Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

'' ફ્રેન્ડસ ઓફ જામખંભાળીયા'' : યુ.કે.ના લેસ્ટરમાં જામખંભાળીયાના વતનીઓનું સ્નેહ મિલન યોજાયું

લેસ્ટર : તાજેતરમાં તા. ૧પ/૦૯/ર૦૧૯ ને રવિવારે યુ.કે. ના લેસ્ટર મુકામે ખંભાળિયાના વતનીઓ 'ફ્રેન્ડસ ઓફ ખંભાળિયા'નું એક યાદગાર સંમેલન સાથે ભોજન સમારંભનુ સુંદર આયોજન કરવામાં આવેલ હતુ.

આ અવસરની યોજના અને આયોજનની તમામ વ્યવસ્થા લેસ્ટર નિવાસી  દિનેશભાઇ ગણાત્રા અને દિલીપભાઇ રાયચુરાએ સંભાળી હતી, અનેક વર્ષોથી ઘણાની તમન્ના હતી કે એક વખત યુ.કે.મા રહેતા ખંભાળિયાના વતની, ગામવાળા બધા ભેગા થાય, જે સપનું આખરે સાકાર થયુ હતુ અને પ્રથમ પ્રયાસે દરેકનો સકારાત્મક પ્રતિભાવ મળ્યા પછી હવે વધુ વ્યાપક સ્વરૂપે નવા આયોજન કરવાનુ બળ મળ્યું હતુ.

આ પ્રસંગે વતન ખંભાળિયામાં સેવાકીય પ્રવૃતિ માટે જેઓ પોતાનું સતત યોગદાન આપી રહેલ, તેવા ૧૬ જેટલા મહાનૂભાવોનુ સન્માન કરવામાં આવ્યું હતુ. શ્રી જગદિશભાઇ ગણાત્રાએ આ અગ્રણીઓની સેવાકીય પ્રવૃતિઓની સવિસ્તાર માહિતી આપી હતી. સાથે સાથે આજે પણ ખંભાળિયામાં જે જે સંસ્થાઓ માનવતાની પ્રવૃતિ દ્વારા પૂણ્ય કાર્ય કરે છે જેમાં મુખ્યત્વે શ્રી જલારામ અન્નપૂર્ણાગૃહ, લાયન્સ તેમજ રોટરી કલબ તેમજ માનવસેવા સમિતિનો પણ આ પ્રસંગે ઉલ્લેખ કરેલ હતો.

લેસ્ટર વૃજરસ પરિવાર દ્વારા ખંભાળિયામાં આપેલા તેમના અમુલ્ય અનુદાનથી થયેલ અનેક સેવાકિય કાર્યોની માહિતી પણ આપવામાં આવેલ હતી. આજના આ પ્રસંગે વર્ષોથી માદરે વતનથી તેમજ એકબીજાથી વિખુટા પડેલા જુનામિત્રો, સ્નેહીઓ જયારે એકબીજાને મળ્યા ત્યારે અનેક ભાવવાહી દ્રશ્યો જોવા મળ્યા હતા. અને દરેક ગામવાળાઓએ પોતાની તેમજ વતનની યાદોને સાથે મળી ફરી તાજી કરી હતી જેમાં સાહિત્ય અને  કળાક્ષેત્રે જેમણે અમુલ્ય ફાળો આપેલ તેવી હસ્તીઓ, નામાંકિત વેપારીઓ, ગામના રસ્તાઓ અને જાણીતા સ્મારક કે જગ્યાઓની એકઠા થયેલા બધા લોકો દ્વારા સાથે મળી જૂના સંસ્મરણ તાજા કરી, આ પ્રસંગનો ભરપૂર આનંદ માણ્યો હતો.

કાર્યક્રમના અંતે જગદીશભાઇ ગણાત્રા દ્વારા ભવિષ્યમાં એક નવા આયોજન સાથે ફરી મળવા માટેનો પણ આ પ્રસંગે છૂટા પડતા પહેલા ઉલ્લેખ કરવામાં આવેલ હતો અને આ પ્રસંગે હાજર રહેલા દરેક ખંભાળિયાના વતનીઓનો આભાર માન્યો હતો તેવું શ્રી જગદીશભાઇ ગણાત્રા(વેલીંગ્બરો) ના અહેવાલ દ્વારા શ્રી અશોકકુમાર દેસાઇની યાદી જણાવે છે.

(10:20 pm IST)