Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

NBFC કટોકટી સહિતના આઠ પરિબળની બજાર પર અસર રહેશે

કમાણીના આંકડા ઉપર પણ કારોબારીઓની ચાંપતી નજર :ડોલર સામે રૂપિયાની ચાલ, ક્રૂડની કિંમતો, ઈસીબી રેટને લઇને નિર્ણય અને બેંક ઓફ જાપાનના કોર સીપીઆઈ આંકડા દલાલસ્ટ્રીટની દિશા નક્કી કરશે

મુંબઇ, તા.૨૧ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ભારે ઉથલપાથલ રહ્યા બાદ આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓમાં પ્રવર્તી રહેલી લિક્વિડીટીની કટોકટી, કમાણીના આંકડા સહિત આઠ જુદા જુદા પરિબળો અસર કરે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. આઠ પરિબળો આવતીકાલથી શરૂ થતાં સેશનમાં દલાલસ્ટ્રીટની દિશા નક્કી કરવામાં ભૂમિકા અદા કરશે. જે પરિબળોની અસર થનાર છે તેમાં એનબીએફસી સેક્ટરમાં લિક્વિડીટીની કટોકટી, ફાઈનાન્સિયલ સ્થિતિને લઇને ચિંતા વચ્ચે ઉથલપાથલ જોવા મળી શકે છે. ઉપરાંત ક્રૂડની વધતી જતી કિંમતો, ડોલર સામે રૂપિયાના  અવમુલ્યનની પણ અસર જોવા મળશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને ઇન્ફોસીસ જેવી બ્લુચીપ કંપનીઓમાંથી કામાણીના મજબૂત આંકડા છતાં બજારની દિશા નક્કી કરવામાં પરિણામો અસરકારક રહ્યા નથી. શેરબજારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ રહ્યું હતું. શુક્રવારના દિવસે સેંસેક્સ ૪૧૭ પોઇન્ટ ઘટીને ૩૪૩૧૫ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૬૮ પોઇન્ટ ઘટીને ૧૦૩૦૩ની સપાટીએ રહ્યો હતો. શુક્રવારના દિવસે ઇક્વિટી મૂડીરોકાણકારોની ૧.૬૦ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ જતી રહી હતી. એટલે કે આટલું નુકસાન ઇક્વિટી રોકાણકારોને થયું હતું. બજારમાં દરેક ઉછાળા પાછળ પ્રોફિટ બુકિંગની લહેર પણ જોવા મળી રહી છે. વિદેશી મૂડીરોકાણકારોએ ઓક્ટોબર મહિનામાં હજુ સુધી સ્થાનિક માર્કેટમાંથી ૨૦૦૦૦ કરોડથી વધુની રકમ પાછી ખેંચી લીધી છે. નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓમાં લિક્વિડીટીની કટોકટીથી રોકાણકારો હચમચી ઉઠ્યા છે. આ મુદ્દાને હાથ ધરવા માટે સરકાર અને આરબીઆઈ તરફથી જુદા જુદા પગલા લેવામાં આવ્યા હોવા છતાં નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓમાં કટોકટીને લઇને ચિંતા દૂર થઇ રહી નથી. આઈએલએન્ડએફએસની કટોકટી બાદ હવે એનબીએફસીમાં નવી કટોકટી ઉભી થઇ છે જેથી વેચવાલીનું વાતાવરણ રહ્યું છે. આરબીઆઈ દ્વારા લિક્વિડીટી ઠાલવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે પરંતુ મૂડીરોકાણકારોનો વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવાની બાબત સરળ દેખાઈ રહી નથી. ઇન્ડિટ્રેડ કેપિટલના ગ્રુપ ચેરમેન સુદિપ બંદોપાધ્યાયે કહ્યું છે કે જો લિક્વિડીટીની કટોકટી આગળ વધશે તો વધુ સમસ્યા ઉભી થશે. આરબીઆઈ દ્વારા લિક્વિડીટીના ધારાધોરણોને હળવા કરવામાં આવી ચુક્યા છે અને નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓમાં વધુ ધિરાણ આપવા બેંકોને મંજુરી આપી છે. આવનાર દિવસોમાં આને લીધે સ્થિતિમાં સુધારો થશે. ઓક્ટોબર સિરિઝના ફ્યુચર એન્ડ ઓપ્શનની ગુરુવારના દિવસે પૂર્ણાહૂતિ થશે. શુક્રવારે ડોલર સામે રૂપિયો ૨૯ પૈસા મજબૂત થઇને ૭૩.૩૨ની સપાટીએ રહ્યો હતો. નિકાસકારો અને ફોરેન ફંડ પ્રવાહ દ્વારા અમેરિકી ડોલરનું વેચાણ કરવામાં આવ્યું હતું. ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતો ભારત માટે પડકારરુપ બની ગઈ છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત ૪૯ સેન્ટ વધીને ૭૯.૭૮ પ્રતિબેરલ સુધી પહોંચી ગઈ છે. આરબીઆઈના અંદાજ મુજબ દરેક ૧૦ ડોલર પ્રતિબેરલનો વધારો દેશના જીડીપી ગ્રોથમાં ૦.૧૫ ટકા સુધી અસર કરે છે. બીજી બાજુ કમાણીની સિઝન જોરદારરીતે ચાલી રહી છે. આઈટીસી, એશિયન પેઇન્ટ્સ, અદાણી પોર્ટ, અંબુજા સિમેન્ટ, કોટક મહિન્દ્રા, યશબેંક, મારુતિ, વિપ્રો, બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ દ્વારા પરિણામો જારી કરવામાં આવનાર છે. આ સપ્તાહ દરમિયાન સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના આંકડા તેમના દ્વારા જારી કરાશે. યુરોપિયન સેન્ટ્રલ બેંકની મિટિંગ ગુરુવારે મળશે જેમાં વ્યાજદર અંગે નિર્ણય લેવાશે. હાલની સ્થિતિ મુજબ પોલિસીમાં કોઇ ફેરફાર નહીં થાય તેવી વકી છે. બેંક ઓફ જાપાનમાં કોર સીપીઆઈના આંકડા મંગળવારે જારી થશે.

(7:55 pm IST)