Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

અમેરિકાના ન્‍યુજર્સીમાં આવી રહી છે ‘અંબામાની સવારી': IACFNJના ઉપક્રમે ૧૨ તથા ૧૩ અને ૧૯ તથા ૨૦ ઓક્‍ટો.ના રોજ ભારતનો લોકપ્રિય તહેવાર ‘નવરાત્રિ ગરબા' ઉજવાશેઃ સાઉથ બ્રન્‍સવીકના આર્ટ જીમ્‍નેશીયમાં ગરબા, દાંડીયા રાસ, સનેડો તથા ભાંગરા અને લાઇવ મ્‍યુઝીક સાથે મહેશ મહેતાની ટીમ ખેલૈયાઓને ગરબે ઘૂમાવશે

(દિપ્‍તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં ઇન્‍ડો અમેરિકન કલ્‍ચરલ ફાઉન્‍ડેશન સેન્‍ટ્રલ જર્સી (IACFNJ)ના ઉપક્રમે આગામી ૧૨ તથા ૧૩ અને ૧૯ તથા ૨૦ ઓક્‍ટો.ના રોજ સતત ૧૩મા વર્ષે મા શક્‍તિની આરાધના માટેનો ભારતનો લોકપ્રિય તહેવાર નવરાત્રિ ગરબા' ઉજવાશે.

સાઉથ બ્રન્‍સવીક હાઇસ્‍કૂલ, ૭પ૦, રીંગ રોડ, મોન માઉથ જંકશન, ન્‍યુજર્સી મુકામે થનારી ભવ્‍યાતિભવ્‍ય ઉજવણીનો સમય રાત્રિના ૮.૩ં૦થી ૧.૩૦ વાગ્‍યા સુધીનો રહેશે. બે હજાર પાંચસો જેટલા આમંત્રિતોનો સમાવેશ કરી શકતા સાઉથ બ્રન્‍સવીક હાઇસ્‍કૂલના આર્ટ જીમ્‍નેશીયમ ખાતે થનારી આ ઉજવણી નજીકના ટાઉન જેવા કે નોર્થ બ્રન્‍સવીક, ફ્રેંકલિન પાર્ક, પ્રિન્‍સેટોન, હાઇસ્‍ટોન, પ્રિન્‍સેટોન જંકશન, મોનરો, ઇસ્‍ટ બ્રન્‍સવીક, રોબિન્‍સ વિલ્લે તથા ઇસ્‍ટ અને વેસ્‍ટ વિન્‍ડસરમાં વસતા મોટાભાગના એશિયન અમેરિકન પ્રજાજનો માટે કેન્‍દ્ર બિન્‍દુ સમાન બની રહેશે. જ્‍યાં દરરોજ બે હજાર કરતા પણ વધુ લોકો આ ધાર્મિક તથા સાંસ્‍કૃતિક ઉત્‍સવનો લહાવો લેશે તેવો અંદાજ છે.

ઉલ્લેખનીય છે કે નોન કોમર્શીઅલ તથા પરિવારોને ધ્‍યાનમાં રાખી સલામતી સાથે વ્‍યવસ્‍થિત આયોજનપૂર્વક IACFNJ દ્વારા છેલ્લા દસકા ઉપરાંત સમયથી ઉજવાઇ રહેલો આ ઉત્‍સવ તેમાં લેવાતા ગરબાઓને કારણે સમગ્ર સ્‍ટેટમાં ખૂબ લોકપ્રિય થઇ ગયો છે.

આ વર્ષે પણ ફરી એક વખત સુપ્રસિદ્ધ મહેશ મહેતા તથા તેમના કુશળ કલાકારોની  બોલીવુડ ટીમ તેમજ સ્‍થાનિક ગાયકો તેમજ સંગીતકારો લાઇવ મ્‍યુઝીક તથા પરંપરાગત ગરબાઓની રમઝટ બોલાવી દર્શકોને મંત્રમુગ્‍ધ કરશે તથા ગરબા, દાંડીયા રાસ, સનેડો અને ભાંગરા સાથે ખેલૈયાઓને ચારે દિવસ સતત પાંચ કલાક સુધી ગરબે ઘુમાવશે. જેમાં યુવાનો ઉપરાંત આબાલ તથા વૃદ્ધ સહિતના તમામને રંગબેરંગી વેશભૂષા સાથે ગરબા માણવાની તક મળશે.

