જમ્મુ કાશ્મીર પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોએ વ્યાપક શોધખોળ કામગીરી હાથ ધરી હતી. એ ગાળા દરમિયાન એક મકાનમાં છુપાયેલા  આતંકવાદીઓએ સુરક્ષા દળો ઉપર ગોળીબાર કર્યો હતો અને ફરાર થવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. જવાબી કાર્યવાહી કરવામાં આવતા ત્રણ ત્રાસવાદીઓ ઠાર થયા હતા. તેમની પાસેથી હથિયારોનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. કાર્યવાહી બાદ મિડિયા સાથે વાતચીત કરતા રાજ્યના ડીજીપી દિલબાગસિંહે કહ્યું હતું કે, ત્રણ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ઓપરેશન પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આતંકવાદીઓની ઓળખ કરી લેવામાં આવી છે. અથડામણ બાદ બ્લાસ્ટના અહેવાલ બાદ સુરક્ષા દળોને ફરીથી ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. કુલગામમાં તંગદિલીને ધ્યાનમાં લઇને ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. સેના, પોલીસ અને સીઆરપીએફની ટીમો પણ ગોઠવી દેવામાં આવી હતી.

બ્લાસ્ટની સાથે સાથે....

*   ભારતીય સરહદ ઉપર પાકિસ્તાન તરફથી ઘુસણખોરીનો વધુ એક પ્રયાસ કરાતા બે ત્રાસવાદીઓ ઠાર થયા

*   ઘુસણખોરોને રોકવાની કાર્યવાહીમાં ત્રણ ભારતીય જવાન પણ શહીદ થતાં આઘાતનું મોજુ

*   એક જ દિવસમાં સુરક્ષા દળોએ પાંચ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા

*   જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેના અને ત્રાસવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઇ

*   એન્કાઉન્ટરના સ્થળે ત્રણ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા બાદ પ્રચંડ બ્લાસ્ટમાં ત્રણ લોકોના મોત થયા

*   બ્લાસ્ટમાં અનેક લોકો ઘાયલ થયા

*   આજે સવારે અથડામણમાં ઠાર થયેલા ત્રણ ત્રાસવાદીઓ પાસેથી હથિયારો જપ્ત કરાયા

*   બ્લાસ્ટના સ્થળથી સેના, પોલીસ અને સીઆરપીએફના જવાનોએ લોકોને સુરક્ષિત બહાર ખસેડ્યા

*   છેલ્લા કેટલાક દિવસથી આતંકવાદીઓ સામે અનેક મોટા ઓપરેશન સફળરીતે પાર પડાયા

*   સુરક્ષા દળો હાલમાં ખુબ જ સાવધાનીપૂર્વકનું વલણ અપનાવી કાર્યવાહી કરી રહ્યા છે

(8:01 pm IST)