Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

લદાખઃ ચીનની અડળામણ વધી

ભારતીય સેનાએ પૂર્વ લદાખમાં ૬ મહત્‍વની ટેકરીઓ પર કન્‍ટ્રોલ કરી લીધો

નવી દિલ્‍હી,તા. ૨૧:પૂર્વ લદાખમાં ભારતીય સેનાના હાથે પછડાટ ખાધા બાદ ચીનની પીપુલ્‍સ લિબરેશન આર્મી (PLA) સમસમી ગઈ છે. બંને દેશો વચ્‍ચે આગામી તબક્કાની સૈન્‍ય વાતચીત થઈ શકી નથી, કેમકે ચીને તારીખ કન્‍ફર્મ નથી કરી. તેની અકળામણનું કારણ એ છે કે, ગત ત્રણ સપ્તાહમાં ભારતીય સેનાએ લાઈન ઓફ એક્‍ચુઅલ કન્‍ટ્રોલ (LAC) પર છ નવી ટેકરીઓ પર કન્‍ટ્રોલ કરી લીધો છે. આ પહાડી વિસ્‍તારો સુધી ચીનની સેના પણ પહોંચવા ઈચ્‍છતી હતી, પરંતુ ભારતે ચતુરાઈ બતાવી. ૨૯ ઓગસ્‍ટ અને સપ્‍ટેમ્‍બરના બીજા સપ્તાહની વચ્‍ચે, સેનાના જવાનોએ કોઈની નજરમાં આવ્‍યા વિના આ છ મહત્‍વના હિલ ફીચર્સને પોતાના કન્‍ટ્રોલમાં કરી લીધા.

અગ્રણી સરકારી સૂત્રોએ ન્‍યૂઝને એજન્‍સી એએનઆઈને જણાવ્‍યું કે, ‘ભારતીય સેનાએ ૨૯ ઓગસ્‍ટ અને સપ્‍ટેમ્‍બરના બીજા સપ્તાહની વચ્‍ચે છ નવી ટેકરીઓ સુધી પહોંચી બનાવી લીધી છે. મગર હિલ, ગુરંગ હિલ, રેચિન લા, રેઝાંગ લા, મોખપરી અને ફિગર ૪દ્ગક પાસેની ઉંચાઈઓ પર આપણા જવાબ હાજર છે.' આ જગ્‍યાઓ ખાલી પડી હતી અને ચીનના સૈનિકોએ ત્‍યાં પહોંચતા પહેલા જ ભારતીય જવાનોએ સ્‍ટ્રેટેજિક લીડ મેળવી લીધી. સૂત્રો મુજબ, ટેકરીઓ પર પહોંચવામાં નિષ્‍ફળ ચીનના સૈનિકોની હતાશાને પગલે જ સરહદ પર લાંબા સમય પછી ગોળીઓ ચાલી. પેંગોંગ લેકના દક્ષિણ કિનારે હવામાં ફાયરિંગની ઓછામાં ઓછી ત્રણ ઘટનાઓ બની.

સૂત્રોએ સ્‍પષ્ટ કર્યું કે, બ્‍લેક ટોપ અને હેલમેટ ટોપ એલએસીની બીજી તરફ છે. ભારતીય જવાનો જયાં છે, તે વિસ્‍તારો એલએસીના આ તરફ આવે છે. ભારતની આ કાર્યવાહી બાદ ચીની સેનાએ વધારે ૩ હજાર સૈનિકો રેઝાંગ લા અને રેચિન લાની પાસે તૈનાત કર્યા છે. તેમાં પીએલએની ઈન્‍ફેન્‍ટ્રી અને આર્મર્ડ યુનિટ્‍સના જવાન સામેલ છે. ચીનની સેનાની મોલ્‍દો યુનિટને સંપૂર્ણ રીતે એક્‍ટિવેટ કરી દેવાઈ છે. છેલ્લા કેટલાક સપ્તાહોમાં ચીનની સેનાએ સૈનિકોની સંખ્‍યામાં ઘણો વધારો કર્યો છે.

ચીન તરફથી વાતચીતમાં કોઈ સકારાત્‍મક પ્રગતિ નથી થઈ. ચીનની સેના તરફથી વચ્‍ચે-વચ્‍ચે કબજો કરવાના પ્રયાસો થતા રહ્યા છે. તે પછી ભારતની સેના સતત ઓપરેશન્‍સ કરી રહી છે, જેમાં સ્‍ટ્રેટેજિક રીતે મહત્‍વપૂર્ણ ટેકરીઓ સુધી પહોંચ બનાવાઈ રહી છે. આ ઓપરેશન્‍સની મોનિટરિંગ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્‍સ સ્‍ટાફ જનરલ બિપિન રાવત અને સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે કરી રહ્યા છે.

(2:21 pm IST)