સાથોસાથ ઉત્‍સવમાં ભારતના જુદા-જુદા પ્રાંતોના વતનીઓ જોડાતા હોવાથી વિવિધતામાં એકતાના દર્શન થશે, એટલું જ નહીં ભારતના પડોશી દેશોના વતનીઓ માટે પણ ઉત્‍સવ મોટા આકર્ષણ સમાન છે. હાઇસ્‍કૂલના સ્‍ટુડન્‍ટસ તેમજ બાળકો પણ આ ઉત્‍સવમાં ઓતપ્રોત થતા જોવા મળશે. જે ભાવિ પેઢીને ભારતીય સંસ્‍કૃતિથી વાકેફગાર કરાવશે.

દરરોજ અંબા માતાજીની આરતી થશે તથા પ્રસાદ વિતરણ કરાશે. શણગારેલા મંચ ઉપર અંબા માની મૂર્તિ બિરાજમાન થેલી જોવા મળશે. દર્શકોને ભારતમાં જ હોવાનો અનુભવ થશે. ઉપરાંત કાફે ટેરીઆ, ફૂડ સ્‍ટોલ, આઇસ્‍ક્રીમ, પાન, વષાો, જ્‍વેલરી સહિતની વસ્‍તુઓના બુથ પણ ગોઠવાશે. IACFNJ આયોજીત આ નવરાત્રિ ગરબાની ઉજવણીમાં સ્‍થાનિક વ્‍યાવસાયિકો, કોમ્‍યુનિટી લીડર્સ, સ્‍થાનિક તથા સ્‍ટેટ કક્ષાના અકિારીઓ તેમજ એશિયન અમેરિકન સમુહ જોવા મળશે. જેઓ ભારતની ભવ્‍ય તથા ઐતિહાસિક સંસ્‍કૃતિના દર્શન કરવાનો લહાવો લેશે.

નવરાત્રિ ગરબા ઉત્‍સવને સફળતાપૂર્વક સંપન્‍ન કરાવવા માટે IACFNJ ચેરમેન શ્રી હિતેષ પટેલ, પ્રેસિડન્‍ટ ડો. તુષાર પટેલ, વાઇસ પ્રેસિડન્‍ટ શ્રી મહેશ પટેલ  તથા શ્રી દેવેન પટેલ, સેક્રેટરી શ્રી મેક શાહ, ટ્રેઝરર શ્રી રાજેશ પટેલ, જોઇન્‍ટ સેક્રેટરી સુશ્રી સુરભિ અગરવાલ તથા ટ્રસ્‍ટીઓ શ્રી રાઓજી પટેલ, શ્રી રેઓ નાવાણી, શ્રી જાધવ ચૌધરી તથા શ્રી મુર્થી યેરામિલ્લીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કમિટી મેમ્‍બર્સ તથા વોલન્‍ટીઅર ભાઇ-બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.

ઉત્‍સવ અંગે વિશેષ માહિતી માટે વેબસાઇટ www.iacfnj.org દ્વારા અથવા ઇ-મેઇલ iacfnj@yahoo.com દ્વારા સંપર્ક સાધી શાકશે તેમજ સ્‍પોન્‍સરશીપ સહિત વિગતો માટે શ્રી હિતેષ પટેલ 732-718-5238 અથવા ડો. તુષાર પટેલનો કોન્‍ટેક્‍ટ નં. 848-391-0499 દ્વારા સંપર્ક સાધવા IACFNJ પ્રેસિડન્‍ટ ડો. તુષાર પટેલની યાદીમાં જણાવાયું છે.

(12:02 am IST)